Western Times News

Gujarati News

રાજસ્થાનના ભિવાડીમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટઃ ૮ મજૂરો જીવતા ભૂંજાયા

કેમિકલ ફેક્ટરીમાં એક શક્તિશાળી વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી

(એજન્સી)જયપુર, રાજસ્થાનના ભીવાડીમાં એક કેમિકલ ફેક્ટરીમાં એક શક્તિશાળી વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં અનેક કામદારો જીવતા સળગ્યા હતા, જ્યારે ઘણા હજુ પણ અંદર ફસાયેલા છે. સોમવારે વહેલી સવારે ભીવાડીના ખુશખેડા ઔદ્યોગિક વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હોવાની જાણ વહીવટીતંત્રને થઈ હતી.

ઘટનાની માહિતી મળતાં, અનેક ફાયર એન્જિન ઘટનાસ્થળે દોડી ગયા હતા. કર્મચારીઓ પાસેથી મળેલા ઇનપુટના આધારે, ભીવાડી, તિજારા અને આસપાસના વિસ્તારોમાંથી વધુ અનેક ફાયર એન્જિન મોકલવામાં આવ્યા હતા.

દોઢ કલાકની ભારે જહેમત બાદ સ્ટાફ અને હાજર અધિકારીઓ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જ્યાં સાત કામદારોના મૃતદેહ મળી આવ્યા હતા અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

સોમવારે સવારે ખુશખેડા ઔદ્યોગિક વિસ્તારના પ્લોટ નંબર જી૧-૧૧૮ પર સ્થિત એક કેમિકલ ફેક્ટરીમાં આ ઘટના બની હતી, જ્યાં સાત કામદારો જીવતા સળગ્યા હતા. આ અકસ્માતને કારણે ફેક્ટરી પરિસરમાં અફડાતફડી મચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ સાતેય મૃતદેહોને બહાર કાઢ્યા હતા, જ્યારે બે કામદારો હજુ પણ અંદર ફસાયેલા હોવાની આશંકા છે. અહેવાલો અનુસાર, ઘટના સમયે ફેક્ટરીમાં લગભગ ૨૫ કામદારો કામ કરી રહ્યા હતા.

આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે ઘણા લોકો બહાર નીકળી શક્્યા નહીં. માહિતી મળતાં, પ્રશાંત કિરણ અને સુમિતા મિશ્રા સહિત પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ અને રાહત કામગીરીનું નિરીક્ષણ કર્યું.

ભીવાડી, ખુશખેડા અને આસપાસના વિસ્તારોમાંથી અનેક ફાયર ફાયટરોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. વહીવટીતંત્રે ફેક્ટરીની સલામતી વ્યવસ્થાની તપાસના આદેશ આપ્યા છે. આગ લાગવાનું કારણ હાલમાં જાણી શકાયું નથી. સાવચેતીના પગલા તરીકે આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ઘટના સમયે ફેક્ટરીમાં ૨૦-૨૫ કામદારો કામ કરી રહ્યા હતા. કેટલાક ત્યાંથી બહાર નિકળવામાં સફળ રહ્યા હતા, પરંતુ ઘણા અંદર ફસાઈ ગયા હતા અને આગમાં મૃત્યુ પામ્યા હતા. અધિક જિલ્લા કલેક્ટર સુમિત્રા મિશ્રાએ પુષ્ટિ આપી હતી કે મૃત્યુઆંક વધીને સાત થયો છે.

આગનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, કંપની દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. ફેક્ટરીની અંદર ફસાયેલા કામદારોના પરિવારોએ ગુસ્સો વ્યક્ત કર્યો છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે ઘટનાસ્થળે ભારે પોલીસ દળ તૈનાત કરી દીધું છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.