Western Times News

Gujarati News

રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર રાહુલ અને તેમની બહેને શ્રદ્ધાંજલિ આપી

નવીદિલ્હી: આજે દેશનાં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે. આ પ્રસંગે, તમામ રાજકીય પક્ષો રાજનેતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રાજીવ ગાંધીને કોંગ્રેસ પાર્ટી અને નેતાઓએ પણ આજે યાદ કર્યા છે.

દેશનાં પૂર્વ વડા પ્રધાન અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનાં પિતા રાજીવ ગાંધીની આજે ૩૦ મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે કોંગ્રેસ પાર્ટીનાં અનેક દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીવ ગાંધીને ટ્‌વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. રાહુલે રાજીવ ગાંધીનો એક ફોટો ટ્‌વીટ કરીને કહ્યું કે, “સત્ય, કરુણા અને પ્રગતિ”. આ ઉપરાંત રાહુલ ગાંધી વીર ભૂમિ સ્થળે પણ પહોંચ્યા, જ્યાં તેમણે તેમના પિતાની સમાધિ પર પુષ્પાંજલી અર્પણ કરી.

રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ એક ટ્‌વીટ કર્યું છે. તેમણે કહ્યું છે કે, “પ્રેમ કરતા મોટી કોઈ શક્તિ નથી હોતી અને દયાથી મોટી કોઈ હિંમત હોતી નથી, કરુણાથી મોટી કોઈ શક્તિ હોતી નથી અને વિનમ્રતાથી મોટુ કોઈ ગુરુ નથી.”

પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની ૨૧ મે ૧૯૯૧ નાં રોજ તમિળનાડુનાં શ્રીપેરમ્બદુરમાં હત્યા કરવામાં આવી હતી. રાજીવ ગાંધી ચૂંટણી સભાને સંબોધન કરવા અહીં પહોંચ્યા હતા. ત્યારે એક મહિલા આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટ દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરી હતી. આ ઘટનામાં આત્મઘાતી મહિલા ધનુ સહિત અન્ય ૧૪ લોકો માર્યા ગયા હતા અને સંભવતઃ આ પહેલો આત્મઘાતી વિસ્ફોટ હતો જેમાં કોઈ મોટા નેતાની હત્યા કરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.