Western Times News

Gujarati News

વ્યસ્ત જીવન, બ્લડપ્રેશર, ફ્લુ, મેલેરિયા જેવા રોગનાં કારણે પણ માથામાં દુખાવો થતો હોય છે.

માથાનો દુખાવો થવા માટે કારણભૂત શારીરિક કે માનસિક અથવા એન્વાર્યમેન્ટલ સંજોગો જે કાંઈપણ હોય પરંતુ તેનાથી થતી પીડા મટાડવા રોગી આતુર બની જાય તે સ્વાભાવિક છે. માથાનો દુખાવો એ એક એવી શારીરિક પીડા છે, જેનો ભોગ લગભગ દરેક વ્યક્તિ ક્યારેક તેમના જીવનકાળ દરમ્યાન બને છે. માથાનો દુખાવો સ્વતંત્ર રોગ ભાગ્યે જ હોય છે.

મોટાભાગનાં કિસ્સામાં અન્ય રોગ, શારીરિક અનિયમિતતા અથવા સ્ટ્રેસને કારણે થતું લક્ષણ માત્ર હોઈ શકે છે.. શરીરનાં બધા જ અંગોમાં જે અંગ ઉત્તમ છે, સર્વોપરિ છે તેવા માથામાં જયારે પીડા થાય છે ત્યારે ગમે તેટલી સહનશક્તિ ધરાવતી વ્યક્તિ હોય દુખાવો દૂર કરવા પેઈનકિલર ટેબલેટનો સહારો લેવા મજબૂર બની જતી હોય છે.

ક્યારેક કોઈ વિશિષ્ટ પરિસ્થિતિને કારણે માથું દુખે ત્યારે આરામ કરીને, ઊંઘથી કે પછી પેઈનકિલરથી છુટકારો મેળવી લેવાય પરંતુ જયારે માથાનો દુખાવો ૩-૪ દિવસથી વધુ ચાલે, સામાન્ય પેઈનકિલરથી દુખાવો મટી ગયા બાદ ફરી પાછો દવાની અસર ઓછી થતાં દુખવા લાગે ત્યારે અથવા થોડા થોડા દિવસોનાં અંતરે વારંવાર માથાનાં દુખાવાની ફરિયાદ રહેવા લાગે ત્યારે દર્દી યોગ્ય સારવાર કરાવવાની જરૂરિયાત હોય છે.

Mo 9825009241

કેટલાંક લાંબો સમય પેઈનકિલર ખાધા રાખવાની આડઅસરને અવગણી અને ગોળીઓ ખાઈને પણ ચલાવવાથી પણ રિબાઉન્ડ હેડેકનો શિકાર બન્યા પછી માથાનો દુખાવો મટાડવા આતુર હોય છે.

માથું કેમ દુખે છે? પ્રત્યેક કિસ્સામાં કારણભૂત પરિસ્થિતિ, રોગ, શારીરિક-માનસિક લક્ષણોને કારણે મગજ સાથે જોડાયેલી નર્વસ, માથાનાં મસલ્સ સાથે જોડાયેલી નર્વસ, માથામાં, ડોકમાં, કાન, જડબામાં લોહીનું સંચારણ કરતી વેસલ્સ ઉઠતા અનિયમિત વેગ, ઈમ્પલ્સને પરિણામે માથામાં દુખાવાનું સંવેદન નાડીઓ દ્વારા થતું હોય છે.

માથાનાં સ્નાયુઓ અને લોહીની નળીઓ સાથે સંકળાયેલી ખાસ નાડીઓના ઉત્તેજનથી પીડાનાં સંકેતો ઉઠે છે પરંતુ આવા સિગ્નલ શી રીતે ઓન થાય છે તે વિશે આધુનિક વિજ્ઞાન સ્પષ્ટપણે સમજાવી શકતું નથી.

