Western Times News

Gujarati News

SMVS સંસ્થાના સ્થાપક પૂ. બાપજીનો ૯૩મો પ્રાગટ્ય મહોત્સવ યોજાયો

‘હેપ્પી પરિવાર’ દ્વારા ‘હેપ્પી ગુજરાત’ બનાવી શકાશે અને એ રીતે ‘હેપ્પી ભારત’નું સ્વપ્ન સાકાર થશે

વડાપ્રધાનશ્રીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ સૂત્રને SMVS જેવી સંસ્થાઓ શિક્ષણ અને સંસ્કાર સાથે આધુનિક ટેકનોલોજીના સમન્વય દ્વારા સાકાર કરી રહી છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

ટેકનોલોજીની યુગમાં યુવાનોમાં ચિપ ડિઝાઇન, AI અને એડવાન્સ ટેકનોલોજીના કૌશલ્ય વિકાસ માટે SMVS જેવી સંસ્થાઓ ટેકનિકલ અભ્યાસક્રમો દ્વારા સહયોગી બને

ભૂકંપ, પૂર, વાવાઝોડું કે કોરોના જેવી મહામારીમાં SMVS સંસ્થાની સેવાકીય કામગીરી નોંધપાત્ર

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક ગુરુદેવ પૂ. બાપજીના ૯૩મા પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

‘સાબરમતીના કાંઠે એક આદર્શ શિલ્પી’ થીમ પર આધારિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ SMVSના સ્થાપક પૂજ્ય બાપજીની દિવ્ય ચેતનાને વંદન કરી, સૌને એકતા, પ્રેમ અને સમરસતાના પર્વ ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે સંતો, શાસ્ત્રો અને મંદિરો ભારતીય સંસ્કૃતિના મુખ્ય આધારસ્તંભ છે. ત્યારે SMVS સંસ્થા શિક્ષણ, સેવા અને સંસ્કારની ત્રિવેણી સરિતા વહાવીને આ સ્તંભોને વધુ મજબૂત કરી રહી છે. પૂજ્ય બાપજીએ વાવેલું ભક્તિનું બીજ આજે વટવૃક્ષ બનીને લાખો હરિભક્તોને સત્સંગનો છાયડો આપી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી પટેલે ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીની આજ્ઞાને શિરોમાન્ય રાખીને SMVS દ્વારા કુદરતી કે માનવસર્જિત આફતો-જેવી કે ભૂકંપ, પૂર, વાવાઝોડું કે કોરોના મહામારીમાં હંમેશાં અગ્રેસર રહીને કરવામાં આવતાં સેવાકાર્યોને બિરદાવ્યા હતા.

તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં પૂજ્ય સત્ય સંકલ્પદાસજી સ્વામીના નેતૃત્વમાં આ સેવાકાર્યો વધુ વેગવંતા બન્યા છે. જે અંતર્ગત, આરોગ્ય ક્ષેત્રે SMVS હોસ્પિટલનું નિર્માણ, શિક્ષણક્ષેત્રે ગાંધીનગરમાં કન્યા ગુરુકુળ અને પંચમહાલ જિલ્લામાં આદિવાસી બાળકો માટે નિ:શુલ્ક ગુરુકુળ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય અને શિષ્યવૃત્તિ સહિતની પ્રવૃત્તિઓની તેમણે પ્રશંસા કરી હતી.

શ્રી પટેલે વડાપ્રધાનશ્રીએ આપેલાં ‘વિકાસ ભી, વિરાસત ભી’ સૂત્રને યાદ કરતાં કહ્યું કે મંદિરો સનાતન ધર્મનું અભિન્ન અંગ છે. તેમના જ નેતૃત્વમાં આજે આપણે હજાર વર્ષની એ સોમનાથ સ્વાભિમાન યાત્રાની ઐતિહાસિક પળના સાક્ષી બનવાનો અવસર મળ્યો છે.

તેમણે કહ્યું કે ભારત હવે સેમિકન્ડક્ટર જેવા આધુનિક ક્ષેત્રોમાં વિશ્વમાં લીડ લઈ રહ્યું છે. સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ એ આત્મનિર્ભરતા તરફનું એક ઐતિહાસિક કદમ છે. બદલાતાં સમયની માંગ મુજબ યુવાનોમાં ચિપ ડિઝાઇન, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને એડવાન્સ ટેકનોલોજીનું કૌશલ્ય વિકસે તે માટે SMVS જેવી સંસ્થાઓ પણ ટેકનિકલ અભ્યાસક્રમો દ્વારા સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીએ આપેલા પાણી બચાવો (Catch the Rain), ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ, પ્રાકૃતિક ખેતી, અને યોગ સહિતના નવ સંકલ્પોને જીવનનો હિસ્સો બનાવવા માટે હરિભક્તોને અપીલ કરી હતી.

શ્રી પટેલે ‘હેપ્પી પરિવાર’ દ્વારા ‘હેપ્પી ગુજરાત’ની સંકલ્પના વિશે વાત કરતાં કહ્યું કે જો રાજ્યનો દરેક પરિવાર સુખી હશે, તો રાજ્ય સુખી રહેશે અને જો રાજ્ય સુખી થશે, તો દેશ પણ સુખી બનશે. આ પ્રકારે ‘હેપ્પી ભારત’ના સ્વપ્નને સિદ્ધ કરવા દેશના વિકાસમાં સહભાગી થવા સૌને અપીલ કરી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે આગામી તા. ૨૧ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ અનાદિમુક્ત વિશ્વમ સંસ્થાનના પ્રથમ સંકુલનું લોકાર્પણ, શિખરબદ્ધ મંદિર અને અનાદિમુક્ત પીઠિકાના નિર્માણ માટેની તારીખોની ઓનલાઇન માધ્યમથી જાહેરાત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં SMVS સંસ્થાના વડા પૂ. સત્યસંકલ્પદાસજી સ્વામી, પૂ. ભક્તવત્સલદાસજી, પૂ. નિર્ગુણજીવનદાસજી, પૂ. ધર્મપ્રિયદાસજી સહિતના સંતો, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, અમદાવાદ પશ્ચિમના સાંસદ હસમુખભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્યો, મહાનુભાવો સહિત બહોળી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.