નાથાલાલ ઝગડા, ગિરધરનગર સહિત 25 વર્ષ જુના 6 રેલવેબ્રિજ રીપેર કરાશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ પડવાની અને સ્પાન બેસી જવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરમાં આવેલા બ્રિજોમાં રીપેરીંગ કરવામાં આવશે.
છ મહિના પહેલા બ્રિજ ઇન્સ્પેક્શન દ્વારા આપવામાં આવેલા રિપોર્ટના આધારે 25 વર્ષથી વધુ સમયથી જુના બ્રિજોમાં બેરિંગ રીપેરીંગ અને જોઈન્ટ એક્સપાન્શનની કામગીરી કરવામાં આવશે. મુખ્ય 6 રેલવે ઓવરબ્રિજમાં મોટું રીપેરીંગ કામ કરવામાં આવશે બાકીના બ્રિજોમાં નાના રીપેરીંગ કરવાના છે. જેના માટે રૂ. 62 કરોડ ખર્ચે થશે.
અમદાવાદ શહેરના તમામ બ્રિજોના ચોમાસા પહેલા ઇન્સ્પેક્શન કરાવવામાં આવ્યા હતા જેમાં જુલાઈ મહિનામાં બ્રિજ કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવેલા રિપોર્ટમાં રેલ્વે અને ફ્લાય ઓવરબ્રિજોમાં મોટું રીપેરીંગ કરવાની જરૂરિયાત હોવા અંગેના રિપોર્ટ આપવામાં આવ્યા હતા.
જે રિપોર્ટમાં સુભાષ બ્રિજમાં પણ મોટું રીપેરીંગ કરવાની જરૂરિયાત હોવાનું ઉલ્લેખ કરાતો જોકે બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા સુભાષ બ્રિજમાં રીપેરીંગ કામ શરૂ થાય તે પહેલા જ તિરાડ પડવાની અને સ્પાન બેસી જવાની ઘટના સામે આવી હતી. સુભાષ બ્રિજમાં તિરાડ પડવા અને સ્પાન બેસી જવાની ઘટના બાદ જુલાઈ મહિનામાં બ્રિજ ઇન્સ્પેક્શન કંપની દ્વારા આપવામાં આવેલા રિપોર્ટના આધારે શહેરમાં મુખ્ય છ રેલવે ઓવરબ્રિજ સહિતના અલગ અલગ બ્રિજમાં નાના-મોટા રીપેરીંગ કરવામાં આવશે.
શાહીબાગ ગિરધરનગર, અસારવા ચામુંડા, મણીનગર નાથાલાલ ઝઘડા, ઘોડાસર કેડીલા, સાબરમતી ચીમનભાઈ પટેલ અને ચાંદલોડિયા બ્રિજમાં મોટા રીપેરીંગ કરવામાં આવશે. બીજામાં નાના રીપેરીંગ કરવામાં આવશે જેમાં બ્રિજના 20 મીટર તથા 30 મીટર સુધીના કુલ 152 સ્પાન લીફટીંગ કરી બેરીગ રીપ્લેસમેન્ટ કરાશે. બેરીંગ રીપ્લેસમેન્ટ માટે સ્પાન લીફટીગની મેથડોલોજ ડિઝાઈન કન્સલ્ટન્ટ પાસે ચેક કરાવી તે મુજબ કામગીરી કરાવવામાં આવશે.
હાલની પરિસ્થિતિ મુજબ બ્રિજ નીચે ગોડાઉનો તથા દુકાનો આવેલી છે જે બ્રિજના સુપર સ્ટ્રક્ચર સુધી બનાવવામાં આવી છે. બ્રિજના નીચેના ભાગેથી કામગીરી કરવામાં આવશે. બ્રિજ સ્પાન લિફ્ટિંગની કામગીરી કરવા માટે દુકાનો અને ગોડાઉનને તોડી પાડવામાં આવશે. જે બાદ ફરીથી દુકાનો અને ગોડાઉન કોર્પોરેશન જ બનાવી આપશે. બ્રિજ સ્પાન કામગીરી માટે હાઈડ્રોલીક રાખવા માટે જવા ન હોય તેવા સ્થાનમાં અલગથી ટેમ્પરથી સપોર્ટ સ્ટીલસ્ટ્રક્ચર તૈયાર કરી પ્રોપર સેફટી સાથે સ્પાન શીફટીંગ કરવાની કામગીરી કરાશે.
મણિનગરના નાથાલાલ ઝઘડીયા રેલ્વે ઓવરબ્રિજમાં બંન્ને બાજુની જર્જરીત થયેલી આર.સી.સી. રેલીંગ દુર કરી તેની જગ્યાએ આર.સી.સી કેશ બેરીઅર મુકવાની કામગીરી કરવામાં આવશે.બ્રિજના સ્પાન ઉતારી બેરીંગ બદલવાની કામગીરી માટે એજન્સી પાસેથી ઇન્સ્યોરન્સ પણ લેવામાં આવ્યું છે અને નવી બેરિંગ નાખવા અંગેની 15 વર્ષની ગેરંટી લેવામાં આવી છે.
જુલાઈ મહિનામાં આપવામાં આવેલા ઇન્સ્પેક્શન રિપોર્ટમાં રીપેરીંગ કરવાની જરૂરિયાત હોવા છતાં બ્રિજોમાં રીપેરીંગ કરવાની કામગીરી કેમ ન કરવામાં આવી તેને લઈને વિપક્ષ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા ને ભાજપના સત્તાધીશોએ પણ બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓને ખખડાવ્યા હતા
જે બાદ બ્રિજોમાં રીપેરીંગ કામ કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. રેલવે અને ફ્લાય ઓવરબ્રિજમાં મોટા તેમજ નાના રીપેરીંગ માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં રાજકમલ બિલ્ડર્સને ટેન્ડરની અંદાજિત રકમ કરતાં 45.12 ટકાના વધુ ભાવે રીપેરીંગ કરવા માટેની દરખાસ્ત મુકવામાં આવી છે.
કયા મુખ્ય બ્રિજમાં રીપેરીંગ થશે
ગિરધનગર રેલ્વે ઓવરબ્રિજ (1985)
ચામુંડા રેલ્વે ઓવરબ્રિજ (1990)
કેડીલા રેલ્વે ઓવરબ્રિજ (1992)
ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ (1994)
નાથાલાલ ઝગડા રેલ્વે ઓવરબ્રીજ (1998)
ચાંદલોડીયા રેલ્વે ઓવરબ્રિજ (2000)
