Western Times News

Gujarati News

નરોડા સ્થિત SRP કેમ્પસમાં ઉગશે “મિયાવાંકી” જંગલ

IPS સુધા પાંડેની પ્રેરણાથી ટીમ એસ.આર.પીએ આખે આખા જંગલ ઉગાડવાનું બીડું ઝડપ્યું

૧૦૦ ચોમી વિસ્તારમાં ૩૦૦ જેટલા વૃક્ષો વાવી શકાય તેવી નવતર પધ્ધતિ

‘‘ પોલીસ ’’ શબ્દ કાને પડે કે તરત જ આમ આદમીના માનસપટ પર કરડાકીભર્યો ચહેરો. ખાખી વર્ધી અને હાથમાં ડંડા સાથેનું કેરેક્ટર છવાઈ જાય… જો કે પોલીસનું મુળ કામ તો કાયદો-વ્યવસ્થા જાળવવાનું છે પણ અમદાવાદમાં સૈજપુર નરોડા ખાતે આવેલ સ્ટેટ રિઝર્વ પોલીસ જૂથ 2 કેમ્પસમાં છેલ્લા કેટલાક દિવસથી પોલીસ જવાનો પર્યાવરણની સુરક્ષા કરવા કટિબધ્ધ બન્યા છે….માટી ખોદીને છોડના બદલે જંગલ વાવતા જવાનોનું દ્રશ્ય અહીં એકદમ આમ બની ગયું છે…

વૃક્ષ વાવવાના હોય  કે જંગલ…? જવાબ છે જંગલ…

આમ તો ચોમાસાની ઋતુમાં વૃક્ષ વાવવાનું અભિયાન આરંભાય  તે સહજ છે…પરંતુ એસ.આર.પી જૂથ 2 કેમ્પસમાં જંગલ વાવવાનું અભિયાન સામાન્યથી કંઈક અલગ છે.  પર્યાવરણ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ એવા એક આઈપીએસ પોલિસ અધિકારી સુધા પાંડે કમાન્ડન્ટ, એસઆરપી ગ્રુપ-2 એ પોતાના તાબા હેઠળના એસ.આર.પી કેમ્પના ગ્રીન કવરમાં ૧૦૦% વધારો કરવાના નિર્ધાર સાથે પરંપરાગત પધ્ધતિથી તદન વિપરીત જંગલ વાવવાનું અભિયાન હાથ ધર્યું છે.

સામાન્ય રીતે પરંપરાગત પધ્ધતિમાં ૧૦ થી ૧૫ ફૂટના અંતરે મોટે ભાગે વૃક્ષો આપણે વાવતા હોઈએ છીએ, પરંતુ આઈ.પી.એસ સુધા પાંડેએ ‘મિયાવાંકી’ પધ્ધતિથી વૃક્ષો વાવ્યા છે. શ્રી સુધા પાંડે કહે છે કે ‘‘ આ નવીન પધ્ધતિથી અત્યંત નાની જગ્યામાં ખૂબ નજીક નજીક, જુદી જુદી દેશી નસલના વૃક્ષો વાવવામાં આવે છે. જેથી માત્ર ૧૦૦ ચો.મી. વિસ્તારમાં પરંપરાગત રીતે વાવતા ૯થી ૧૨ વૃક્ષો સામે આ પદ્ધતિથી એટલા જ વિસ્તારમાં ૨૦ થી ૨૫ જાતિના અધધ 300 જેટલા વૃક્ષો વાવી શકાય છે…’’

આ પધ્ધતિથી કેમ્પસમાં પ્રથમ તબક્કે ૧૦૦ ચો.મી. વિસ્તારમાં ૨૮૫ રોપા, બીજા તબક્કામાં ૫૦૭ રોપા તથા ત્રીજા તબક્કામાં ૨૯૬ રોપા એમ માત્ર ૨૩ દિવસમાં ૧૦૮૮ રોપા વાવ્યા છે.  ૩૦૦ ચો.મી. વિસ્તારમાં બોરસલી, ખાખરા, ગુંદા, જંબુ, સપ્તપદી, શીશમ, કરાયુ, સવન, આંબલી, લીમડા, દાડમ, ખેર, સરગવો, ગુલમોર, રાયણ, કણજી, આસોપાલવ, કરણ, ચંપો, પથ્થરફાડ,સેતુર, પાલી, કાલીયાહાર જેવા વૃક્ષો વાવવામાં આવ્યા છે.

