Western Times News

Gujarati News

18 થી 44 વર્ષની વય જૂથની વ્યક્તિઓને પણ હવેથી વૉક-ઈન વૅક્સિનેશન

Files Photo

વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા 21મી જૂનથી રાજ્યવ્યાપી કૉવિડ વેક્સિનેશન મહાઅભિયાન*

સૌને વિનામૂલ્યે વેક્સિન માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

*રાજ્યભરમાં 1,025 સ્થળોએ વેક્સિન ઉત્સવ : મંત્રીશ્રીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહેશે*

સૌને સરળતાથી રસી મળે એ માટે રસીકરણ કેન્દ્રો વધારીને 5,000 કરાયા

કોવિડ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા તા. 21મી જૂનને સોમવારથી રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, વેક્સિનેશન માટે સહુ સજાગ થાય અને હર એક વ્યક્તિ વેક્સિન લે એટલું જ નહીં વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયું છે.

33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકા વિસ્તારના 1025 રસીકરણ કેન્દ્રો પર મંત્રીઓ, આગેવાનો, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં 21મી જૂને સવારે 9.00 વાગ્યે વેક્સિન ઉત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરના સેક્ટર-8 ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વૅક્સિન ઉત્સવમાં ભાગ લેશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વ્યાપક અને સમયબદ્ધ વેક્સિનેશન માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો છે.

તેમણે કહ્યું હતું કે, ગુજરાતના તમામ નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન મળી રહે એ માટે ભારત સરકારે વેક્સિનનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવ્યો છે. રાજ્યમાં તમામ વયજૂથના નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન અપાશે.

18 થી 44 વર્ષની વય જૂથના યુવાનોના વેક્સિનેશન માટે પણ રાજ્ય સરકારે પૂરતું આયોજન કર્યું છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, એકવીસમી જૂન થી યુવાનોને વેક્સિનેશન માટે અગાઉથી રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે.

હવેથી દરેક વ્યક્તિ વૉક-ઈન વૅક્સિન લઇ શકશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં દરેક નાગરિકોને ઘરઆંગણે આસાનીથી વેક્સિન ઉપલબ્ધ કરાવી શકાય એ માટે રાજ્યમાં વેક્સિનેશન બૂથની સંખ્યા પણ વધારીને 5,000 કરવામાં આવી છે.

ગુજરાત વેક્સિનેશનમાં અગ્રીમ હરોળમાં છે. તા. 20 મી જૂન સુધીમાં 2 કરોડ, 20 લાખ ડોઝ સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. ફ્રન્ટલાઈન વોરિયર્સ અને 44 થી વધુ વયના લોકોના વેક્સિનેશનમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં અગ્રેસર છે.

એટલું જ નહીં પ્રતિ મિલિયન વ્યક્તિનો વેક્સિનેશન રેશિયોમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 45 વર્ષથી વધુ વયના નાગરિકોને વેક્સિનેશનના 1,38,12,595 ડોઝ અપાયા છે. જ્યારે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વૉરિયર્સને 30,75,163 વેક્સિન ડોઝ અપાયા છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, કોરોના સામે લડવું હશે તો વેક્સિન જ એક માત્ર અમોઘ શસ્ત્ર છે. નિષ્ણાતો અને તજજ્ઞો કોરોનાના ત્રીજા વેવની સંભાવના જોઈ રહ્યા છે ત્યારે આપણે વધુ ને વધુ લોકોને સુરક્ષિત અને સલામત કરી શકીએ એ જ આપણું લક્ષ્ય છે. અને એ માટે કોરોનાની વેક્સિન સિવાય બીજો કોઈ ઉપાય નથી.

મંત્રી શ્રી આર.સી.ફળદુ જામનગરના વેક્સિનેશન સેન્ટરોની મુલાકાત લેશે. જ્યારે મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા ધોળકાની સરસ્વતી સ્કૂલના વેક્સિનેશન સેન્ટરમાં ઉપસ્થિત રહેશે. શ્રી કૌશિકભાઈ પટેલ અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં શાંતિનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉજવણીમાં ભાગ લેશે. મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લીમોદરા હેલ્થ સબ સેન્ટરમાં હાજરી આપશે

અને પછી તરસાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે પણ ઉપસ્થિત રહેશે. મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા દેવભૂમિ દ્વારકા ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલ, દ્વારકામાં ઉજવણીમાં જોડાશે. મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકોર પાટણ જિલ્લાના હારિજમાં શાળા નંબર- 2 ના વેક્સિનેશન સેન્ટરમાં હાજરી આપશે. મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર સુરત જિલ્લાના બારડોલીમાં ઉમરાખ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહેશે.

મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા જસદણ સી.એચ.સી. સેન્ટર ખાતે ઉજવણીમાં ભાગ લેશે. મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સરદારનગર પી.એચ.સી.માં ઉપસ્થિત રહેશે.

મંત્રી શ્રી બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રછવા પી.એચ.સી.માં હાજરી આપશે અને દાહોદ અર્બન હૉસ્પિટલ ખાતે પણ ઉપસ્થિત રહેશે. જ્યારે મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર પંચમહાલ જિલ્લાના હાલોલ વેક્સિનેશન સેન્ટરમાં વેક્સિન ઉત્સવમાં ભાગ લેશે.

મંત્રીશ્રી વાસણભાઇ આહિર કચ્છમાં ભુજ તાલુકાના ધાણોટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હાજરી આપશે. મંત્રી શ્રી રમણભાઈ પાટકર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઘોડિયાડાના વેક્સિનેશન સેન્ટરમાં હાજરી આપશે. મંત્રી શ્રી કુમારભાઈ કાનાણી સુરત જિલ્લાના સરથાણામાં કોમ્યુનિટી હોલ ખાતે ઉપસ્થિત રહેશે.

મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ વડોદરાના માંજલપુરમાં આત્મીય ધામ અને સ્પોર્ટ્સ કોમ્પલેક્સ વેક્સિનેશન સેન્ટરમાં હાજરી આપશે, જ્યારે મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગર ફિઝીયોથેરાપી કોલેજના વૅક્સિનેશન સેન્ટરમાં ઉજવણીમાં ભાગ લેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.