Western Times News

Gujarati News

અમદાવાદમાં ચૂંટણી પહેલા જ ભાજપની જીતનું ખાતુ ખુલ્યું

ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે રાજયમાં માહોલ ગરમાયો-જિલ્લા પંચાયતની રણોલી બેઠક પર ભાજપનો વિજય

થલતેજ વોર્ડમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર રમીલા ઠાકોરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું ભાજપના ઉમેદવાર રીટા ઠાકોર બિનહરીફ ચૂંટાયા 

અમદાવાદ, રાજયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓમાં આજે ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હતો જેના પરિણામે રાજયના અનેક વિસ્તારોમાં રાજકીય માહોલ ગરમાયો હતો.

ઠેર ઠેર ઉમેદવારી પત્રો પાછા ખેંચવા માટે ઘર્ષણ થતું જોવા મળ્યું હતું કેટલાક પક્ષોએ પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે સુરક્ષિત રાખ્યા છે. તો બીજી બાજુ કેટલાક ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પાછું ખેંચી લેતા ભારે હોબાળો મચ્યો હતો. અમદાવાદમાં પણ કોંગ્રેસના ત્રણ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પાછુ ખેંચતા ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા હતાં.

અમદાવાદમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા પહેલાં જ પાર્ટીએ અમદાવાદ મહાનગરપાલિકામાં ચાર મહત્વપૂર્ણ બેઠકો ગુમાવી દીધી છે, જેનાથી સંગઠન માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે.

થલતેજ વોર્ડમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર રમીલા ઠાકોરે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. જેના પરિણામે ભાજપના ઉમેદવાર રીટા ઠાકોર બિનહરીફ ચૂંટાઈ ગયા છે. આ ઘટનાએ કોંગ્રેસના સ્થાનિક સંગઠન પર સવાલો ઊભા કર્યા છે. તે જ રીતે, સરખેજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વારિસ સૈયદે પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી વારિસ સૈયદ ગુમ હોવાનું પણ ચર્ચામાં રહ્યું હતું.

આ પહેલાં સરખેજમાં ભરત ભરવાડે પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી, જેના કારણે આ બેઠક પર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. અત્યાર સુધીમાં અમદાવાદ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના કુલ ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, જ્યારે વાસણા વોર્ડમાં મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાતા પાર્ટીએ એક બેઠક ગુમાવી હતી.

આ રીતે, ચૂંટણી પહેલા જ કોંગ્રેસે ચાર બેઠકો ગુમાવી દીધી છે અને બપોરે ત્રણ વાગ્યા સુધી વધુ નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વડોદરા જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણીના ફોર્મ ચકાસણી દરમિયાન ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.

કરજણ અને શિનોર તાલુકા પંચાયતની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થતા, આ બંને બેઠકો બિનહરીફ રીતે ભાજપના ફાળે ગઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ બંને હાઈપ્રોફાઈલ બેઠકો પર ફોર્મ રદ થવાનું મુખ્ય કારણ ‘શૌચાલય’ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાના કરજણ તાલુકાની બારસામણી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હેમલતાબેન વાસદિયા અને ભાજપના ઉમેદવાર જ્યોત્સનાબેન રાજ હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવારને ત્યાં શૌચાલય નહીં હોવાનો ભાજપના ઉમેદવારે રજૂઆત કરી વાંધો ઉઠાવ્યો હતો. તલાટીના રિપોર્ટમાં પણ આ વાતનો ઉલ્લેખ હોવાથી ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.

આ મામલે કોંગ્રેસના ઉમેદવારના પતિ વિપુલભાઈએ હૈયા વરાળ ઠાલવતા કહ્યું કે, અમે વર્ષોથી મામાને ત્યાં રહીએ છીએ અને ત્યાં શૌચાલયની વ્યવસ્થા છે. જો શૌચાલય ન હોત તો વર્ષ ૨૦૧૮માં હું સરપંચ અને વર્ષ ૨૦૨૧માં મારી પત્ની પંચાયત સભ્ય તરીકે કેવી રીતે ચૂંટાયા હોત? તે વખતે ફોર્મ મંજૂર થયું હતું, તો અત્યારે કેમ રદ થયું?

આવી જ રીતે શિનોર તાલુકા પંચાયતની વિભાગ-૧ની બેઠક પર ભાજપના પ્રમોદ વસાવાએ કોંગ્રેસના રમેશ વસાવા સામે શૌચાલય ન હોવાનો વાંધો ઉઠાવ્યો હતો. આ કિસ્સામાં તલાટીના રિપોર્ટમાં શૌચાલય હોવાનું જણાવાયું હોવા છતાં, અધિકારીએ રૂબરૂ મુલાકાત દરમિયાન ત્યાં શૌચાલય ન મળતા ફોર્મ રદ કર્યું હતું.

કોંગ્રેસે આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે. વડોદરા જિલ્લા પંચાયતની રણોલી બેઠક પરથી કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના કૈરવીબા જાડેજા બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે.

સાવલીમાં પણ રાજકીય સમીકરણો બદલાયા છે. બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજીના પ્રયાસોથી સાવલીની વેજપુર બેઠક પર કોંગ્રેસના પાયલબેન રાઠોડે ફોર્મ પરત ખેંચતા ભાજપના ક્રિષ્નાબેન મહેતા બિનહરીફ જાહેર થયા છે. આ ઉપરાંત, કરજણ તાલુકાની ચોરંદા બેઠક પર પણ ભાજપની બિનહરીફ જીત થઈ હોવાની માહિતી મળી છે. આમ, ચૂંટણીના મતદાન પહેલા જ વડોદરા જિલ્લામાં ભાજપે અનેક બેઠકો અંકે કરી લીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.