ધર્મજ ચોકડી બ્રિજ પર અકસ્માત: કાર ચાલકે અચાનક બ્રેક મારતા રીક્ષા પાછળ અથડાઈ
AI Image
દોઢ વર્ષના માસૂમ બાળકનું મોત
-
આંકલાવથી ઈદ મનાવીને તારાપુર પરત ફરી રહેલા દિવાન પરિવારની રીક્ષાને ધર્મજ ચોકડી બ્રિજ પર અકસ્માત નડ્યો હતો.
-
આગળ જતી કારના ચાલકે કોઈપણ જાતના ઈન્ડિકેટર વગર અચાનક બ્રેક મારી દેતા પાછળ આવી રહેલી રીક્ષા ધડાકાભેર અથડાઈ હતી.
-
અકસ્માતમાં દોઢ વર્ષના માસૂમ પુત્ર અલીશાનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું છે, જ્યારે માતા-પિતાને ગંભીર ઈજાઓ પહોંચી છે.
આણંદ, જિલ્લાના બોરસદથી તારાપુર જતા હાઈવે પર વડદલા ઓવરબ્રિજ પાસે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. ધર્મજ ચોકડી બ્રિજ ચઢતી વખતે આગળ જતી એક કારના ચાલકે ઓવરટેક કરીને અચાનક જ કોઈ પણ સંકેત આપ્યા વિના બ્રેક મારી દીધી હતી.
કાર ચાલકની આ બેદરકારીના કારણે પાછળ આવી રહેલી સીએનજી રીક્ષા કારની પાછળ ધડાકાભેર ભટકાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં દોઢ વર્ષના માસૂમ બાળકનું ગંભીર ઈજાઓ થવાથી કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે તેના માતા-પિતાને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
ઘટનાની વિગત એવી છે કે, આણંદ જિલ્લાના તારાપુર ખાતે ફાતિમ સોસાયટી પાસે રહેતા સાહિદશા ઈનાયતશા દિવાન રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના પત્ની પરવીનબાનુ ગત તારીખ ૩ મેના રોજ પોતાના બે પુત્રો મહંમદ અને અલીશા (ઉંમર ૧ વર્ષ ૮ માસ) સાથે પિયર આંકલાવ ગયા હતા. ત્યારબાદ ૨૮મી તારીખે સાહિદશા પણ ઈદનો તહેવાર હોવાથી પોતાની રીક્ષા લઈને સાસરી આંકલાવ ગયા હતા અને ત્યાં રોકાયા હતા. ઈદની ઉજવણી પૂર્ણ કરીને ૩૦મી તારીખે સાંજના સમયે તેઓ પરિવાર સાથે રીક્ષામાં પરત તારાપુર આવવા નીકળ્યા હતા.
રાત્રિના આશરે આઠ વાગ્યાના અરસામાં જ્યારે તેમની રીક્ષા બોચાસણ ટોલનાકું પસાર કરીને ધર્મજ ચોકડી બ્રિજ ચઢી રહી હતી, ત્યારે પાછળથી આવેલી એક કારના ચાલકે તેમની રીક્ષાને ઓવરટેક કરી હતી. કાર ચાલકે કોઈપણ પ્રકારનું ઈન્ડિકેટર બતાવ્યા વિના રીક્ષાની આગળ જ અચાનક બ્રેક મારી દેતા સાહિદશાની રીક્ષા પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો ચાલક પોતાની કાર લઈને ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો.
આ અકસ્માતમાં રીક્ષા ચાલક સાહિદશા રીક્ષાની લોખંડની ફ્રેમ અને છાતી વચ્ચે દબાઈ જવાથી અંદર જ ફસાઈ ગયા હતા. જ્યારે રીક્ષામાં પાછળ બેઠેલા તેમના પત્ની પરવીનબાનુને જમણા પગે, બંને હાથે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત, તેમના દોઢ વર્ષના પુત્ર અલીશાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળીને આજુબાજુથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને રીક્ષામાં ફસાયેલા પરિવારને બહાર કાઢ્યો હતો.
સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પેટલાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ નાના પુત્ર અલીશાને તપાસીને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા પરવીનબાનુને વધુ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે તારાપુર પોલીસે સાહિદશા દિવાનની ફરિયાદના આધારે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
