Western Times News

Gujarati News

પાકિસ્તાને એરફોર્સના ડેપ્યુટી ચીફ અને અન્ય માર્શલને પણ બરતરફ કર્યાં

ઈસ્લામાબાદ, ગત ૯ માર્ચના રોજ ભારત તરફથી ભૂલથી છૂટી ગયેલી મિસાઈલ પાકિસ્તાનમાં જઈને પડી તે મામલે પાકિસ્તાનમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. ભારતની મિસાઈલથી પાકિસ્તાન દહેશતમાં આવી ગયું છે. પાકિસ્તાની એરફોર્સના ડેપ્યુટી ચીફ અને બે માર્શલને હાલ બરતરફ કરી દેવાયા છે. પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનરે કહ્યું કે ભારત આપણું કાશ્મીર પડાવી લેશે.

અત્રે જણાવવાનું કે આ બધુ એવા સમયે થઈ રહ્યું છે કે જ્યારે પાકિસ્તાનનો રાજકીય પારો પણ ખુબ ગરમ છે અને ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું છે. આ બધા વચ્ચે કેટલાક મીડિયા રિપોર્ટ્‌સમાં દાવો કરાયો છે કે પાકિસ્તાને મિસાઈલની સમયસર જાણકારી ન મેળવવાના આરોપમાં એરફોર્સ ડેપ્યુટી ચીફ અને બે એર માર્શલને બરતરફ કરી દીધા છે.

અત્રે જણાવવાનું કે રક્ષામંત્રી રાજનાથ સિંહ પાકિસ્તાન તરફ ભૂલથી છૂટી જનારી મિસાઈલ અંગે આજે સંસદમાં નિવેદન આપવાના છે. રક્ષા મંત્રાલયના જણાવ્યાં મુજબ બુધવારે એક હથિયારવગરની સુપરસોનિક મિસાઈલ પાકિસ્તાનના ૧૨૪ કિમીના વિસ્તાર સુધી પહોંચી ગઈ હતી. રક્ષા મંત્રાલયે તેને ‘ટેક્નિકલ ખામી’ના કારણે ઘટેલી ઘટના ગણાવી છે.

બીજી બાજુ પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે ભારતથી દુર્ઘટનાવશ છૂટેલી મિસાઈલ પાકિસ્તાનના વિસ્તારમાં પડવી એ એક ગંભીર મામલો છે. જેનું સમાધાન ભારત તરફથી માત્ર ‘જમીની સફાઈ’ આપવાથી થઈ શકે નહીં. તેમણે આ મામલે સંયુક્ત તપાસની માગને ફરીથી દોહરાવી.

વિદેશમંત્રીએ કહ્યું કે ભારતે આ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે મિસાઈલ દુર્ઘટનાવશ છૂટી ગઈ. તેમણે કહ્યું કે પાકિસ્તાને સંયુક્ત તપાસનું આહ્વાન કર્યું અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ ઘટનાને ગંભીરતાથી લેવાનું અને આ વિસ્તારમાં રણનીતિક સ્થાયિત્વ જાળવી રાખવા અને તેને વધારવામાં પોતાની યોગ્ય ભૂમિકા ભજવવાનું આહ્વન કર્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.