પેન્ડેમિક વખતે પત્નીએ મને લાત મારીને બહાર કામ કરવા મોકલ્યો
માધવને ઇન્ટરવ્યુમાં કૅરિઅરમાં પત્નીના મોટા ફાળા વિશે વાત કરી
માધવને આગળ એમ પણ જણાવ્યું કે તેની પત્નીએ તેના મનની સ્થિતિ પારખી લીધી હતી, જેના કારણે તેણે થોડો વિરામ લીધો
મુંબઈ,આર. માધવન ધુરંધરના કારણે ચર્ચામાં છે, ત્યારે તાજેતરમાં તેણે એક ઇન્ટરવ્યુમાં પોતાની પત્ની સરિતા બિર્જેનો તેના જીવન અને કારકિર્દીમાં કેટલો ફાળો છે તે વિશે ખુલીને વાત કરી હતી. તેણે જણાવ્યું કે કોવિડ પેન્ડેમિક દરમિયાન સરિતાએ તેને કામ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. સાથે જ, તેના મનની સ્થિતિ પારખીને ફિલ્મોની પસંદગી પર ફરીથી વિચાર કરવા માટે પણ પત્ની જ કારણ બની હતી.
એક યુટ્યુબ ચેનલ સાથેની વાતચીતમાં આર. માધવને કહ્યું, “મારી પત્ની કહે છે કે તું ક્યારેય કામથી દૂર થઈ શકતો નથી – તું તમિલ કોમેડી કરે છે, તમિલ એક્શન કરે છે, ઓટીટી કરે છે, હિન્દી એક્શન કરે છે, અંગ્રેજી ઓટીટી કરે છે. છતાં મને આશ્ચર્ય છે કે તું ઘરમાં કેમ બેઠો છે. ૨૦૨૦માં કોવિડ દરમિયાન તેણે મને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મુક્યો અને કહ્યું, ‘બહાર જા, કંઈક કામ કર, પૈસા કમાઇ લાવ.’”
માધવને આગળ એમ પણ જણાવ્યું કે તેની પત્નીએ તેના મનની સ્થિતિ પારખી લીધી હતી, જેના કારણે તેણે થોડો વિરામ લીધો. સરિતાએ જોયું કે કામ પ્રત્યે તેનું વલણ બદલાઈ ગયું હતું. માધવન કહે છે,“એક દિવસ મારી પત્નીએ મને પૂછ્યું, ‘તને શું થયું છે?’ તેણે કહ્યું કે તું કામ પર એવી રીતે જાય છે જાણે ત્યાંથી પાછા આવવાનું મન ન હોય. એ વાત ઘણી ઊંડી હતી.”
જો માધવનની ફિલ્મોની વાત કરવામાં આવે તો, તાજેતરમાં આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’માં જોવા મળ્યા છે. ૫ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં રણવીર સિંહ, સારા અર્જુન, સંજય દત્ત, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ અને રાકેશ બેદી પણ હતા. આ ફિલ્મ ૩૦ જાન્યુઆરીથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા લાગી છે, જ્યારે તેની સીક્વલ ૧૯ માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે. ss1