હજી આગામી સમયમાં એક તબક્કામાં ૩૦૦ વૃક્ષોનું ફુલોનું જંગલ, બાગાયતી રોપા  અને પાંચમાં તબક્કામાં ઔષધિ વન વાવવાનું આયોજન છે. જો કે આનો સંપૂર્ણ શ્રેય તેઓ એસ.આર.પી. જવાનોને આપે છે. તેઓ કહે છે કે અમારા જવાનોએ દિવસ રાત ખાડા ખોદી, ખાતર પણ જાતે બનાવ્યું છે કે પોતાના અંગત તબેલાઓમાંથી અપાવ્યું છે. એટલું જ નહી પરંતુ આ રોપાઓની માવજત પણ જતનથી કરે છે…એમ તેઓ ઉમેરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એસ.આર.પી. કેમ્પસ આમ તો ૭૦ એકરમાં ફેલાયેલું છે. લગભગ ૪,૦૦૦ વૃક્ષો તો પહેલેથી જ અહીં લહેરાઈ રહ્યા છે. કેમ્પના રહેણાક મકાનો અને કચેરીઓ, મેદાન વગેરે બાદ કરતાં બાકી બચતી  જગ્યાએ પરંપરાગત પધ્ધતિથી ૧૫૦૦ જેટલા વૃક્ષો માંડ વાવી શકાય તેમ હતું. પરંતુ આ જાપાની “મિયાવાંકી” પધ્ધતિથી ૧૫,૦૦૦ વૃક્ષો વાવી શકાશે. તેવો વિશ્વાસ સુધા પાંડે સહિત સમગ્ર જવાનોને છે.

પ્રથમ ત્રણ તબક્કાનું જંગલ વાવવા માટે જૂથના વેલ્ફેર ફંડમાંથી ખર્ચ કરાયો છે પરંતુ હવે સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ સહયોગ આપવાની તૈયારી બતાવી છે.  જાપાનના અકિરા મિયાવકી નામના વનસ્પતિશાસ્ત્રી દ્વારા શોધાયેલ આ પધ્ધતિથી જાપાનમાં ૪૦ થી વધુ વર્ષોથી સફળતાપૂર્વક વૃક્ષારોપણ થઈ રહ્યું છે. પરંતુ ભારતમાં અને વિશ્વના અન્ય ભાગોમાં પણ છેલ્લા કેટલાક સમયથી આ પધ્ધતિ લોકપ્રિય બની છે.

આ પધ્ધતિમાં અપનાવાતી પ્રક્રિયાનો ઉલ્લેખ કરી સુધા પાંડે કહે છે કે, ‘‘ આ પધ્ધતિથી વૃક્ષારોપણ કર્યા પછી માત્ર ૨ થી ૩ વર્ષ આ વૃક્ષોને પાણી આપવું પડે છે, અને તે જગ્યાને નિંદામણ રહિત રાખવાથી આ છોડ  આરપાર જોઈ ના શકાય તેવા જંગલમાં તબદીલ થઈ જાય છે. આ પધ્ધતિથી છોડ ૧૦ ગણા વધારે ઝડપથી વધે છે, ૩૦ ગણા વધારે ગાઢ બને છે, અનેક ગણો વધારે ઓક્સિજન આપે છે અને ૧૦૦% ઓર્ગેનિક હોય છે. માત્ર 3 વર્ષ પછી આ જંગલ આત્મનિર્ભર બની જાય છે અને તેને કોઈ પણ પ્રકારની માવજતની જરુર રહેતી નથી…’’ એમ તેઓ ઉમેરે છે…