માથાનાં આવરણ વચ્ચે રહેલાં પ્રવાહીમાં મેનેન્જાઇટિસ કે અન્ય સંક્રમણ થવાથી, આવરણમાં સોજો આવવાથી, મગજને લોહી પહોંચાડતી નળીઓમાં વિકૃતિ થવાથી થતાં માથાનાં દુઃખાવાને પ્રાઈમરી હેડેક કહે છે. જાણીતા દુખાવાના એક પ્રચાર સૂર્યાવર્તને સૂર્યના ઉગવા અને ઉપર ચડવા ઉતારવા સાથે સંબંધ છે.

સૂર્યોદય પછી આ દુખાવો આગળના અર્ધા માથામાં શરૂ થાય છે. કારણકે માથામાં રહેલો કફ પીગળવાને, માથામાં રહેલા પિત્તને વધવાને સૂર્યના ઉગવા સાથે સંબંધ છે. ઉષ્ણ, તીક્ષ્ણ બનતો જાય અને ઉપર ચડતો જાય તેમ તેનાં સીધાં અને ઉગ્ર કિરણો દર્દીના માથામાં રહેલા દોષોંવ વધુ દોષિત કરે છે. મધ્યાહને શિર:શૂલ અસહ્ય બને છે .પણ જેવો સૂર્ય અસ્તાચલ તરફ ગતિ કરે છે કે તુરત ઉષ્ણ તીક્ષ્ણતા ઘટવાથી શાંત થતાં પીડા ઘટે છે. સાંજે અને રાત્રે સાવ આરામ જણાય છે.

આ ઉપરાંત અન્ય ઘણાં શારીરિક માનસિક અને બાહ્ય કારણોથી લક્ષણરૂપે માથું દુખે છે જેમાંના મુખ્ય પ્રકાર આ મુજબ છે. ક્રોનિક ડેઈલી હેડેક, ટેન્શન હેડેક, માઇગ્રેઈન , ક્લસ્ટર હેડેક,  સાયનસ હેડેક,  ,  પોસ્ટટ્રોમેટીક હેડેક, ઈજા કે અકસ્માતને કારણે થતો હેડેક.

આ ઉપરાંત થોડા વિશિષ્ટ કારણોથી થતાં હેડેકમાં વર્તમાન સમયમાં વધુ જોવા મળતા હેડેકમાં મુખ્યત્વે, હોર્મોન હેડેક, રિબાઉન્ડ હેડેક એક્સરસાઈઝ હેડેકનો સમાવેશ થાય છે. હાઈ બ્લડપ્રેશર, ફ્લુ, મેલેરિયા જેવા રોગનાં કારણે પણ માથામાં દુખાવો થતો હોય છે.

અહીં અમુક મુખ્ય પ્રકારનાં જ હેડેકનો ઉલ્લેખ કર્યો છે. વર્ગીકરણની દ્રષ્ટીએ દોઢસોથી વધુ પ્રકારનાં હેડેક જોવા મળે છે. હેડેકના પ્રકારો વિશે જણાવવાનો આશય એ છે કે, માત્ર માથાનો દુખાવો એવું માની ગમે તે રીતે દુખાવો દૂર કરી ચલાવી લેવાને બદલે માથું દુખવા માટે કારણભૂત રોગ, અન્ય કારણોને ધ્યાનમાં રાખી યોગ્ય ડાયગ્નોસિસનું મહત્વ જણાવું છું કેમકે જ્યાં સુધી કારણ દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી યોગ્ય ઉપચાર શક્ય નથી.

આયુર્વેદ શું જણાવે છે?

આયુર્વેદમાં ઉપર મુજબ જણાવેલા બધા જ હેડેક વિશેનાં કારણો, સિમ્પ્ટમ્સ અને ઉપચાર વિશે જણાવાયું છે. આયુર્વેદમાં ત્રિદોષ સિદ્ધાંતને અનુરૂપ વાયુ, પિત્ત, કફ, ત્રણેય દોષથી થતો, રક્તજ શિરોરોગ, ક્ષયક શિરોરોગ, કૃમિજ શિરોરોગ, સૂર્યાવર્ત, અનંત વાત-ગ્લુકોમાને કારણે થતો, અર્ધાવભેદક-માઇગ્રેન અને શંખક એમ ૧૧ પ્રકારનાં શિરોરોગનું વર્ણન છે.

