સરકાર વાંગચુકની તબિયતનું ધ્યાન રાખે : દિલ્હી હાઈકોર્ટ
અત્યાર સુધીમાં વાંગચુકનું વજન નવ કિલો ઘટી ગયું
અનિશ્ચિતકાળ સુધી ભૂખ હડતાળ પર ઉતરેલા સોનમ વાંગચુકના ઉપવાસને ગુરુવારે ૧૯ દિવસ થયા જીવન અમૂલ્ય છે
નવી દિલ્હી,દિલ્હીમાં જંતર-મંતર પર ૧૯ દિવસથી ભૂખ હડતાળ પર ઉતરેલા પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકની તબીયત કથળી છે ત્યારે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને વાંગચુકની તબિયતનું દૈનિક ધોરણે ધ્યાન રાખવા અને જરૂર પડે તો મેડિકલ સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યા છે. આ સાથે હાઈકોર્ટે કહ્યું કે, જીવન ખૂબ જ કિંમતી છે. બીજીબાજુ સોમવારે સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે જંતર-મંતરથી સંસદ સુધી રેલી યોજવાની હાકલના ભાગપરૂપે રેલીમાં ભાગ લેવા માટે ૧.૫ લાખ લોકોએ નોંધણી કરાવી હોવાનો કોક્રોચ જનતા પાર્ટીએ દાવો કર્યાે છે.
દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની બેન્ચે એક જાહેર હિતની અરજીની સુનાવણી કરતા સરકારી ડોક્ટરોને વાંગચુકની નિયમિત તપાસ કરવા જણાવ્યું અને જરૂર પડે તો તુરંત પગલાં લેવા સરકારને નિર્દેશ આપ્યા હતા. સુનાવણીમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ હાઈકોર્ટને કહ્યું કે, સોનમ વાંગચુકના સ્વાસ્થ્યની રોજેરોજ તપાસ થાય છે.બીજીબાજુ અનિશ્ચિતકાળ સુધી ભૂખ હડતાળ પર ઉતરેલા સોનમ વાંગચુકના ઉપવાસને ગુરુવારે ૧૯ દિવસ થયા હતા. તેમને હરવા-ફરવામાં તકલીફ થઈ રહી છે.
તેમણે એક વીડિયો શૅર કરતા કહ્યું કે તેમનું સ્વાસ્થ્ય સારું નથી, પરંતુ ખરાબ પણ નથી. અનેક સેલિબ્રિટીઓએ વાંગચુકને ઉપવાસ ખતમ કરવા વિનંતી કરી હતી, પરંતુ તેમણે ઉપવાસ ખતમ કરવાનો ઈનકાર કર્યાે હતો.વાંગચુકના સ્વાસ્થ્યની તપાસ કરનારા ડોક્ટર સતીશ લાંબાએ કહ્યું કે, ભૂખ હડતાળ શરૂ કર્યા પછીથી અત્યાર સુધીમાં તેમનું વજન નવ કિલો ઘટી ગયું છે. વાંગચુક સંભવિત ત્રીજા સ્તરનો સામનો કરી રહ્યા છે, જે ખતરનાક હોઈ શકે છે. તેમાં શરીરના મહત્વના અંગો પર અસર પડી શકે છે.બીજીબાજુ સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે કોક્રોચ જનતા પાર્ટીએ સોમવારે જંતર-મંતરથી સંસદ ભવન સુધી રેલીનું આયોજન કર્યું છે. જેમાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં ૧.૫ લાખ લોકોએ રેલીમાં ભાગ લેવા નોંધણી કરાવી છે.SS1
