Western Times News

Gujarati News

નવી વંદે ભારત ટ્રેન શરું થતાં અમદાવાદથી ઉદયપુર હવે માત્ર ૪ કલાકમાં પહોંચાશે

ભારતીય રેલ્વેએ બે હાલની વંદે ભારત એક્સપ્રેસ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

(એજન્સી)અમદાવાદ, ભારતીય રેલ મંત્રાલયે ગુજરાત અને રાજસ્થાનને જોડતી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મંજૂરી આપી છે. મંત્રાલયે ઉદયપુર શહેર અને અસારવા (અમદાવાદ) વચ્ચે નવી સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી છે.

આ ટ્રેન ઉત્તર પશ્ચિમ રેલ્વે દ્વારા ચલાવવામાં આવશે અને તે પ્રદેશના અર્થતંત્ર, પર્યટન અને વેપારને નોંધપાત્ર વેગ આપશે. આ ટ્રેન નિયમિત રીતે કાર્યરત થવાની તૈયારીમાં છે, જે પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે.

નવી ઉદયપુર-અસારવા વંદે ભારત ટ્રેનની શરૂઆત સાથે ભારતીય રેલ્વેએ બે હાલની વંદે ભારત એક્સપ્રેસ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઉત્તર પશ્ચિમ રેલ્વે અનુસાર, ટ્રેન નં. ૨૦૯૮૧/૮૨ (ઉદયપુર શહેર-આગ્રા કેન્ટ-ઉદયપુર શહેર) વંદે ભારત એક્સપ્રેસ ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી બંધ કરવામાં આવશે અને ટ્રેન નં. ૨૦૯૭૯/૮૦ (ઉદયપુર શહેર-જયપુર-ઉદયપુર શહેર) વંદે ભારત એક્સપ્રેસ ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી બંધ કરવામાં આવશે.

અસારવા (અમદાવાદ)-ઉદયપુર શહેર વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં ૬ દિવસ (મંગળવાર સિવાય) દોડશે.
ટ્રેન નં. ૨૬૯૬૩ (ઉદયપુર શહેરથી અસારવા)
પ્રસ્થાનઃ ૬ઃ૧૦ એએમ
આગમનઃ ૧૦ઃ૨૫ એએમ
ટ્રેન નં. ૨૬૯૬૪ (અસારવા (અમદાવાદ)થી ઉદયપુર શહેર)
પ્રસ્થાનઃ ૫ઃ૪૫ પીએમ
આગમનઃ ૧૦ઃ૦૦ પીએમ

ઉત્તર પશ્ચિમ રેલ્વે અનુસાર, આ વંદે ભારત ટ્રેન જાવર, ડુંગરપુર અને હિંમતનગર સ્ટેશનો પર રોકાશે. ઉદયપુર-અસારવા વંદે ભારત એક્સપ્રેસ મહત્તમ ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ ટ્રેન મુસાફરોને ઝડપી, આરામદાયક અને પ્રીમિયમ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.

વંદે ભારત એક્સપ્રેસ ભારતીય રેલ્વેની એક અત્યાધુનિક, હાઈ-સ્પીડ ટ્રેન છે, જે ખાસ કરીને ઝડપી, સલામત અને આરામદાયક મુસાફરી માટે રચાયેલ છે. વંદે ભારત એક્સપ્રેસ અનેક રૂટ પર કાર્યરત છે, જે દિલ્હી, વારાણસી, ભોપાલ, અમદાવાદ, જયપુર, ઉદયપુર, મુંબઈ અને ચેન્નાઈ સહિત દેશના મુખ્ય શહેરોમાં સેવા આપે છે.

રેલવેએ તાજેતરમાં જ પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેન પણ શરૂ કરી છે. આગામી દિવસોમાં તેને વધુ રૂટ પર શરૂ કરવાની યોજના છે. વંદે ભારત દેશની સૌથી ઝડપી ટ્રેન છે, પરંતુ તેનું લેટેસ્ટ વર્ઝન ૨૦૨૭ માં લોન્ચ થવાનું છે. રેલવે મંત્રાલયનો દાવો કર્યો છે કે આ ટ્રેન ૨૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. રેલવે તરફથી મળેલી માહિતી મુજબ, વંદે ભારતનું વર્ઝન ૪.૦, આગામી ૨૦૨૭ના વર્ષમાં લોન્ચ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.