Western Times News

Gujarati News

ક્રિકેટર જયદેવ ઉનડકટે રિની સાથે લગ્ન કરી લીધા

અમદાવાદ: સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમને રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનાવનાર ક્રિકેટર જયદેવ ઉનડકટે હાઈકોર્ટના વકીલ રિનિ કંટારીયા સાથે આજે લગ્નના બંધનમાં બંધાયો. આણંદના મધુબન રિસોર્ટમાં પરિવારના નજીકના લોકો વચ્ચે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં ક્રિકેટ જગત સાથે સંકળાયેલા ઘણા લોકોએ હાજરી આપી હતી.

જયદેવ ઉનડકટની કૅપ્ટનશીપમાં સૌરાષ્ટ્ર પહેલીવાર રણજી ટ્રૉફી પોતાને નામે કરી શક્યું છે. ૭૦ વર્ષમાં સૌરાષ્ટ્ર પહેલીવાર રણજી ટ્રૉફી જીત્યું છે. સૌરાષ્ટ્રના આ વિજયમાં કૅપ્ટન ઉનડકટની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી.૧૩ માર્ચ-૨૦૨૦માં સૌરાષ્ટ્રની ટીમ રણજી ચેમ્પિયન બન્યા પછી ૧૫ માર્ચે જયદેવ ઉનડકટ અને રિનિ કંટારિયા સગાઈના તાંતણે બંધાયા હતા.

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જુજ મહેમાનોને જ આ લગ્ન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.લગ્નમાં સોરાષ્ટ્ર ક્રિકેટ ટીમના સભ્યો ઉપરાંત બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહે પણ હાજરી આપી નવદંપતિને આશિર્વાદ આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રિનિ ગુજરાત હાઈકોર્ટના વકીલ તરીકે કાર્યરત છે. લગ્ન પૂર્ણ થયા બાદ જયદેવ ઉનડકટ વિજય હઝારે ટ્રોફીની તૈયારીમાં લાગી જશે અને ત્યારપછી તે આઈપીએલ માટે સજ્જ બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.