Western Times News

Gujarati News

1લી મે, ગુજરાત સ્થાપના દિન – ૨૦૨૨ અનેક દ્રષ્ટીકોણથી યાદગાર બની રહેશે

ગુજરાત એટલે સંસ્કાર, સંસ્કૃતિ, સમૃધ્ધિ અને વિકાસની ભૂમિ

ગુજરાત એ સંસ્કાર સાથે પડકારની ભૂમિ પણ છે. ગુજરાત પ્રત્યેક ગુજરાતીઓના હૃદયના ધબકારની ભૂમિ છે. ગુજરાતના પડકારો, સંસ્કારો અને ધબકારો આજે વિશ્વ સમસ્ત મહેસૂસ કરી રહ્યું છે. ગુજરાત એટલે શિક્ષણ, વિજ્ઞાન, સર્જન, તબીબી અને ઈજનેરી કૌશલ્યના તમામ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરીને ગર્વથી માથું ઊંચું કરીને દેશ અને દુનિયાને તેની વિકાસના દહાડ સંભળાવતો અદકેરો પ્રદેશ છે.

ગુજરાતે સંસ્કાર, સંસ્કૃતિ, સમૃદ્ધિ અને વિકાસની આગવી પહેચાન વિશ્વને કરાવી છે. ચક્રવર્તી ગુર્જરો પુસ્તકમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી લખે છે કે, ‘‘જે પ્રદેશની સીમા ઉત્તરે આબુ આગળ હતી અને દક્ષિણે પહેલાં મહિને કાંઠે, પછી નર્મદાના તીરે ને ત્યારબાદ દમણગંગાના તટ પર આવીને અટકી એ પ્રદેશ ‘ગુજરાત’ નામે ઓળખાવા લાગ્યો.’’ ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ, વિદ્યાગૌરી નીલકંઠ જેવા આગોવાનોએ ઓગસ્ટ તા. ૮, ૧૯૫૬થી મહાગુજરાત આંદોલન છેડીને ચાર-ચાર વર્ષ સંઘર્ષમય અહિંસક લડત આપ્યા બાદ ૧લી મે, ૧૯૬૦ના રોજ સ્વતંત્ર ગુજરાત રાજ્યનો પરચમ લહેરાયો.

ગુજરાતના વિકાસમાં અનેક લોકોએ યથાશક્તિ પોતાનુ યોગદાન આપ્યું છે. પરંતુ આજે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે એક વાત માનસપટ ઉપર ઉભરી આવે છે કે, કેન્દ્રમાં નરેન્દ્રભાઇ અને ગુજરાતમાં શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની મળીને ડબલ એન્જીનવાળી સરકારના પરિણામે ગુજરાત આજે વૈશ્વિક સ્તરે પ્રગતિના નવા સોપાનો સર કરી રહ્યું છે.

આજે સૌ કોઇ ગુજરાતી કહી શકે કે, કોઇ ક્ષેત્ર એવું નહીં હોય કે જેમાં ગુજરાતનુ અદકેરૂ સ્થાન ન હોય. કોરોના મહામારીમાં પણ ગુજરાતે પોતાની ઔદ્યોગિક ગતિ બરકરાર રાખી છે. આજે ગુજરાત સ્થપના દિને પ્રત્યેક ગુજરતી બાંધવને ગર્વ થાય કે આપણું ગુજરાત દેશના જ નહીં સમગ્ર વિશ્વના અર્થતંત્રનું ચાલક બળ બનીને ઉભરી આવ્યું છે.

આ વખતે ગુજરાત સ્થાપના દિન પહેલાના મહિનામાં એટલે કે, એપ્રિલ-૨૦૨૨ના મહિનામાં ગુજરાતમાં વિકાસનો જબરો ધમધમાટ દેશ અને દુનિયાએ જોયો. વિશ્વના પ્રબુધ્ધો અને રાજનેતાઓએ ગુજરાતના વિકાસને દિલથી પોંખ્યો. દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત, યુ.કે.ના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સન, મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિન્દ જગન્નાથ, WHOના વડા ડૉ. ટેડરોસ એધનોમે ગુજરાતની પ્રત્યક્ષ મુલાકાત લીધી અને નેપાળના વડાપ્રધાન શેર બહાદૂર દેઉબા, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, ભૂતાનના વડાપ્રધાન લોતેય શેરિંગ વગેરે એક જામનગરના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા.