દર્દીને થતાં માથાનાં દુખાવાનો સમય, કોઈ ખાસ ખોરાક કે ભોજનમાં સમય સાથેનો સંબંધ, પાચન તથા મળપ્રવૃત્તિ, દર્દીની લાઈફસ્ટાઈલ, ઊંઘના કલાકો ગુણવત્તા, કામધંધાનું, સામાજિક વાતાવરણ, સંજોગો, સ્ત્રીઓને માસિક સબંધિત તકલીફ વગેરે ખૂબ ચીવટપૂર્વકની કેસહિસ્ટ્રી અને ક્લિનીકલ ડાયગ્નોસિસ બાદ વૈદ રોગીની પ્રકૃતિ અને શિરોરોગ માટે જવાબદાર દોષોને ધ્યાનમાં લઈ નિદાન અને ઉપચાર બતાવે છે.

આ બધી વિગતોથી થતાં નિદાનનો ફાયદો એ થાય છે કે મૂળ કારણની જાણ થતાં ખૂબ સાદા અને કુદરતી ઉપાયોથી પણ કાયમી કે વારંવાર થતો હેડેક મટી જતો હોય છે.

પેઢામાં થતાં દબાણથી જડબા અને લમણાંમાં પ્રેશર થતાં માથામાં થતાં રિફર્ડ પેઈન માટે ધીરે ધીરે કઠીનાઈથી બહાર આવતી ડહાપણની દાઢ વિઝડમ ટૂથની આજુબાજુ સફાઈનું ધ્યાન રાખવાની સાથે સવાર સાંજ ઈરીમેદાદિ તેલનાં માલિશથી વર્ષ જૂનો માથાનો દુખાવો મટ્યો.

સામાન્ય ઉદાહરણ આપીને વાત કરું તો ૨૧ વર્ષનાં નવયુવાનને છેલ્લા વર્ષથી દુખતા માથાનું કારણભૂત નિદાન ડહાપણની દાઢ નીકળવી હતી. આવી જ રીતે સાયનસાયટીસ જેને કફજ શિરોરોગની ચિકિત્સામાં બતાવેલા ત્રિભુવનકિર્તી રસ, ષડબિંદુ તેલનાં નસ્ય અને વરાળીયો શેક અને સૂંઠ, ઘી, ગોળનાં નિયમિત સેવન જેવા સાદા ઉપચારો કારગત નીવડે છે, જેમાં સાયનસ હેડેક માત્ર નહીં, સાયનસમાં જામેલો કફ, સાયનસનો સોજો દૂર થઈ અને દર્દીનાં નાક, સાયનસ ગળાની આંતરત્વચાની ઇમ્યુનિટી વધવાથી સાયનસાઈટીસ પણ મટે છે.મહાવાતવિધ્વંસ રસ: 1-1 ગોળી ત્રણ કલાકે મધમાં, દૂધમાં કે ગરમ પાણીમાં આપવી.

સૂતશેખર રસ:1/4 ગ્રામ મધ, દૂધ,પાણીના અનુપાનથી આપવો..ગોદંતી ભસ્મ:1/2 ગ્રામ મધ,પાણીના અનુપાનથી આપવી. .શિરશૂલાદિ વજ્ર રસ:1-2 ગોળી પાણીમાં આપવી.

