Western Times News

Gujarati News

ગામડાના દરેક પરિવાર પર સરેરાશ ૬૦ હજાર, તો શહેરમાં ૧.૨ લાખનું દેવુ

નવીદિલ્હી, એનએસઓના તાજેતરના અહેવાલ મુજબ ગ્રામીણ ભારતમાં પરિવાર દીઠ સરેરાશ દેવું રૂ .૬૦,૦૦૦ની આસપાસ છે, જ્યારે શહેરી ભારતમાં પરિવાર દીઠ સરેરાશ દેવું ૧.૨ લાખ રૂપિયા છે. ગ્રામીણ ભારતમાં, ૩૫ ટકા પરિવારો દેવાના બોજ હેઠળ છે જ્યારે શહેરી ભારતમાં માત્ર ૨૨ ટકા પરિવારો પર કોઈ પણ પ્રકારનું દેવું છે.

આ રિપોર્ટ અનુસાર, ગ્રામીણ ભારતમાં કૃષિ આધારિત પરિવારો પર સરેરાશ દેવું ૭૪,૪૬૦ રૂપિયા છે જ્યારે બિન કૃષિ પરિવારો પર સરેરાશ દેવું ૪૦,૪૩૨ રૂપિયા છે. શહેરી ભારતમાં સ્વ રોજગારી સામે સરેરાશ લોન ૧.૮ લાખ રૂપિયા છે અને અન્ય પરિવારો માટે ૯૯,૩૫૩ રૂપિયા છે.

ગ્રામીણ ભારતમાં ૬૬ ટકા લોન સંસ્થાકીય ધિરાણ એજન્સીઓ જેવી કે બેંકો, પોસ્ટ ઓફિસ છે, જ્યારે ૩૪ ટકા લોન બિન-સંસ્થાકીય એજન્સીઓ (વ્યાવસાયિક શાહુકારો) છે. શહેરી ભારતમાં બિન-સંસ્થાકીય એજન્સીઓ પાસેથી લોનનો હિસ્સો માત્ર ૧૩ ટકા છે. ૮૭ ટકા સંસ્થાકીય સંસ્થાઓ પાસેથી લેવામાં આવેલી લોન છે.એનએસઓના સર્વે રિપોર્ટ અનુસાર, ૨૦૧૯માં ૫૦ ટકાથી વધુ કૃષિ પરિવારો દેવા હેઠળ હતા અને તેમના પર પ્રતિ પરિવાર સરેરાશ ૭૪,૧૨૧ રૂપિયાનું દેવું હતું.

સર્વેમાં જણાવાયું છે કે તેમની કુલ બાકી લોનમાંથી માત્ર ૬૯.૬ ટકા બેન્ક, સહકારી અને સરકારી એજન્સીઓ જેવા સંસ્થાકીય સ્ત્રોતોમાંથી આવ્યા છે. જ્યારે ૨૦.૫% લોન વ્યાવસાયિક શાહુકારો પાસેથી લેવામાં આવી હતી. આ મુજબ, કુલ લોનના ૫૭.૫ ટકા કૃષિ હેતુઓ માટે લેવામાં આવી હતી.સર્વેમાં જણાવ્યું હતું કે, “લોન લેતા કૃષિ પરિવારોની ટકાવારી ૫૦.૨ ટકા છે. તે જ સમયે, કૃષિ પરિવાર દીઠ બાકી લોનની સરેરાશ રકમ ૭૪,૧૨૧ રૂપિયા છે.

એનએસઓએ જાન્યુઆરી-ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન દેશના ગ્રામીણ વિસ્તારોમાં પારિવારિક જમીન અને પશુધન સિવાય કૃષિ પરિવારોની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું. સર્વે અનુસાર, કૃષિ વર્ષ ૨૦૧૮-૧૯ (જુલાઈ-જૂન) દરમિયાન કૃષિ પરિવાર દીઠ સરેરાશ માસિક આવક ૧૦,૨૧૮ રૂપિયા હતી. તેમાંથી વેતનમાંથી કુટુંબ દીઠ સરેરાશ આવક રૂ. ૪,૦૬૩, પાક ઉત્પાદન રૂ. ૩,૭૯૮, પશુપાલન રૂ. ૧,૫૮૨, બિન-કૃષિ વ્યવસાય રૂ .૬૪૧ અને જમીન લીઝ રૂ. ૧૩૪ હતી.

દેશમાં કૃષિ પરિવારોની સંખ્યા ૯.૩ કરોડ હોવાનો અંદાજ છે. આમાંથી અન્ય પછાત વર્ગ (ઓબીસી) ૪૫.૮ ટકા, અનુસૂચિત જાતિ ૧૫.૯ ટકા, અનુસૂચિત જનજાતિ ૧૪.૨ ટકા અને અન્ય ૨૪.૧ ટકા છે. સર્વે મુજબ ગામડાઓમાં રહેતા બિન કૃષિ પરિવારોની સંખ્યા ૭.૯૩ કરોડ હોવાનો અંદાજ છે. તે પણ બહાર આવ્યું છે કે ૮૩.૫ ટકા ગ્રામીણ પરિવારો પાસે એક હેક્ટરથી ઓછી જમીન છે.

જ્યારે માત્ર ૦.૨ ટકા પાસે ૧૦ હેક્ટરથી વધુ જમીન છે.દરમિયાન, અન્ય એક અહેવાલમાં એનએસઓએ જણાવ્યું હતું કે ૩૦ જૂન, ૨૦૧૮ ના રોજ, ગ્રામીણ વિસ્તારોમાં લોન લેનારા પરિવારોની ટકાવારી ૩૫ (૪૦.૩ ટકા કૃષિ પરિવારો, ૨૮.૨ ટકા બિન કૃષિ પરિવારો) હતી જ્યારે શહેરી વિસ્તારોમાં તે ૨૨.૪ ટકા હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.