પીવાના પાણીની લાઈન અને ગટર લાઈન મિક્સ થવાના કારણે સોલામાં રોગચાળો વકર્યો
પ્રતિકાત્મક
અમદાવાદના સોલા વિસ્તારમાં દૂષિત પાણીથી રોગચાળો ફાટયો
(એજન્સી)અમદાવાદ, શહેરના સોલા વિસ્તારમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં રોગચાળાએ ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું છે. મળતી માહિતી મુજબ એપાર્ટમેન્ટના ૫૦૦થી વધુ રહેવાસીઓ છેલ્લા ત્રણ દિવસથી ઝાડા-ઉલટી સહિતની તકલીફોથી પીડાઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે.
સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે, પીવાના પાણીની લાઈન અને ગટર લાઈન મિક્સ થવાના કારણે દૂષિત પાણીની સપ્લાય થઈ રહી છે, જેના પરિણામે મોટી સંખ્યામાં લોકો બીમાર પડ્યા છે. છેલ્લા કેટલાક સમયથી પાણી સંબંધિત સમસ્યાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય પગલાં ન લેવાતા હાલ સ્થિતિ ગંભીર બની હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
રોગચાળાની માહિતી મળતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેડિકલ ટીમ તાત્કાલિક આકાંક્ષા એપાર્ટમેન્ટ ખાતે પહોંચી હતી. ટીમ દ્વારા રહેવાસીઓના આરોગ્યની તપાસ, જરૂરી સારવાર અને પાણીના નમૂનાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એક જ એપાર્ટમેન્ટમાં મોટી સંખ્યામાં લોકો ઝાડા-ઉલટીની ઝપેટમાં આવતા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. હાલ તંત્ર દ્વારા રોગચાળાના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે, જ્યારે રહેવાસીઓએ દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠાવી છે.
આ ઘટનાએ શહેરમાં પીવાના પાણીની ગુણવત્તા અને નગરસેવાઓની કામગીરી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. એએમસી દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવે તેવી શક્્યતા છે. આકાંક્ષા એપાર્ટમેન્ટમાં કુલ ૩૮૬ મકાનો આવેલા છે અને મોટી સંખ્યામાં લોકો રોગચાળાની ઝપેટમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને નાના બાળકોમાં પણ બીમારીના લક્ષણો જોવા મળતા માતા-પિતામાં ચિંતા વધી છે.
રોગચાળાની ગંભીરતા વધતા એએમસીની મેડિકલ ટીમે એપાર્ટમેન્ટમાં સર્વેની કામગીરી શરૂ કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત લોકોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે તેમજ જરૂરી સારવાર અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સ્થિતિ વધુ ગંભીર બનતા ત્રણ સિનિયર સિટીઝનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે તેમની હાલત અંગે સત્તાવાર માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.
બીજી તરફ, દૂષિત પાણી અને તંત્રની બેદરકારીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓનું કહેવું છે કે સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડ્યા ન હોત.હાલ આરોગ્ય વિભાગ અને એએમસી સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે.
