દિલ્હી હિંસા : મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રુપિયાની સહાયઃ કેજરીવાલ
નવી દિલ્હી : દિલ્હી હિંસા મામલાને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે દિલ્હી સરકાર મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રુપિયા આપશે. ગંભીર રુપથી ઈજાગ્રસ્તને 2 લાખ રુપિયા આપવામાં આવશે. હિંસામાં ઈજાગ્રસ્ત થયેલાની લોકોની મફત સારવાર કરવામાં આવશે. મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી હતી.
કેજરીવાલે કહ્યું હતું કે દિવ્યાંગ થયેલા લોકોને 5 લાખ રુપિયા, જેમનું ઘર સળગી ગયું છે તેમને 5 લાખ અને સગીર મૃતકના પરિવારને 5 લાખ રુપિયા સહાય આપવામાં આવશે. તેમણે રિક્શાના નુકસાન પર 25 હજાર અને હિંસામાં અનાથ થયેલા બાળકોને 3 લાખ રુપિયા આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે લોકોને શાંતિ અને ભાઇચારો રાખવાની અપીલ કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે બુધવારે હિંસા પ્રભાવિત વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું.
દિલ્હી હિંસા મામલામાં ગુરુવારે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઇકોર્ટે દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારને ભડકાઉ ભાષણને લઈને દાખલ અરજી પર વિસ્તૃત જવાબ દાખલ કરવા કહ્યું છે. ચાર સપ્તાહમાં ગૃહ મંત્રાલયને જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલામાં આગામી સુનાવણી 13 એપ્રિલે થશે.