ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યાનું રાજીનામુ
દેહરાદૂન, ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યએ બુધવારે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. મૌર્યએ બે દિવસ પહેલા નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમના રાજીનામા બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમને ઉત્તર પ્રદેશમાં ભાજપ તરફથી કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે કે પછી તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી તરફથી મેદાનમાં ઉતરી શકે છે.
રાજ્યપાલના સચિવ બૃજેશ કુમાર સંતે રાજીનામાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, તેમણે પોતાનું રાજીનામુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી આપ્યુ છે, જેનો હજુ સ્વીકાર થયો નથી.
૧૯૫૬માં જન્મેલા બેબી રાની મૌર્ય ઓગસ્ટ ૨૦૧૮માં કૃષ્ણ કાંત પોલની જગ્યાએ ઉત્તરાખંડના રાજ્યપાલ બન્યા હતા. અહીંના રાજ્યપાલ બન્યા પહેલા તેઓ ૧૯૯૫થી ૨૦૦૦ સુધી આગરાના મેયર રહી ચુક્યા છે.
મૌર્યા ઉત્તરાખંડના બીજા મહિલા રાજ્યપાલ હતા. આ પહેલા માર્ગરેટ અલ્લા ઓગસ્ટ ૨૦૦૯થી મે ૨૦૧૨ સુધી ઉત્તરાખંડના રાજ્યપાલ રહી ચુક્યા છે. મૌર્યાના રાજીનામાની સાથે ઉત્તરાખંડના આગામી રાજ્યપાલ કોણ હશે, તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ પહેલાં આજે ભાજપે ઉત્તર પ્રદેશ સહિત ૫ ચૂંટણી રાજ્યો માટે ચૂંટણી પ્રભારીની જાહેરાત કરી છે.HS