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ગાંધીનગર સ્થિત શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રીયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ-વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર સમગ્ર દુનિયા માટે એક આશ્ચર્ય પુરવાર થઈ શકે તેવું સામર્થ્ય ધરાવે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાતની ૫૫ હજારથી વધુ શાળાઓના સાડા ચાર લાખથી વધુ શિક્ષકો અને દોઢ કરોડથી વધુ બાળકો માટે ઉર્જાનું કેન્દ્ર છે.

વાર્ષિક ૫૦૦ કરોડ ડેટાસેટનું વિશ્લેષણ સમગ્ર રાજ્યમાં એક જ પ્રકારનું સમયપત્રક, સમાન પ્રશ્નપત્ર, વિદ્યાર્થીઓની હાજરીમાં ૨૬ % સુધીનો નોંધપાત્ર વધારો, આધુનિક વ્યવસ્થાનો લાભ દેશના મહત્તમ વિદ્યાર્થીઓને મળી શકે તેવું માળખુ અહીં ઉપલબ્ધ છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે ૧૫૧ વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનીટી રેડીયો સ્ટેશન (FM 90.4)નું દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરાયું.

બનાસ ડેરી સંકુલમાં સહકારી ક્ષેત્રમાં સૌ પ્રથમવાર બનાસ કોમ્યુનીટી FM રેડીયો 90.4 સ્ટેશન ઉભું કરવામાં આવી રહ્યું છે. આવો જ એક ઉપક્રમ જામનગર ખાતે પણ સંપન્ન થયો. WHO ના વડા ડૉ. ટેડ્રોસ એધનોમ-મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જગન્નાથ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સંકુલનું જામનગર ખાતે ભૂમિપૂજન કર્યું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દાહોદ ખાતે યોજાયેલ વિશાળ આદિજાતિ મહાસંમેલનમાં દાહોદ જિલ્લાના આદિવાસી બાંધવોને રૂ. ૧૮૦૯.૭૯ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાનશ્રીએ પંચમહાલ જિલ્લામાં જન સુખાકારી અને જન સુવિધાના રૂ. ૧૫૯.૭૧ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય રેલ્વે દ્વારા દાહોદ વર્કશોપમાં અંદાજે રૂ.૨૦ હજાર કરોડના ખર્ચે નિર્માણ થનાર નવ હજાર હોર્સ પાવરના ઈલેક્ટ્રીક લોકોમેટિવ મશીન ઉત્પાદન એકમનો શિલાન્યાસ પણ કર્યો હતો. વડાપ્રધાનશ્રીએ દાહોદ જિલ્લામાં કુલ રૂ.૨૧૯૬૯.૫૦ કરોડના વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું.

ગુજરાત સ્થાપના દિને એ ઉલ્લેખ કરવો સાહજિક બને કે, શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના રૂપમાં આજે એક સરળ, સહજ અને સાલસ સ્વભાવના મૃદુ અને મક્કમ જનનાયક ગુજરાતને મળ્યા છે. વિના વિલંબે મક્કમતાથી લોકોને સ્પર્શતા નિર્ણયો લેવાની એમની કુનેહનો આજે સમગ્ર ગુજરાતને પરિચય થઈ રહ્યો છે.

માનવ માત્ર પ્રત્યેની તેમની સંવેદનાને સૌ કોઇ બિરદાવી રહ્યું છે. લોકોની વચ્ચે જઈને, લોકોના બનીને તેઓ લોકોના પ્રશ્નો મુદુતાથી સાંભળે છે અને તેના ત્વરિત નિવારણ માટે મક્કમ નિર્ણયો લે છે. તેમણે સમાજના તમામ વર્ગના અને વય જુથના લોકો અને તમામ વ્યવસાયના લોકોના ઉત્કર્ષ માટે અનેક નવતર પહેલ કરી છે.

ખેડૂત હિતલક્ષી નિર્ણયો હોય કે મહિલા સશક્તિકરણની વાત હોય, યુવાનોનો વિકાસ હોય કે સ્વાસ્થ્ય સુરક્ષાના કાર્યો હોય શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો સાલસ સ્વભાવ અને કામ કરવાની ધગશને સૌ કોઇ આવકારી રહ્યાં છે. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની છબી એક મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી તરીકે ઉભરી આવી છે.

