દહેજનો ચોંકાવનારો કેસ: સાસરિયાંએ માંગ્યા ૧ કરોડ રોકડા અને ૧૦૫ તોલા સોનું!
AI Image
-
‘પતિને પિતાની કંપનીમાં ૩ લાખનો પગાર અપાવ…’ અમદાવાદમાં પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી
-
થલતેજની પરિણીતાની ફરિયાદ: ૧૦૫ તોલા દાગીના લેવા ગઈ તો સાસરિયાંએ ઘરમાં ઘૂસવા ન દીધી!
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતી ૨૯ વર્ષીય પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાંઓ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ તેમજ દહેજની માંગણી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્નના થોડા જ મહિનાઓમાં ઘરકામ બાબતે શરૂ થયેલા ઝઘડાઓએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.
સાસરિયાંઓએ પરિણીતાના પિતા પાસે નવું મકાન અથવા મકાન પેટે ૧ કરોડ રૂપિયા રોકડા તેમજ પિતાની કંપનીમાં પતિને દર મહિને ૩ લાખ રૂપિયાનો પગાર આપવાની માંગ કરી હતી. આ ઉપરાંત, પરિણીતાના ૧૦૫ તોલા સોનાના દાગીના પરત આપવાનો ઇનકાર કરી તેને ઘરમાંથી કાઢી મૂકતાં આખરે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ, ૨૯ વર્ષીય પરિણીતા હાલ થલતેજમાં પોતાના પિયરે રહે છે અને ઘરેથી જ એક કંપનીનું એકાઉન્ટ્સ સંભાળી નોકરી કરે છે. આ યુવતીના લગ્ન એપ્રિલ ૨૦૨૨માં સોલા વિસ્તારમાં રહેતા સચિન વિનોદકુમાર અખાણી સાથે થયા હતા.
લગ્નના શરૂઆતના ચાર મહિના સુધી બધું બરાબર ચાલ્યા બાદ, સાસુ અને પતિએ ઘરકામ જેવી નાની-નાની બાબતોમાં ઝઘડા શરૂ કર્યા હતા. પતિ સચિને પરિણીતા સાથે મારઝૂડ પણ કરી હતી. આ સાથે જ સાસુ અલ્કાબેન, સસરા વિનોદકુમાર અને નણંદ ભૂમિએ પણ પતિનો પક્ષ લઈને પરિણીતા તેમજ તેના માતા-પિતા વિશે અપશબ્દો બોલી સતત માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
પરિણીતાએ કરેલી પોલીસ ફરિયાદ અનુસાર, ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ જ્યારે પરિણીતાના પિતા સામાજિક મિટિંગ અર્થે આવ્યા ત્યારે સાસરિયાઓએ તેમની સાથે પણ ગેરવર્તન કર્યું હતું. પરિણીતા જ્યારે પિતાને મળવા ઘરની બહાર ગઈ, ત્યારે પતિ સચિને ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.
ત્યારબાદ પતિ અને સાસુ-સસરાએ શરત મૂકી હતી કે, ‘જો તારા પિતા નવું મકાન અપાવે અથવા તેના પેટે ૧ કરોડ રૂપિયા રોકડા આપે, અને તને તેમની કંપનીમાં નોકરી પર રાખી દર મહિને ૩ લાખ રૂપિયા પગાર ચૂકવે તો જ અમે તને ઘરમાં રાખીશું.’
પતિ સચિને પરિણીતા સાથે સંતાન પેદા ન કરવાની પણ ધમકી આપી હતી. આ સિવાય, પિયર અને સાસરી પક્ષ તરફથી મળેલા કુલ ૧૦૫ તોલા સોનાના દાગીના પણ સાસરિયાઓએ પરત આપવાનો ઇનકાર કરી દીધો હતો. ગઈકાલે એટલે કે ૨૨ જૂનના રોજ જ્યારે પરિણીતા પોતાના દાગીના લેવા સાસરીમાં ગઈ, ત્યારે તેને ઘરમાં પ્રવેશવા દીધી ન હતી અને બહારથી જ કાઢી મૂકવામાં આવી હતી.
