Western Times News

Gujarati News

સુરતના સાયણમાં બે દિવસમાં ઝાડા-ઊલ્ટી-તાવના ૧૫૦થી વધુ કેસ

પ્રતિકાત્મક

સુરત, સુરત જિલ્લામાં સાયણના આદર્શનગર ૨ અને ૩માં તૂટેલા ગટરલાઈન અને સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકીને કારણે પીવાનું પાણી દૂષિત થતાં બે જ દિવસમાં ઝાડા ઉલ્ટીના ૧૫૦થી વધુ કેસ નોંધાયા છે. જેમાં આદર્શનગર-૩માં રહેતા એક ૫ વર્ષના બાળક અમન કમલેશ રાયનું ઝાડા ઉલ્ટી અને તાવ બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગત વર્ષ બાદ ફરી આ વર્ષે પણ સાયણમાં રોગચાળો વકર્યાે છે.

ગામના નીચાણવાળા અને પરપ્રાંતીય શ્રમિકોની વસ્તી ધરાવતા આદર્શનગર ૧,૨ અને ૩માં સ્વચ્છતા અને આરોગ્યલક્ષી કામગીરી ન થવા ઉપરાંત ડ્રેનેજની લાઈનોનું સમયસર રીપેરીંગ કે ગંદકી યુક્ત પાણીનો નિકાલ ન થતા મચ્છરોને ઉપદ્રવ થાય છે.

આટલું જ નહિ પણ અહીં પીવાના પાણી અને ડ્રેનેજની પાઈપલાઈન એકસાથે જ નાંખવામાં આવેલી હોવાથી ડ્રેનેજના પાણી પીવાના પાણીની લાઈનમાં ભળતાં પીવાનું દૂષિત પાણી આવે છે. આદર્શનગર-૨ અને ૩ની વાત કરીએ તો અહીં ગ્રામ પંચાયત દ્વારા ડ્રેનેજની પૂરતી વ્યવસ્થા ન કરવા સાથે જે લાઈન નાંખી છે. તે પણ તૂટેલી હાલતમાં હોવાથી મળમૂત્ર વાળા પાણીનો ઠેર-ઠેર જાહેર સ્થળોએ ભરાવો થાય છે.

આ વિસ્તારમાં ફરીવાર રોગચાળો ફેલાતા બે જ દિવસમાં ઝાડા ઉલ્ટીના ૧૫૦થી વધુ કેસો નોંધાયા, જ્યારે ૩ દિવસ અગાઉથી રોગચાળો ફેલાયો હોય અહીંના લોકોએ ગ્રામ પંચાયતને ફરિયાદ કરવા છતાં કોઈપણ પ્રકારે કામગીરી ન કરતા શુક્રવારની રાત્રે અનેક લોકોને સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મોડી રાત્રિથી જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી સ્ટાફને તપાસમાં કામે લગાડવા સાથે બીમાર લોકોને પ્રાથમિક સારવાર આપી હતી. આદર્શ નગર સોસાયટી ૨ અને ૩માં હાલ રોગચાળો ફેલાયો છે જ્યારે અહીં જેવી જ હાલત આજુબાજુની સોસાયટીઓમાં પણ થઈ છે. ત્યારે ઉભરાતી ગટરો અને પીવાના દૂષિત પાણીએ અન્ય સોસાયટીઓમાં પણ રોગચાળો ફેલાવાની રહીશોમાં દહેશત ફેલાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.