Western Times News

Gujarati News

ભાજપે સોનોવાલ અને મુરુગનને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા!

નવીદિલ્હી, ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે સર્બાનંદ સોનોવાલ અને એલ મુરુગનને ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે આસામથી સર્બાનંદ સોનોવાલ અને મધ્યપ્રદેશમાંથી એલ મુરુગનને મેદાનમાં ઉતાર્યા છે. તમને જણાવી દઈએ કે, બંને નેતાઓનો તાજેતરમાં મોદી કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સર્બાનંદ સોનોવાલ અને એલ મુરુગન જ્યારે કેબિનેટમાં સામેલ થયા ત્યારે તે સંસદ સભ્ય નહોતા. આ સ્થિતિમાં તેમણે ૬ મહિનામાં સંસદનું સભ્યપદ લેવું પડે. રાજ્યસભાના સભ્ય બન્યા બાદ બંને નેતાઓને સંસદનું સભ્યપદ મળશે.

સર્બાનંદ સોનોવાલને મોદી કેબિનેટમાં કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા હતા, જ્યારે એલ મુરુગનને કેન્દ્રીય રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. સોનોવાલ કેબિનેટમાં સામેલ થયા પહેલા આસામના મુખ્યમંત્રી હતા, પરંતુ ત્યાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ સોનોવાલની જગ્યાએ હિમંત બિસ્વા સરમાને સીએમ બનાવવામાં આવ્યા હતા.

રાજ્યસભાની સાત બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં બે બેઠકો ભાજપના ખાતામાં આવશે. આ સાત બેઠકોમાંથી છ માટે પેટા ચૂંટણી યોજાશે, જ્યારે પુડુચેરીની એક બેઠક પર મતદાન થશે. જે ૬ બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે તેમાં તમિલનાડુમાં ૨ અને પશ્ચિમ બંગાળ, આસામ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં ૧-૧ નો સમાવેશ થાય છે. વિવિધ સાંસદોના રાજીનામા બાદ પાંચ બેઠકો ખાલી પડી હતી અને કોંગ્રેસના રાજીવ સાતવના નિધન બાદ એક બેઠક ખાલી પડી હતી. આ બેઠકો પર ૪ ઓક્ટોબરે મતદાન થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.