આરેમાં વૃક્ષ ન કાપવા માટે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/10/aarey.jpg)
વૃક્ષોને કાપવાને લઇને સામાજિક અને પર્યાવરણ કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ |
નવી દિલ્હી, મહારાષ્ટ્ર સરકાર ૨૧મી ઓક્ટોબરના દિવસ સુધી મુંબઇના આરે વન્ય વિસ્તારમાં હવે વધારે વૃક્ષો કાપી શકશે નહીં. સાથે સાથે વન્ય વિસ્તારોમાં નવી ગતિવિધી પણ ચલાવી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે લો સ્ટેડેન્ટની અરજી પર સુનાવણી કરતી વેળા આ મુજબનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારને વૃક્ષો કાપવા પર તરત જ પ્રતિબંધ મુકી દીધો છે. સાથે સાથે આગામી સુનાવણી સુધી યથાવત સ્થિતિ રાખવાનો આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટમાં હવે આ મામલે ૨૧મી ઓક્ટોબરના દિવસે વધુ સુનાવણી કરવામાં આવનાર છે. મુંબઇ મેટ્રોના શેડ બનાવવા માટે આરે વન્ય વિસ્તારમાંથી હાલમાં વૃક્ષો કાપવામાં આવ્યા હતા. જેની સામે જોરદાર હોબાળો થયો હતો. સામાજિક કાર્યકરો અને પર્યાવરણ સાથે જોડાયેલા લોકો આ ગતિવિધીને લઇને વિરોધ કરવા માટે મેદાનમાં આવી ગયા હતા. મહારાષ્ટ્ર સરકારને કેટલાક સ્પષ્ટ સુચન પણ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે આ કામગીરી પર બ્રેક મુકી દેવામાં આવી છે. હવે આદેશ બાદ પૂર્વ નિયોજિત ૧૨૦૦ વૃક્ષોને કાપવા માટેની પ્રક્રિયા રોકાઇ ગઇ છે.
આરેમાં મેટ્રો શેડ બનાવવા માટે કુલ ૨૭૦૦ વૃક્ષો કાપવાની યોજના છે. જો કે જસ્ટીસ અરૂણ મિશ્રાએ સુનાવણી દરમિયાન સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે આ મામલે હાલમાં રોક રહેશે. સોલિસિટર જનરલ તુષાર મહેતા મહારાષ્ટ્ર સરકાર તરફથી રજૂઆત કરી રહ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે જરૂર મુજબના વૃક્ષો કાપવામાં આવ્યા છે. લો સ્ટુડન્ટ દ્વારા સુનાવણી કરવા માટે કહ્યુ હતુ. પત્ર લખવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે જાહેર હિતની અરજી આને ગણીને આ મુજબનો આદેશ કર્યો છે. મુંબઇ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં માંગ કરવામાં આવી હતી કે સમગ્ર વિસ્તારને વન્ય જાહેર કરવામાં આવે તે જરૂરી છે. આરે વન્ય વિસ્તારમાં વૃક્ષોને કાપવાને લઇને હોબાળો થઇ ગયા બાદ આ મામલો આખરે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે પણ આની ગંભીર નોંધ લીધી છે.