ભરૂચમાં નવા બની રહેલા મોલની સાઈટની દિવાલ ઘસી પડતા પિતા-પુત્રના મોત-બિલ્ડરની ઘોર બેદરકારી?
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેરના આલી માતરિયા તળાવ વિસ્તાર નજીક નિર્માણ પામતા વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઈટ પર દુર્ઘટના સર્જાઈ છે.જેમાં સાઈટ પર આવેલી એક કંપાઉન્ડ વોલ ગત રાત્રે અચાનક ધરાશાયી થઈ હતી
અને બાજુમાં આવેલા એક મકાન પર પડતાં ઘરમાં સૂતેલા એક જ પરિવારના ૪ સભ્યો કાટમાળ નીચે દબાયા હતા. જેમાં પિતા-પુત્ર મોતને ભેટ્યા હતા.જ્યારે મૃત્યુ અશ્વિન વસાવાની પત્ની અને માતાને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચમાં ચોમાસાનો પ્રથમ વરસાદ આવતા એક તરફ ખુશીનો માહોલ છે તો બીજી તરફ ગમગીનીનો માહોલ સર્જ્યો છે. વરસાદના પ્રથમ ઝાપટાથી લોકોને અસહ્ય ગરમી માંથી રાહત તો મળી પરંતુ બીજી તરફ એક કરુણ દુર્ઘટનામાં ૨ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.
જેમાં શહેરના આલી માતરિયા તળાવ વિસ્તાર નજીક નિર્માણ પામતા વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઈટ પર આવેલી એક કંપાઉન્ડ વોલ ગત રાત્રે અચાનક ધરાશાયી થઈ બાજુમાં આવેલા એક મકાન પર પડતાં ઘરમાં સૂતેલા એક જ પરિવારના ૪ સભ્યો કાટમાળ નીચે દબાયા હતા.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.
સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ કાટમાળ નીચે ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.જોકે હોસ્પિટલ ખસેડાયા બાદ તબીબોએ અશ્વિન વસાવા અને તેમના ૨૧ વર્ષના પુત્ર આશિષ વસાવાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પરિવારની ૨ મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
બનાવની જાણ થતા જ ભરૂચ નગરપાલિકના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જાણકારી મેળવી હતી અને પરિવારને સાંત્વના આપવા સાથે આગામી દિવસોમાં આવી કોઈ ઘટના ન બને તે માટે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.
આ ભયાનક દુર્ઘટનાએ નિર્માણાધીન સાઈટ્સ પર રખાતી સુરક્ષા વ્યવસ્થા અને તંત્રની બેદરકારી સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે.સ્થાનિકોમાં ચર્ચા છે કે આ દુર્ઘટના પાછળ માત્ર કુદરતી વરસાદ જવાબદાર છે કે બિલ્ડરની ઘોર બેદરકારી?
પિતા-પુત્ર મોતને ભેટ્યા છે જ્યારે મૃતક અશ્વિન વસાવાની પત્ની અને માતાને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
