Western Times News

Gujarati News

૭ લાખથી વધુ ગુજરાતીના ખાડીના દેશોમાં યુદ્ધના મંડાણથી શ્વાસ અદ્ધર

ગુજરાતના હીરા, ટેક્સ્ટાઈલ અને મરીન પ્રોડક્ટ્‌સના નિકાસ બજાર પર પણ હાલ પૂરતું તાળું લાગી જવાની સંભાવના?

ગુજરાતના ૪૬,૭૬૬ શ્રમિકો તો માત્ર ‘ઈ-માઈગ્રેટ’ પોર્ટલ પર નોંધાયેલા છે

(એજન્સી)ગાંધીનગર, પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વણસી રહેલા લશ્કરી તણાવને પગલે માત્ર ભૌગોલિક સરહદો જ નહીં, પણ લાખો ગુજરાતી પરિવારોની ઊંઘ હરામ કરી દે તેવી શક્યતા આકાર પામી રહી છે. મધ્ય-પૂર્વના દેશોમાં વસતા અંદાજે ૯૦ લાખ ભારતીયોમાં ૭ લાખથી વધુ ગુજરાતી હોવાની શક્યતા નકારી શકાતી નથી. જે ત્યાંના અર્થતંત્રમાં કરોડરજ્જુ સમાન છે.

ભારત સરકારના વિદેશ મંત્રાલયના રેકોર્ડ મુજબ, ગુજરાતના ૪૬,૭૬૬ શ્રમિકો તો માત્ર ‘ઈ-માઈગ્રેટ’ પોર્ટલ પર નોંધાયેલા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે, દુબઈ, મસ્કત અને કુવૈત જેવા શહેરોમાં હજ્જારો ગુજરાતી પરિવારો પેઢીઓથી વસેલા છે અને ત્યાંના બિઝનેસ સેક્ટર પર તેમનું વર્ચસ્વ છે.

આ યુદ્ધ માત્ર માનવીય સંકટ નથી, પણ ગુજરાતની આર્થિક નસોને તોડી શકે તેવું આર્થિક સંકટ પણ મનાય છે. દર વર્ષે ગલ્ફ દેશોમાં વસતા ભારતીયો અબજો ડોલરનું હૂંડિયામણ વતનમાં મોકલે છે. જેમાં ગુજરાતનું સ્થાન મોખરે છે. જો આ દેશોમાં સ્થિતિ વણસે, તો માત્ર રેમિટન્સ જ નહીં, પણ ગુજરાતના હીરા, ટેક્સ્ટાઈલ અને મરીન પ્રોડક્ટ્‌સના નિકાસ બજાર પર પણ હાલ પૂરતું તાળું લાગી જવાની સંભાવના છે.

એક અંદાજ મુજબ, ગલ્ફ દેશોમાંથી ગુજરાતમાં દર મહિને આશરે ૨,૫૦૦ કરોડથી વધુની રકમ ઘર-પરિવાર ચલાવવા માટે આવે છે. જેના પર હવે જોખમ ઊભું થશે. ગુજરાતના સુરતથી સૌરાષ્ટ્ર સુધી આર્થિક આંચકાની સંભાવના રહેલી છે. આ યુદ્ધની સ્થિતિમાં ગુજરાતના જે ક્ષેત્રોને સૌથી મોટો ફટકો પડશે. જેમાં સૌથી પહેલું નામ હીરા ઉદ્યોગનું છે.

સુરતથી ઈઝરાયેલ અને યુએઈમાં મોટી માત્રામાં પોલિશ્ડ ડાયમંડની નિકાસ થાય છે. ઈઝરાયેલમાં વસતા અંદાજે ૨૦,૦૦૦ ભારતીયોમાં મોટો હિસ્સો હીરાના વેપારીઓનો છે.

આ ઉપરાંત, ઈરાન અને ઈઝરાયેલના જળમાર્ગાે જોખમાતા ક્રુડ ઓઈલના ભાવમાં થનારો વધારો ગુજરાતના ટ્રાન્સપોર્ટ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કમર તોડી નાખશે. લાલ સમુદ્રમાં તણાવ વધવાથી શિપિંગ ખર્ચમાં ૪૦ ટકાનો વધારો થયો છે, જે મુંદ્રા અને કંડલા પોર્ટના બિઝનેસને અસર કરી રહ્યો છે. વિદેશમાં કામ કરતા ભારતીયોની સુરક્ષા માટે ભારત સરકાર અત્યંત ગંભીર છે.

પ્રવાસી ભારતીય વીમા યોજના હેઠળ વર્ષ ૨૦૦૬થી જૂન ૨૦૨૫ સુધીમાં કુલ ૮૩,૮૮,૧૪૩ વીમા પોલિસી ઈશ્યૂ કરવામાં આવી છે. ઈ-માઈગ્રેટ પોર્ટલ જેવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા વિદેશી રોજગારની પ્રક્રિયા પારદર્શક અને સુરક્ષિત બનાવી છે.

મહિલા શ્રમિકો માટે કડક નિયમો મુજબ, ઈસીઆર પાસપોર્ટ ધરાવતી મહિલાઓ માટે વિદેશમાં કામ કરવા જવા માટે લઘુતમ વય ૩૦ વર્ષ રાખવામાં આવી છે અને તેમની ભરતી માત્ર સરકારી એજન્સીઓ દ્વારા જ થઈ શકે છે.

કોઈપણ જાતની મદદ માટે હેલ્પલાઇન બનાવેલી છે. જેમાં છેલ્લા ૩ વર્ષમાં ગલ્ફ દેશોમાં ભારતીય મિશનોને ૧,૩૮,૨૧૩ ફરિયાદો મળી છે. જેનું નિરાકરણ હેલ્પલાઇન, વોટ્‌સએપ અને ઈમેલ દ્વારા કરવામાં આવે છે. ગુજરાતમાંથી અધિકૃત રીતે ૪૬,૭૬૬ લોકો અખાતી દેશોમાં શ્રમિક તરીકે કાર્યરત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.