Western Times News

Gujarati News

મેઘરાજાએ રાજ્યમાં અનેક સ્થળે ખેલૈયાને નિરાશ કર્યા

File

અમદાવાદ, ગત વર્ષે કોરોનાના કારણે નવરાત્રીના આયોજન ન થયા બાદ આ વર્ષે શેરી ગરબાને શરતોને આધીન છૂટછાટ મળતાં ખેલૈયાઓ આનંદમાં હતાં જાેકે મેઘરાજાને આ ખુશી ન જાેઈ શકાતી હોય તેમ રાજ્યમાં અનેક વિસ્તારમાં પહેલા અને બીજા નોરતે વરસાદે રંગમાં ભંગ પાડ્યો હતો.

ગઈકાલે બીજા નોરતાની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ બે કલાકમાં ભારે પવન અને ગાજવીજ સાથે ૨ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વરાછા સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે પુણા ગામમાં પુણા ગામ રાજ પેલેસ એચ વિંગના પાણીના ટાંકા પર વીજળી પડતા સિમેન્ટના ટાંકાનો કોર્નર તોડી નાખ્યો હતો.

તો સૌરાષ્ટ્રમાં પણ બીજા નોરતે મેઘરાજાની વરસીને નવરાત્રીના ઉત્સાહ પર પાણી ફેરવ્યું હતું. રાજકોટ, જસદણ અને સરધાર પંથકમાં અડધી કલાકમાં ગાજવીજ સાથે દોઢ ઇંચ વરસાદ પડી જતાં રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતા થયા હતા. જસદણના કોઠી ગામમાં ભારે વરસાદથી રસ્તા નદી-નાળામાં ફેરવાયા હતા.

રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા પાંચથી વધુ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો ભાવનગર જિલ્લામાં મેઘરાજાની અચાનક હાજરીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાલીતાણામાં સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત ઉમરાળા, જેસર અને સિહોરમાં પણ હળવાથી ભારે ઝાપટા પડ્યા હતાં.

ઉપરવાસમાં ભારે વરસાદથી સિહોરનું ગોમતેશ્વર તળાવ ફરી એકવાર ઓવરફ્લો થતાં તંત્રને તળાવના ૩ દરવાજા ખોલવાની ફરજ પડી હતી. બીજી બાજુ અમદાવાદના ઘણાં વિસ્તારો અને આણંદ શહેરમાં પણ શુક્રવારના બપોરે અચાનક વરસાદ ઘેરાયો હતો અને બઘડાટી બોલાવી હતી. ભારે પવન સાથે અચાનક વરસાદનું ઝાપટુ આવતાં અહીં રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મહત્વનું છે કે વિદાય થઈ રહેલા મેઘરાજા રાજ્યમાં હજુ પણ થોડા દિવસ સુધી ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. આ વર્ષે કોરોનાની અસર ઓછી હોવાથી શેરી ગરબાના આયોજનોને મંજૂરી આપવામાં આવી હતી. જાેકે સતત બે નોરતાથી રોજ વરસાદ થોડીવાર ધોધમાર વરસીને નવરાત્રીની મજા બગાડી રહ્યો છે.

રાજ્યના હવામાન વિભાગ મુજબ હજુ પણ આગામી ૪ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. ચોમાસુ વિદાઈ લઈ રહ્યું છે પરંતુ અરબ સમુદ્રમાં રહેલી સિસ્ટમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ લાવી શકે છે.

આ દરમિયાન ગાજવીજ સાથે ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં અરબ સમુદ્રમાં હજુ પણ ભેજનુ પ્રમાણ ખાસ્સુ વધારે છે. જેના કારણે આગામી દિવસોમાં વીજળીના કડાકાભડાકા અને પવન સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.