સાડા છ કરોડ ગુજરાતીઓને વિકાસયાત્રામાં જોડીને એમણે જનહિતના કાર્યો માટે વ્યાપક જનશક્તિને જોડી છે. તેમના જન સામાન્ય માટેના નિર્ણયોની ગુજરાતના દરેક વર્ગ, દરેક સમાજ અને દરેક વય જૂથમાં સકારાત્મક અસરો થઈ રહી છે.

ખેડૂતહિતલક્ષી મક્કમ નિર્ણયો લઇને આજે ધરતી પુત્રોની જમીન વધુ ફળદ્રુપ બને અને રાસાયણિક ખાતરોથી જમીનને થતા નુકશાનને અટકાવવા માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપી ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડની રચના કરવામાં આવી છે.

ગુજરાતના ડાંગ જિલ્લાને ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ખેતરમાં ટ્રાન્સમિશન લાઇન તથા ટાવર ઉભા કરવાના કિસ્સામાં ખેડૂતોને અપતા ૭.૫ ટકા આર્થિક વળતરને બમણું કરીને ૧૫ ટકા કરવામાં આવ્યું છે. ધરતીપૂત્રોને રવિ તેમજ ઉનાળુ પાક માટે પણ વ્યાજ સહાય મળી રહે તે માટે, સાથે જ પશુપાલકો અને માછીમારોને કૃષિ સમકક્ષ ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ સહાય આપવાની નવી યોજનાની બજેટમાં જાહેરાત કરી છે

જેનાથી બંને ક્ષેત્રોમાં ૮ થી ૧૦ હજાર કરોડનું ધિરાણ મેળવી શકાશે. ખેડૂતોની આંગળીના ટેરવે વિશ્વ સમસ્ત આવે અને ખેડૂતોને ખેતઉત્પાદનનું યોગ્ય બજાર પ્રાપ્ત થાય તે માટે સમાર્ટ ફોન ખરીદી અર્થે ફોનની કિંમતના ૪૦ ટકા અથવા રૂપિયા ૬૦૦૦ની સહાય આપવામાં આવે છે. ગૌશાળા, પાંજરાપોળો અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ તેમજ માળખાકીય સગવડોના વિકાસ માટે “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના શરૂ કરી. જેના માટે ૫૦૦ કરોડ રૂપિયાની બજેટ જોગવાઇ કરી છે.

વંચિતો, ગરીબો, આદિવાસીઓને પડખે અડિખમ આ સરકાર ઉભી રહીને સાચા અર્થમાં ગુજરાત સ્થાપના દિન પર્વને સાર્થક કર્યું છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય એ માટે ‘ડિજિટલ ગુજરાત’ અન્વયે આવકના પ્રમાણપત્રો ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી દ્વારા ઈ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવે છે.

રૂ. ૧૦૦ કરોડના ખર્ચે આદિવાસી વિસ્તારમાં ૫૦૦ નવા મોબાઈલ ટાવર આગામી બે વર્ષમાં ઊભા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ૩૬ લાખ પછાત વર્ગના વિદ્યાર્થીઓને અપાતી ગણવેશ સહાય રૂપિયા ૬૦૦ થી વધારીને રૂપિયા ૯૦૦ કરી છે. ‘ભિક્ષા નહીં શિક્ષા’ ના મંત્ર સાથે શહેરના સિગ્નલ પાસે ભિક્ષાવૃત્તિ કરતા કે અધવચ્ચે શાળા છોડી ગયેલા દરિદ્ર બાળકોને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ‘સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ’નો પ્રારંભ. આ પ્રોજેક્ટ માટે 30થી વધુ મોબાઈલ સ્કૂલ બસનો પ્રારંભ કરાવવામાં આવ્યો.

વનબંધુઓના બાળકોને ગુણવત્તસભર શિક્ષણ માટે ૨૫ બિરસામુંડા જ્ઞાનશક્તિ રેસિડેંસિયલ સ્કુલ ઓફ એક્સલન્સ શરૂ કરાશે જે માટે ૪૫ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

નારી શક્તિનું સન્માન આપી મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મહિલાઓના સશક્તિકરણ માટે આ વર્ષના બજેટમાં ૪૨ ટકાનો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ જેન્ડર બજેટ હેઠળ ૮૯૧માંથી ૧૭૮ યોજનાઓ માત્ર મહિલાઓના સર્વાગી વિકાસ માટે કાર્યાન્વિત. “એક હજાર દિવસની સંભાળ – સ્વસ્થ રહે માતા અને બાળ” આ મંત્ર સાથે સુપોષિત માતા – સ્વસ્થ બાળ યોજના શરૂ કરી છે.

