Western Times News

Gujarati News

સુરત ઓલપાડ રોડ પર જૂના સરોલી જકાત નાકા પાસે ૬ લેનનો નવો રેલ્વે ઓવરબ્રિજ બનશે

મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અર્બન મોબિલીટી ઘટકમાં ૬૪ કરોડ રૂપિયાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી

(માહિતી) ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આઉટ ગ્રોથ વિસ્તારના કામો અંતર્ગત અર્બન મોબિલીટી ઘટકમાં રૂ. ૬૪ કરોડના રેલ્વે ઓવરબ્રિજ બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીને પરિણામે સુરત ઓલપાડ રોડ પર જૂના સરોલી જકાત નાકા પાસે આવેલા હયાત રેલ્વે ઓવરબ્રિજના સ્થાને નવો ૬ લેન ઓવરબ્રિજ બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે.

સુરત મહાનગર અને તેના આસપાસના વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ અને તેના કારણે ટ્રાફિકનો વધારો થતો રહ્યો છે. એટલું જ નહિ, હજિરા સ્થિત ઉદ્યોગના ટેન્કર સહિતના ભારે વાહનો કિમ-ઓલપાડ તરફથી આવતા હોવાથી સુરત ઓલપાડને જાેડતા હયાત ટુ લેન બ્રિજ પરના ટ્રાફિકનું ભારણ પણ રોજ-બરોજ વધતું રહે છે.

આ સમસ્યાના સુચારૂ નિરાકરણ માટે વર્તમાન ટુ લેન બ્રિજના વિસ્તૃતિકરણ કે તેના સ્થાને વધુ ક્ષમતાવાળો નવો બ્રિજ બનાવવો અત્યંત જરૂરી હોઇ સુરત ઓલપાડ રોડ ઉપર જૂના સરોલી જકાત નાકા પાસે ૬ લેન નો ઓવરબ્રિજ બનાવવાના કામ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રજુ કરવામાં આવેલી દરખાસ્તને મુખ્યમંત્રીશ્રીએ સૈદ્ધાંતિક અનૂમતિ આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.