બે હજાર નવી આંગણવાડીઓ બનાવાશેઃ નાણામંત્રી કનુભાઇ
પ્રતિકાત્મક
ગાંધીનગર, ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે આજે રાજ્યનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર ગૃહમાં રજૂ થયું છે. પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા પછી નાણામંત્રી કનુભાઇ દેસાઇએ બજેટ ભાષણ શરૂ કર્યું છે.
રાજ્ય સરકાર માટે આ બજેટ રાજકીય તેમજ આર્થિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ વખતેના ગુજરાત બજેટમાં સામાન્ય લોકો માટે મહત્વપૂર્ણ ગણાતા આવાસ યોજના અંગે પણ જાહેરાત કરવામાં આવી છે.
નાણાં મંત્રીએ જણાવ્યું છે કે, ય્રૂછદ્ગ એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વધુ સશક્ત બનાવવા આ બજેટમાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર આપી “ઘર સૌના માટે”ના સંકલ્પને સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે.
જેના હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ હેઠળ આ વર્ષે આશરે ૩ લાખ ૧૫ હજારથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. જેના માટે રૂ.૪૨૭૨ કરોડની જોગવાઈ સૂચવી છે.
આ સાથે તેમણે જણાવ્યું છે કે, સમાજના પછાત અને નબળા વર્ગના તેમજ આદિજાતિ લોકોના વિકાસ માટે સરકાર હંમેશા સંવેદનશીલ છે. વિવિધ નિગમો દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ૧ લાખ ૩૫ હજારથી વધુ લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન તેમજ આર્થિક સહાય આપવામાં આવી છે.
નિગમોની આ કામગીરીને વેગ આપવા માટે કુલ રૂ.૮૬૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાગરિકોની અન્નસુરક્ષાના અભિગમથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યના અંદાજે ૭૫ લાખથી વધુ કુટુંબોને વિનામૂલ્યે અનાજ આપવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે.
