“બાળ લગ્ન એ માત્ર સામાજિક કુરિવાજ નથી, પરંતુ તે બાળકના માનસિક, શારીરિક વિકાસમાં અવરોધરૂપ”
મહિલા-બાળ આયોગ અને ગાયત્રી સેવા સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે ‘બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન‘ અંતર્ગત જનજાગૃતિ રથનું ચેરમેન શ્રી ધર્મિષ્ઠા ગજ્જરના હસ્તે પ્રસ્થાન
બાળ લગ્ન જેવા સામાજિક દૂષણને જડમૂળથી નાબૂદ કરવાના ઉમદા હેતુ સાથે આજે ગાંધીનગરથી મહિલા અને બાળ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે ‘બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન‘ અંતર્ગત વિશેષ જનજાગૃતિ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ રાજ્યના વિવિધ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાગરીકોને બાળ લગ્નના ગેરફાયદા અને કાયદાકીય જોગવાઈઓ અંગે જાગૃતિ લાવવાનું કાર્ય કરશે.
આ પ્રસંગે મહિલા અને બાળ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, બાળ લગ્ન એ માત્ર સામાજિક કુરિવાજ નથી, પરંતુ તે બાળકના માનસિક, શારીરિક અને શૈક્ષણિક વિકાસમાં મોટો અવરોધ છે. આ અભિયાન દ્વારા અમે છેવાડાના નાગરીક સુધી એ સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે લગ્ન માટેની નિર્ધારિત વય મર્યાદાનું પાલન કરવું એ માત્ર કાયદાકીય જ નહીં પરંતુ નૈતિક જવાબદારી પણ છે. જો સમાજ જાગૃત હશે, તો જ આપણે સાચા અર્થમાં ‘બાળ લગ્ન મુક્ત ભારત‘નું સપનું સાકાર કરી શકીશું.
સમાજ સુરક્ષા પ્રભાગના નિયામક શ્રી વિક્રમસિંહ જાદવે કહ્યું હતું કે, બાળ લગ્ન કરાવનાર અને તેમાં સહભાગી થનાર તમામ નાગરીકો સજાને પાત્ર બને છે. દેશની નાની બાળકીઓને બાળ લગ્ન જેવા સામાજિક દૂષણથી બચાવવા માટેના અભિયાન હેઠળ આ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આ રથ ગાંધીનગર,મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, અને મહિસાગર જિલ્લાઓના નાગરીકોને બાળ લગ્નના ગેર ફાયદા વિશે સમજણ આપશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ રથ પત્રિકાઓ અને ઓડિયો સંદેશ દ્વારા માતા પિતાને બાળ લગ્ન નિષેધ અધિનિયમ વિશે માહિતગાર કરશે. આ કાર્યક્રમમાં બાળ લગ્ન વિરુદ્ધ પ્રતિજ્ઞા લઈ તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે જો ક્યાંય પણ બાળ લગ્ન થતા હોય અથવા બાળ લગ્નની જાણકારી હોય, તો તાત્કાલિક હેલ્પલાઈન નંબર- ૧૦૯૮ અથવા ૧૧૨, સ્થાનિક પોલીસ અથવા વહીવટી તંત્રનો સંપર્ક કરવો.
આ પ્રસંગે ઝોનલ કોર્ડીનેટર શ્રી જયેશ પરમારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી બાળ આયોગ અને સમાજ સુરક્ષા પ્રભાગનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે સમાજ સુરક્ષા પ્રભાગના નાયબ નિયામક શ્રી એચ. એન. વાળા, ગાયત્રી સેવા સંસ્થાનના ડિરેક્ટર ડો. શૈલેન્દ્ર પંડ્યા સહિત સમાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.
