Western Times News

Gujarati News

ઈરાનમાં યુદ્ધ વચ્ચે લેબેનાનમાં નવું ગાઝા બનાવી રહ્યું છે ઈઝરાયલ

૧૧૦૦ મોત, ૧૨ લાખ બેઘર -ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના તણાવની વચ્ચે, મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળા હવે લેબેનાનને પણ લપેટમાં લઈ રહી છે

લેબેનોન,  ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના તણાવની વચ્ચે, મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળા હવે લેબેનાનને પણ લપેટમાં લઈ રહી છે. ઈઝરાયલ અને ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહ વચ્ચેનો સંઘર્ષ હવે એક ભયાનક વળાંક લઈ રહ્યો છે.

લેબેનાનના દક્ષિણ ભાગમાં ઈઝરાયલના તાજેતરના હુમલાઓએ એવી સ્થિતિ સર્જી છે કે, લોકો તેને નવું ગાઝા બનાવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે. આ માત્ર લશ્કરી સંઘર્ષ નથી, પરંતુ જમીન, વસ્તી અને ઓળખને કાયમ માટે બદલી નાખવાની એક સુનિયોજિત રણનીતિ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં લેબેનાનની જે તસ્વીર સામે આવી છે, તે અત્યંત વિચલિત કરનારી છે.

અત્યાર સુધીમાં અંદાજે ૧૧૦૦ લોકોના મોત થયા છે. ૧૨ લાખથી વધુ લોકોને પોતાનું ઘર છોડીને ભાગવાની ફરજ પડી છે. દક્ષિણ લેબેનાનના અનેક ગામો હવે સંપૂર્ણપણે ખાલી થઈ ગયા છે. જ્યાં ક્્યારેક ખેતરોમાં કામ થતું હતું અને શેરીઓમાં બાળકોનો અવાજ ગુંજતો હતો, ત્યાં હવે માત્ર તૂટેલી દીવાલો, કાટમાળના ઢગલા અને અશુભ સન્નાટો છે.

ઘણા વિશ્લેષકો માને છે કે, ઈઝરાયલ ગાઝામાં અપનાવેલી રણનીતિ જ લેબેનાનમાં દોહરાવી રહ્યું છે. આ પેટર્ન કંઈક એવી છે કે, પહેલા વિસ્તાર પર ભીષણ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. લોકોને વિસ્તાર ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપવું છે. તે જગ્યાને એવી હાલતમાં છોડી દેવી કે લોકો ઇચ્છે તો પણ ક્્યારેય પાછા ન ફરી શકે. હાલમાં દક્ષિણ લેબેનાન આ રણનીતિનું કેન્દ્ર છે.

બિંત જબૈલ, મરજાયૂન, હસબાયા, નબાતિયેહ અને ટાયર (સૌર) જેવા ઈઝરાયલી સરહદની નજીકના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. લિતાની નદીથી લઈને ઝહરાની નદી સુધીનો મોટો હિસ્સો (જે લેબેનાનના કુલ વિસ્તારના આશરે ૧૪ % છે) ખાલી કરાવવામાં આવી રહ્યો છે.

આ સંકેત આપે છે કે ઈઝરાયલ આખા વિસ્તારને એક બફર ઝોનમાં ફેરવવા માંગે છે. આ વિસ્તાર ક્્યારેય ખાલી નહોતો. અહીં મુખ્યત્વે શિયા મુસ્લિમ સમુદાય વસતો હતો, જ્યાં હિઝબુલ્લાહ અને અમલ મૂવમેન્ટનો પ્રભાવ છે.

આ ઉપરાંત, ખ્રિસ્તી સમુદાય અને સૈદા નજીકના કેમ્પોમાં પેલેસ્ટાઇની શરણાર્થીઓ પણ દાયકાઓથી રહેતા હતા. અહીં રહેતા લોકો ખેડૂતો, નાના દુકાનદારો, શિક્ષકો અને આરોગ્ય કર્મચારીઓ હતા. આ એક જીવંત સામાજિક અને આર્થિક કેન્દ્ર હતું, જે હવે યુદ્ધની સૌથી મોટી કિંમત ચૂકવી રહ્યું છે.

સૌથી મોટી ત્રાસદાયી એ છે કે જે લોકો ૨૦૨૩-૨૪ના સંઘર્ષમાં પહેલેથી જ વિસ્થાપિત થયા હતા અને માંડ પાછા ફર્યા હતા, તેઓ ફરીથી બેઘર થયા છે. આજે હજારો લોકો શાળાઓ, તૂટેલી ઇમારતો અને અસ્થાયી કેમ્પોમાં, અથવા ખુલ્લા આકાશ નીચે રાત વિતાવવા મજબૂર છે. ગાઝાની જેમ, અહીં પણ ઈઝરાયલે જેને સેફ ઝોન જાહેર કર્યા હતા, ત્યાં પણ હુમલા થયા હોવાના અહેવાલો છે, જેનાથી લોકોમાં ડર અને અવિશ્વાસ વધુ ઊંડો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.