૮-૧૦ ટકાની ગતિથી આગળ વધશે ભારતઃ મુકેશ અંબાણી
(એજન્સી)નવી દિલ્હી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ભારતની લોંગ ટર્મ ઇકોનોમિક સંભાવનાઓને લઈને વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે દેશ ૮થી ૧૦ ટકાનો વિકાસ દર બનાવી રાખી શકે છે અને ટકાઉ રીતે ડબલ ડિજિટ ગ્રોથ પણ પ્રાપ્ત કરી શકે છે.
મુંબઈમાં જિયો બ્લેકરોક ઇવેન્ટ દરમિયાન બ્લેકરોકના સીઈઓ લૈરી ફિંક સાથે વાત કરતા અંબાણીએ કહ્યું કે, મને ભારત દુનિયામાં ઝડપથી આગળ વધતું દેખાઈ રહ્યું છે. ભારતીય અર્થવ્યવસ્થાનું વૃક્ષ હવે સ્પષ્ટ રીતે ફળ આપી રહ્યું છે, એ પણ સ્થિરતા અને ભરપૂર સંભાવનાઓ સાથે. અમારી પોલિસી ટકાઉ રહી છે, પોલિસીમાં કંટીન્યૂટી રહી છે અને અમે હંમેશા કન્ઝર્વેટિવ વલણ અપનાવ્યું છે.
ભારતીયોની બચત પર વાત કરતા અંબાણીએ કહ્યું કે છેલ્લા ૫-૬ દાયકાથી ભારતીયો સતત બચત કરતા આવ્યા છે, પણ બચત એટલી પ્રોડક્ટિવ નથી રહી. જિયો બ્લેકરોક માટે અવસર એ છે કે આપણે લોકોને બચત સાથે સાથે તેને કમાણીમાં બદલવાનો વિકલ્પ આપીએ.
એનર્જી સેક્ટરને લઈને તેમણે કહ્યું કે આગામી દાયકામાં ભારત પોતાની ૮૦ ટકા એનર્જી આયાત નહીં કરે. મુકેશ અંબાણીએ કહ્યું કે ટેક્નોલોજીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મામલામાં ભારત દુનિયાની પાછળ નહીં રહે. મારું માનવું છે કે, ભારત પાસે ૪.૫ ટ્રિલિયન ડોલરનો અવસર છે અને આગામી ૨૦-૩૦ વર્ષમાં ભારત દુનિયાના બાકી દેશોથી ઝડપથી આગળ વધશે.
અહીં ઉલ્લેખનીય છે કે જિયો-બ્લેકરોક, જિયો ફાઇનાÂન્શયલ સર્વિસિઝ અને દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોકની વચ્ચે ૫૦ઃ૫૦નું જોઈન્ટ વેન્ચર છે. આ પાર્ટનરશિપ પર અંબાણીએ કહ્યું કે, લૈરીએ મને કહ્યું કે, બ્લેકરોકનો ઉદ્દેશ્ય ખાલી શોર્ટ ટર્મ પરિણામ અથવા રોકાણકારો માટે રિટર્ન કમાવવાનો નથી. જો આપણે પહેલા સમાજના સારા ભવિષ્ય માટે આ પૈસાનો ઉપયોગ નથી કરી શકતા, તો આપણું કામ અધૂરું રહેશે. આ વિચાર રિલાયન્સનો પણ છે.
