Western Times News

Gujarati News

– વેદાંતા સમગ્ર ભારતમાં 1,000 બેડની વધારાની ક્ષમતા ઊભી કરશે

રાષ્ટ્રીય આરોગ્ય કટોકટીમાં સરકારને ટેકો આપવા અનિલ અગ્રવાલે રૂ. 150 કરોડનું દાન કર્યું

– 10 લોકેશનમાં અદ્યતન ‘ફિલ્ડ હોસ્પિટલ્સ’માં ગંભીર સારવાર માટે બેડ ઊભા કરશે

– વેદાંતાના વ્યવસાયિક એકમો 700 કોવિડ બેડને સપોર્ટ કરે છે, જેની સંખ્યા વધારીને 1,000 કરવામાં આવશે

નવી દિલ્હી/મુંબઈ,  ભારતમાં ધાતુઓ, ઓઇલ અને ગેસની અગ્રણી ઉત્પાદક વેંદાતાના ચેરમેન અનિલ અગ્રવાલે કોવિડ 19ની ઝડપથી આગળ વધી રહેલી બીજી લહેર સામે દેશની લડાઈમાં મદદ કરવા રૂ. 150 કરોડનું દાન કર્યું છે.

ભારત સરકાર અને રાજ્યો સરકારના વિવિધ પ્રયાસોને ટેકો આપવા વેદાંતા લિમિટેડ સમગ્ર ભારતમાં 10 શહેરોમાં ગંભીર સારવાર માટે 1,000 બેડની વધારાની ક્ષમતા ઊભી કરશે. આ બેડ અદ્યતન ‘ફિલ્ડ હોસ્પિટલ્સ’માં સ્થાપિત થશે, જે જાણીતી અને પ્રતિષ્ઠિત હોસ્પિટલો સાથે જોડાયેલી હશે. દરેક સુવિધા કોવિડની સારવાર માટે ખાસ ડિઝાઇન કરવામાં આવેલા અને સંપૂર્ણ ઇલેક્ટ્રિકલ સપોર્ટ સાથે એર-કન્ડિશનડ ટેન્ટમાં 100 બેડ હશે. જ્યારે ગંભીર સારવારની સુવિધા ઓક્સિજનના સપોર્ટ સાથે સજ્જ 90 બેડ ધરાવશે, ત્યારે બાકીના બેટ વેન્ટિલેટર સપોર્ટ ધરાવશે.

આ પહેલ પર વેદાંતાના ચેરમેન શ્રી અનિલ અગ્રવાલે કહ્યું હતું કે, “હું કોવિડ-19ની બીજી લહેરની અસર અને કિંમતી જાનહાનિ જોઈને અતિ ચિંતિત અને વ્યથિત છું. વેદાંતા ગ્રૂપે રોગચાળા સામેની અમારી પ્રતિબદ્ધતા સ્વરૂપે રૂ. 150 કરોડની દાન કર્યું છે. અમે આ મુશ્કેલ સ્થિતિસંજોગોમાં આપણી સરકાર અને આપણી દેશવાસીઓ સાથે છીએ. અમારું માનવું છે કે, આ વધારાની માળખાગત સુવિધા તાત્કાલિક સ્થાપિત થશે, જે આ જીવલેણ વાયરસથી અસરગ્રસ્ત લોકો માટે અતિજરૂરી રાહત પ્રદાન કરશે. વેદાંતા આપણા સેવાભાવી ડૉક્ટર્સ અને આરોગ્યકર્મીઓ માટે આવશ્યક તબીબી સાધનસામગ્રી પણ પ્રદાન કરશે. અમે શક્ય તમામ સહાય કરવાનું જાળવી રાખીશું, જે આપણને આ કટોકટીમાંથી બહાર નીકળવામાં મદદરૂપ થશે.”

જે રાજ્યોમાં ગંભીર સારવાર માટેના બેડની વધારાની ક્ષમતા ઊભી થશે એ રાજ્યો છે – રાજસ્થાન, ઓડિશા, છત્તિસગઢ, ઝારખંડ, ગોવા, કર્ણાટક અને દિલ્હી એનસીઆર. કંપનીએ 14 દિવસની  અંદર સુવિધાનો પ્રથમ સેટ તૈયાર કરવાનો અને કાર્યરત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે તથા બાકીની સુવિધાઓ 30 દિવસની અંદર વધારવામાં આવશે. વેદાંતા અંદાજે લઘુતમ 6 મહિના સુધી આ સહાય કરશે.