આ પ્રયોગની જાણ થતાં ગુજરાતના ડીજીપી શ્રી શિવાનંદ ઝાના આદેશથી ગુજરાત પોલીસના તમામ એકમોના 135 જેટલા પ્રતિનિધિઓેને પણ આ પધ્ધતિથી વૃક્ષારોપણની તાલીમ અપાઈ છે.  “મિયાવાકી” પધ્ધતિમાં સર્વપ્રથમ જમીનને એક મીટર જેટલી ખોદી આ માટીમાં જૈવિક ખાતર,  કોકોપીટ ડાંગરનો ખોળ ઉમેરવામાં આવે છે, જેથી માટી પાણીને પકડી રાખે અને ભેજ જળવાઈ રહે. આ રીતે જમીનને જંગલ માટે તૈયાર કરવામાં આવે છે. એસ.આર.પી. જવાનો જાતે જ આ મહેનત કરીને જમીનને જંગલ માટે તૈયાર કરે છે.

એક એસ.આર.પી. જવાન કહે છે કે, ‘‘અમારા મેડમની પ્રેરણાથી જ અમે આ કામ કરવા પ્રેરાયા છે… અમે જેટલા કલાક કામ કરીએ છીએ તેટલો સમય મેડમ સતત હાજરી આપીને અમને માર્ગદર્શન આપતા રહે છે.. થોડાક સમયમાં અહીં જંગલ જોવા મળશે તે નિશ્ચિત છે..’’ એમ તે ઉમેરે છે…

અમદાવાદ એસ આર પી જૂથ ૨ ના સેનાપતિ અને પર્યાવરણ પ્રેમી સુધા પાંડે જણાવે છે કે, “મિયાવાકી” પધ્ધતિથી જો વૃક્ષારોપણ કરવામાં આવે તો ૧૦૦ વર્ષે બનતું જંગલ માત્ર ૧૦ વર્ષમાં તૈયાર થાય છે. પરંતુ જો વૃક્ષોને દૂર દૂર વાવવામાં આવે તો તે આટલી જલ્દી વધી શકતા નથી. આમ ‘મિયાવાકી’ પધ્ધતિથી વૃક્ષારોપણ કરાય તો આ જંગલના વૃક્ષો સામૂહિક રીતે એક બીજાનો સાથ આપીને કુટુંબની જેમ આગળ વધે છે અને જોત જોતામાં ૧૦૦ વર્ષે બનતું જંગલ ૧૦ વર્ષમાં તૈયાર થઇ જાય છે.  મિયાવાકી પધ્ધતિનો ઉપયોગ કરીને આજે કેન્યા, ઓસ્ટ્રેલિયા, કોરિયા, જાપાન, અમેરિકા, ભારત તથા દુનિયાના અલગ-અલગ દેશોમાં નાના મોટા જંગલો ઉગાડવામાં આવી રહ્યા છે.

અમારા જવાનોએ આ કાર્યને માત્ર સરકારી લક્ષ્યાંક પૂર્ણ કરવાના પ્રયાસ રુપે નહી પરંતુ પર્યાવરણ સુધારણના એક મિશન તરીકે અપનાવ્યું છે. તેના જ કારણે સમગ્ર જૂથની ટીમ એક ગ્રીન બ્રિગેડ તરીકે કામ કરી રહી છે,  અને આ મિશન ‘ક્લીન કેમ્પ-ગ્રીન કેમ્પ’ને સફળ બનાવી તેના ઉદાહરણથી અન્ય અનેકોને પર્યાવરણ સુધારણાના ભગીરથ કાર્ય માટે પ્રોત્સાહિત કરવા અને સહાય કરવા તત્પર બન્યાનો સંતોષ સુધા પાંડે વ્યક્ત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.