“એક પેડ મા કે નામ ૩.૦” અંતર્ગત રાજ્યભરમાં પ્રથમ દિવસે જ 6 લાખ વૃક્ષોનું વાવેતર થશે
પ્રતિકાત્મક
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતમાં “એક પેડ મા કે નામ ૩.૦”મહાઅભિયાનનો ગાંધીનગરથી કરાશે શુભારંભ
ગાંધીનગર લોકસભા વિસ્તારને ‘હરિયાળા લોકસભા‘ બનાવવા માટે વન વિભાગ દ્વારા અંદાજે ૫૦૦ હેકટરથી વધુ વિસ્તારમાં ૫૦ લાખથી વધુ રોપાઓ વાવીને ‘વન કવચ – માઈક્રો ફોરેસ્ટ‘ તૈયાર કરાશે
તા.૦૫ જૂન –‘વિશ્વ પર્યાવરણ દિવસે‘ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત “એક પેડ માં કે નામ” અભિયાનના ત્રીજા તબક્કાનો શુભારંભ થશે. ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યવ્યાપી અભિયાનનો આરંભ થશે.ગાંધીનગરના ‘જ‘ રોડ પર લોકભવન સ્ટાફ ક્વાર્ટર્સ નજીક ૦.૫ હેક્ટર વિસ્તારમાં ‘વનકવચ‘ પદ્ધતિથી અંદાજે ૫,૦૦૦ રોપાઓનું વાવેતર કરીને આ રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરાશે.
નોંધપાત્ર છે કે વડાપ્રધાનશ્રી દ્વારા વર્ષ ૨૦૨૪માં નવી દિલ્હીના બુદ્ધ જયંતી પાર્ક ખાતેથી “એક પેડ માં કે નામ” અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
વન વિભાગના જણાવ્યા અનુસાર વન-પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા તેમ જ રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળીના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં આ અભિયાનને વેગવાન બનાવાશે.
પર્યાવરણીય સંતુલન અને જીવ-વૈવિધ્ય (Biodiversity) ની જાળવણી માટે ગાંધીનગરમાં ૫૭ જેટલી સ્થાનિક પ્રજાતિઓના રોપાનું વાવેતર કરાશે. જે ત્રિ-સ્તરીય હશે. જેમાં ૧૬ જાતના ૨૦ ટકા ઉચ્ચ સ્તરીય રોપા, ૨૫ જાતના ૫૦ ટકા – મધ્યમ સ્તરીય અને વિવિધ ૧૬ જાતના ૩૦ ટકા નિમ્ન સ્તરીય રોપાઓનો સમાવેશ થાય છે. આ વનકવચ (Micro-forest) ની વિશેષતા એ છે કે તે ખૂબ જ ઓછી જગ્યામાં અત્યંત ગીચ અને ઝડપથી વિકાસ પામતું શહેરી જંગલ તૈયાર કરે છે.
વધુમાં, વન વિભાગ અનુસાર આ અભિયાન હેઠળ
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહના લોકસભા વિસ્તારને ‘હરિયાળા લોકસભા‘ બનાવવા માટે વન વિભાગ દ્વારા અંદાજે ૫૦૦ હેકટરથી વધુ વિસ્તારમાં ૫૦ લાખથી વધુ રોપાઓ વાવીને ‘વન કવચ – માઈક્રો ફોરેસ્ટ‘ તૈયાર કરવામાં આવશે.
*વિશ્વ પર્યાવરણ દિવસ :વૃક્ષ વાવેતરનું માઈક્રો પ્લાનિંગ:-*
‘વિશ્વ પર્યાવરણ દિવસ‘થી શરૂ કરીને આગામી અઠવાડિયા સુધી વન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતને આવરી લેતા વિવિધ લોક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે આ મુજબ છે. રાજ્યભરમાં ગ્રામીણ અને શહેરી કક્ષાએ કુલ ૫૦ હજાર જેટલા ‘જૂથ સ્તર‘ નક્કી કરાયા છે. દરેક જૂથ દ્વારા ૧૨ રોપાઓનું વાવેતર કરી, એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં ૬.૦૦ લાખ રોપાઓનું વાવેતર કરાશે.
*તા.૮ થી ૧૪ જૂન ૨૦૨૬: પર્યાવરણ સપ્તાહ:-*
આ સપ્તાહ દરમિયાન દરેક જિલ્લા કક્ષાએ મુખ્ય ચાર કાર્યક્રમો અને તમામ ૨૬૫ તાલુકાઓ તેમજ વિધાનસભા વિસ્તારોમાં મહાનુભાવોની અધ્યક્ષતામાં સઘન વૃક્ષારોપણ કરવામાં આવશે.
આ ઉપરાંત સપ્તાહ દરમિયાન ૨૬૫ તાલુકા કક્ષાના કાર્યક્રમો દ્વારા ૧.૫૩ લાખથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવશે તેમ જ ૧.૮૭ લાખથી વધુ રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરાશે. વધુમાં તાલુકાઓમાં ૮૬૧ નિયત સ્થળો પર વધુ ૪.૧૫ લાખથી વધુ રોપાઓ વન વિભાગના માર્ગદર્શનમાં વાવવામાં આવશે.
વન વિભાગે રાજ્યના પ્રત્યેક નાગરિકને, સામાજિક સંસ્થાઓને અને યુવાનોને પોતાની માતાના નામે ઓછામાં ઓછા એક વૃક્ષના વાવેતર અને જતન માટે અનુરોધ કર્યો છે.
