ગુજરાતને મળી નવી સૌગાત: અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસનો શુભારંભ
ભારતીય રેલવે દ્વારા ગુજરાતમાં આધુનિક રેલ સેવાઓના વિસ્તારની દિશામાં એક વધુ મહત્વપૂર્ણ પગલું ભરતા 16 ફેબ્રુઆરી 2026ના રોજ અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ સેવા નો શુભારંભ કરવામાં આવ્યો. આ સેવા રાજ્યમાં ઝડપી, સુરક્ષિત અને વિશ્વસ્તરીય રેલ યાત્રાના નવા માપદંડ સ્થાપિત કરશે.
હિંમતનગર સ્ટેશન પર માનનીય સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, માનનીય સાંસદ શ્રી મયંક નાયક, માનનીય સાંસદ શ્રીમતી રમિલાબેન બારા તથા માનનીય પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ દ્વારા ઉદયપુર–અસારવા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી.
આ જ ક્રમમાં અસારવા સ્ટેશન પર યોજાયેલા કાર્યક્રમમાં માનનીય મેયર, અમદાવાદ શ્રીમતી પ્રતિભાબેન જૈન, માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા તથા માનનીય સાંસદ (રાજ્યસભા) શ્રી નરહરિ અમીન દ્વારા અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસનું સ્વાગત કરવામાં આવ્યું.

આ પ્રસંગે માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભારત સરકાર અને ભારતીય રેલવે ગુજરાતમાં ટ્રેન સેવાઓ અને રેલવે અવસંરચનાને આધુનિક બનાવવા માટે સતત પ્રતિબદ્ધ છે. હાલમાં ગુજરાતમાં ₹1,28,748 કરોડના રેલવે કાર્યો પ્રગતિ પર છે અને આ વર્ષના બજેટમાં રાજ્યને રેકોર્ડ ₹17,366 કરોડની ફાળવણી પ્રાપ્ત થઈ છે. ગુજરાતના 87 સ્ટેશનોનો પુનર્વિકાસ વિશ્વસ્તરીય રેલવે સ્ટેશનો તરીકે કરવામાં આવી રહ્યું છે, જેમાંથી 19 સ્ટેશનોનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે. આ દર્શાવે છે કે ગુજરાત દેશના રેલવે આધુનિકીકરણમાં અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યું છે.
આ પ્રસંગે માનનીય સાંસદ શ્રી નરહરી અમીને જણાવ્યું કે ગુજરાતમાંથી ઘણા લોકો લગ્ન માટે સામૂહિક રીતે ઉદયપુર જાય છે અને તેમના માટે આ ટ્રેન વરદાન સ્વરૂપ છે જે 4 થી 4.15 કલાકમાં અસારવાથી ઉદયપુર પહોંચાડે છે. આ ટ્રેન અત્યાધુનિક અને સડક માર્ગની તુલનામાં વધુ સુરક્ષિત તથા આરામદાયક છે.
આ ગુજરાતની છઠ્ઠી વંદે ભારત ટ્રેન છે, જે ક્ષેત્રીય કનેકીટીવીટીને મજબૂત કરવાની સાથે-સાથે યાત્રી સુવિધા, પર્યટન અને આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન આપશે. ભારતીય રેલ અપગ્રેડ કરાયેલા સ્ટેશનો, નવી રેલ લાઈનો અને અત્યાધુનિક સુવિધાઓ દ્વારા ક્ષેત્રીય વિકાસ અને વધુ સારી કનેક્ટિવિટી સુવિધા પૂરી પાડવા માટે સતત પ્રતિબદ્ધ છે. અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ આ પ્રતિબદ્ધતાનું સશક્ત ઉદાહરણ છે.
આ અત્યાધુનિક ટ્રેન રીક્લાઈનિંગ અને આરામદાયક સીટો, સ્લાઇડિંગ દરવાજા, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, બાયો-ટોયલેટ, સ્વચાલિત પ્રવેશ અને નિકાસ દ્વારો તેમજ સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ટ્રેન યાત્રીઓને ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી સાથે વિશ્વસ્તરીય આરામનો અનુભવ પ્રદાન કરશે.
ટ્રેન સંચાલન વિગતો:
ટ્રેન નંબર 26964/26963 અસારવા–ઉદયપુર સિટી–અસારવા વંદે ભારત એક્સપ્રેસ
- ટ્રેન સંખ્યા 26964 અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ 18 ફેબ્રુઆરી 2026થી દરરોજ (મંગળવાર સિવાય) અસારવાથી સાંજે 17:45 વાગ્યે પ્રસ્થાન કરી રાત્રે 22:00 વાગ્યે ઉદયપુર પહોંચશે.
- ટ્રેન સંખ્યા 26963 ઉદયપુર સિટી–અસારવા વંદે ભારત એક્સપ્રેસ 18 ફેબ્રુઆરી 2026થી દરરોજ (મંગળવાર સિવાય) ઉદયપુર સિટીથી સવારે 06:10 વાગ્યે પ્રસ્થાન કરી સવારે 10:25 વાગ્યે અસારવા પહોંચશે.
- માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન હિંમતનગર, ડુંગરપુર તથા જાવર સ્ટેશનો પર રોકાશે.
- આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર સહિત કુલ 8 કોચ રહેશે.