.પથ્યાદિ ક્વાથ:ગરમ ઉકાળામાં ગોળ મેળવી પીવરાવવી. હવે સરળ ઘરગથ્થુ ઉપચાર તરીકે ઉપયોગમાં લઇ શકીએ તેવા યોગોનો વિચાર કરીએ..ષડબિંદુ તેલની નાની બાટલી સારી ફાર્મસીમાંથી ખરીદી ઘરમાં રાખી મુકવી અને તેનું નસ્ય આપવું તથા તે તેલ કપાળે ઘસવું. ગોળમાં પાણી, સૂંઠ મેળવી તેનું નસ્ય આપવું.

દૂધમાં સૂંઠ નાખી તેનું નસ્ય આપવું. માથામાં, કપાળે અને ગરદન પર તલતેલ, દિવેલ કે ઘીનું માલીશ કરવું. ઘરમાં પંચગુણ તેલ હોયતો તેનું માલિશ કરવાથી ઝડપી પરિણામ જણાશે. સૂંઠનાં બારીક ચૂર્ણનું નસ્ય આપવું. કોઇપણ ઉષ્ણ તીક્ષ્ણ દ્રવ્ય પંચગુણ તેલ, બામ, અજમો, અમૃતબિંદુ, અજમેટનાં ફુલ વગેરે હાજર હોય તેનાથી નાસ લેવો.

.તેલ માલિશ કરીને કે અમસ્તો વરાળિયો સાદો શેક કરવો. કોઈ કિસ્સાઓમાં અપચો, કાયમી કબજીયાત કે હાયપર એસિડીટી જેવા કારણોથી માથું દુખે અને ઉલટી થયાં બાદ જ દુખાવો મટતો હોય ત્યારે માત્ર પેઈનકિલર ફાયદો નથી કરતી હોતી. પેઈનકિલરની સાથે હોજરી સાથે જોડાયેલ વેગસ નર્વનાં અનિયમિત સિગ્નલ્સને નિયમિત કરવા એન્ટીસ્પાઝમોડીક, વોમિટ બંધ કરે તેવી દવાઓનું કોમ્બીનેશન જ દુખાવો શાંત કરી રોગીને ઊંઘ આવે તો માથું દુખતું મટતું હોય છે.

આ મુજબની ટ્રીટમેન્ટ વારંવાર કરવી પડતી હોય ત્યારે આયુર્વેદનાં સિદ્ધાંતનુસાર પિત્તની વિકૃતિ સાથે આવૃત વાયુનાં લક્ષણોને પારખી વૈદ ચોક્કસ પ્રકારનાં ખોરાક, ધાણા વરિયાળીનું પાણી, શતાવરી, અવિપત્તિકર ચૂર્ણો જેવા પિત્ત મટાડે તેવા ઔષધોથી વાયુ પિત્ત તત્વનું સંતુલન થવાથી માથાનો દુખાવો, ઉલટી ઉબકા માટે છે.

અમુક કિસ્સાઓમાં નિયમિત એરંડભૃષ્ટ હરડે કે પછી પથ્યાદિ ક્વાથ જેવા સાદા વાનસ્પતિક ચૂર્ણો ખૂબ અસરકારક સાબિત થાય છે. આયુર્વેદાનુસાર દોષોની નિયમિતતાથી આંતરિક જૈવરાસાયણિક પ્રક્રિયામાં થતી વિકૃતિ દૂર કરવા માટે દવા, ખોરાક અને બાહ્ય ઉપચારથી કાયમી પરિણામ મળે છે.

અનુભવસિદ્ધ :ચિંતા, ભય, ક્રોધ, , અજંપા જેવી માનસિક પરિસ્થિતિને કારણે થતાં માથાનાં દુખાવા ટેન્શન હેડેકમાં બ્રાહ્મી, શંખપુષ્પી અને અશ્વગંધા ચૂર્ણો સરખાભાગે ભેળવી આ મિશ્રણ ૩ ગ્રામ જેટલું ઘી સાકર કે ગાયનાં દૂધ સાથે એકવાર લેવાથી ફાયદો થાય છે. સહચર તેલનાં પિચુધારણથી વ્યસ્ત જીવનમાં પણ તેલનો લાભ મળી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.