વેદાંતા જરૂરિયાત હોય ત્યાં તબીબી સુવિધાઓ અને હોસ્પિટલ કેર પ્રદાન કરવા સરકારી સંસ્થાઓ અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે કાર્યરત છે. અત્યારે કંપની એના વ્યાવસાયિક સ્થાનોમાં કોવિડ દર્દીઓ માટે આશરે 700 બેડ ધરાવે છે, જે નજીકના ગાળામાં વધીને 1,000 થશે.

દરમિયાન હિંદુસ્તાન ઝિંક (એચઝેડએલ), ઇએસએલ અને સેસા ગોવા આયર્ન ઓર બિઝનેસે વેદાંતા કેર્સ પહેલના ભાગરૂપે કોવિડ-19 દર્દીઓને ઓક્સિજનનો પુરવઠો વધારવા પગલાં લીધા છે. અત્યારે એચઝેડએલ દરરોજ ઓક્સિજનનો 5 ટન (પ્રવાહી ઓક્સિજનની 100 ટકા ક્ષમતા) પુરવઠો પૂરો પાડે છે, જેનો ઉપયોગ તબીબી સારવાર માટે થઈ શકશે અને વધુ 2થી3 ટન વધારવાની પ્રક્રિયા ચાલુ છે.

જ્યારે સેસા ગોવા આયર્ન ઓર બિઝનેસ ગોવાની રાજ્ય સરકાર અને હોસ્પિટલોને દરરોજ 3 ટન પ્રવાહી તબીબી ઓક્સિજન (એલએમઓ) પૂરો પાડે છે, ત્યારે વેદાંતા ગ્રૂપની સ્ટીલ ઉત્પાદક ઇએસએલએ એલએમઓ માટે બોકારો નજીક પ્લાન્ટ રજિસ્ટર કરાવ્યો છે અને દરરોજ 10 ટન ઓક્સિજનનો પુરવઠો પ્રદાન કરવા કટિબદ્ધ છે.

સ્ટર્લાઇટ કોપરને એના તુતિકોરિન પ્લાન્ટમાંથી ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવા સર્વોચ્ચ અદાલતે મંજૂરી આપી છે. સ્ટર્લાઇટ કોપરનો ઓક્સિજન પ્લાન્ટ દરરોજ 1000 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.

વેદાંતાએ અમારા કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે બલ્કમાં રસી ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે. અત્યાર સુધી 5,000થી વધારે કર્મચારીઓ અને પરિવારના સભ્યોનું રસીકરણ થયું છે તથા અમે આગામી દિવસોમાં વેદાંતા પરિવાર અને અમારા વ્યાવસાયિક ભાગીદારોને સંપૂર્ણપણે આવરી લઇશું.

કંપનીએ રાજસ્થાન, ઓડિશા, છત્તિસગઢ, ઝારખંડ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં ‘ડૉક્ટર ઓન કૉલ’ સુવિધા સાથે નંદ ઘર સમુદાય માટે ટેલીમેડિસિન પ્રોગ્રામ શરૂ કર્યો છે. વળી કંપનીએ તમામ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને તબીબી સહાય પ્રદાન કરવા અપોલો હોસ્પિટલ સાથે 24/7 ડેડિકેટેડ હેલ્પલાઇન પણ શરૂ કરી છે.

ગયા વર્ષે વેદાંતાએ કોવિડ કટોકટીને પગલે રૂ. 201 કરોડનું દાન કર્યું હતું. એમાં પીએમ-કેર્સ ફંડમાં પ્રદાન સામેલ છે. વેદાંતા ત્રણ ચોક્કસ ક્ષેત્રોમાં સેવા કરવા કટિબદ્ધ છે – સમગ્ર દેશમાં દૈનિક વેતન કામદાર, એના તમામ પ્લાન્ટમાં કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ પાર્ટનર્સને નિવારણાત્મક હેલ્થ કેર અને સપોર્ટ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.