Western Times News

Gujarati News

ભાજપના ૩૦૦ કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જાેડાતા ખળભળાટ

પંચમહાલ: માંદગીના કારણે મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું થોડા સમય અગાઉ નિધન થતા ચૂંટણી પંચે આ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. આગામી ૧૭ માર્ચના રોજ આ પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીને લઈ સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. પેટાચૂંટણીના થોડા દિવસ પહેલા જ ભાજપમાં ભડકો થયો છે. એક સાથે અનેક સક્રિય કાર્યકર્તાઓએ ભાજપ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીનો સાથ પકડ્યો છે.

મોરવા હડફની વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિકોણીય જંગના એંધાણ વર્તાઈ રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ બાદ આપ પણ ઉમેદવાર મેદાનમાં ઉમેદવાર ઉતારવા સક્રિય બન્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ બેઠકોનો દોર શરૂ કરાયો છે. મોરવા હડફના ખૂંદરા ગામે કાર્યકર સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના સંનિષ્ઠ અગ્રણી સહિત કુલ ૩૦૦ જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જાેડાયા છે. ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અંર ન્યાય સમિતિના ચેરમેન ભાણાભાઈ ડામોર સહિત કેટલાક ભાજપ સમાર્થીત સરપંચ, કોંગ્રેસના પણ કેટલાક પૂર્વ હોદ્દેદારો આપમાં જાેડાયા છે.

ત્યારે પંમચહાલની પેટાચૂંટણી પહેલા સર્જાતી આ સ્થિતિ ભાજપ માટે મોટા ઝટકા સમાન છે. ભાજપમાં ગઈકાલે લેવાયેલી સેન્સ પ્રક્રિયામાં ૨૧ ઇચ્છુકોએ ટિકિટની માંગણી કરી છે. મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીને લઈને ગઈકાલે ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગી પ્રક્રિયાના શ્રીગણેશ કરાયા છે. ભાજપ દ્વારા જિલ્લા કાર્યાલય કમલમ ખાતે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. દાવેદાર ઉમેદવારો મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે કમલમ ખાતે આવી પહોંચ્યા હતા. પ્રદેશ કક્ષાએથી નિયુક્ત કરેલા નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ કક્ષાએથી જ્યોતિબેન પંડ્યા, હર્ષદભાઈ વસાવા, સતિષભાઈ પટેલને સેન્સ લેવાની જવાબદારી સોંપવામાં આવી છે. આગામી ૧૭ તારીખે મોરવા હડફ વિધાનસભાની પેચૂંટણી યોજાવાની છે.

અંદાજીત ૧૫ થી વધુ અગ્રણીઓએ મોરવા હડફ વિધાનસભા બેઠક માટે ભાજપ પક્ષ તરફથી દાવેદારી નોંધાવી છે. તો બીજી તરફ, મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થતા જ હવે તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે મતદારોને આકર્ષવાની કવાયતો તેજ કરી છે. મોરવા હડફ તાલુકો હવે રાજકીય પક્ષોનો અખાડો બની ગયો છે. તાજેતરમાં જ મોરવાના ઉમરદેવી ખાતે વિસ્તૃત કારોબારી બેઠક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. તો બીજી તરફ ભાજપનું અડધો અડધ મંત્રી મંડળનો કાફલો મોરવાના રામપુર ખાતે ઉમટી પડ્યો હતો.

પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના સંયોજનથી અસ્તિત્વમાં આવતી મોરવા હડફ વિધાનસભા બેઠક ભૌગોલિક અને રાજકીય સમીકરણોની રીતે ઘણી વિસંગતતાઓ ધરાવે છે. આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી આદિવાસી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. અને એ જ મુદ્દે અહીં અનેકવાર વિવાદો સર્જાયા છે. ગત ટર્મના આ બેઠકના વિજેતા અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટને જાતિ પ્રમાણપત્ર રદ્દ થતા સસ્પેન્ડ કરાયા હતા. જે સમગ્ર મામલાને ભુપેન્દ્રસિંહે કોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ આ વચ્ચે જ માંદગીના કારણે ભુપેન્દ્રસિંહ ખાંટનું થોડા સમય અગાઉ નિધન થયું હતું. જેના બાદ ચૂંટણી પંચે મોરવા હડફ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. આગામી ૧૭ માર્ચના રોજ આ પેટાચૂંટણી યોજાવાની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.