જેમાં સગર્ભા અને ધાત્રી માતા તથા બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે એક હજાર દિવસ સુધી પ્રતિ માસ ૧ કિલો તુવેર દાળ, ૨ કિલો ચણા અને ૧ લિટર ખાદ્ય તેલ વિના મુલ્યે આપવામાં આવશે. જે માટે બજેટમાં ૮૫૦ કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણી કરી છે. આદિજાતિ વિસ્તારોમાં સગર્ભા માતાઓને પૂરક પોષણ માટેની ‘પોષણ સુધા યોજના’નો વ્યાપ વધારી વધુ ૭૨ તાલુકામાં અમલી બનાવવા ૧૧૮ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

યુવા વિકાસ અને યુવાનોનું કૌશલ્ય નિર્માણની નવતર દિશા ખુલી રહી છે. બાળકોમાં સંસ્કાર સિચનને પ્રાધાન્ય આપવા માટે શિક્ષણમાં ભાગવત ગીતાનો સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિના દિશાદર્શનના રોડમેપ અને Student Startup and Innovation Policy 2.0નું લોન્ચિંગ થયું.

રાજ્યની શાળાઓમાં માળાખાકીય સગવડો અને શિક્ષણમાં ગુણાત્મક સુધારા માટે મિશન સ્કુલ એક્સેલેન્સ યોજનાનો સુદ્રઢ અમલ કરવામાં આવ્યો. આઇટી ક્ષેત્રમાં વર્ષે 25 હજાર કરોડની નિકાસના લક્ષ્ય સાથે ગુજરાતમાં IT અને IteS પોલિસી 2022 જાહેર કરવામા આવી છે. તેના લીધે આગામી પાંચ વર્ષમાં 1 લાખ નવી રોજગારીની તકો રાજ્યમાં નિર્માણ થશે. ગુજરાત સરકાર દ્વારા બાયોટેકનોલોજી પોલિસી 2022-27ની જાહેરાત કરવામાં આવી છે.

આ નવી બાયોટેકનોલોજી પોલિસી ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે. આ પોલિસી અંતર્ગત સ્પેશિયલ પ્રોજેક્ટસને સહાય અને સપોર્ટ આપવામાં આવશે અને ૧ લાખ નવી રોજગારીનું સર્જન થશે. ગુજરાત સરકારે વર્ષ 2022થી વર્ષ 2027 માટે નવી રમતગમત નીતિ (Sports Policy) જાહેર કરી છે.

જન જનના સ્વાસ્થ્ય સુરક્ષાનો મહાયજ્ઞ ગુજરાતમાં આરંભાયો છે. એર એમ્બ્યુલન્સ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. કોરોના વેક્સિનની વ્યાપક અને સઘન કામગીરીના ફળ સ્વરૂપે દેશના મોટા રાજ્યોની કેટેગરીમાં શ્રેષ્ઠ ક્રમ પ્રાપ્ત કરવા બદલ ગુજરાતને ઈન્ડિયા ટુડેના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.

સ્વસ્થ અને સુરક્ષિત ગુજરાત માટે પ્રતિબધ્ધ એવા મુખ્યમંત્રીશ્રીએ સપ્તાહના દરેક શુક્રવારે આરોગ્ય દિવસ અંતર્ગત બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રિનીંગથી સારવારની શરૂઆત કરી છે. જે અંતર્ગત રાજ્યના ૩ કરોડ ૩૦ લાખ નાગરિકોને આવરી લેવાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.

૪ લાખ ૩૮ હજાર ઉપરાંત નાગરિકોને ડિઝીટલ હેલ્થ આઇડી કાર્ડ આપવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં ગુજરાતમાં અંધત્વનો દર ઘટાડીને ૦.૨૫ ટકા સુધી લઈ જવાના ધ્યેય સાથે મોતિયા-અંધત્વમુક્ત ગુજરાત ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાતના આગેકદમની આજે સ્થાપના દિને નોંધ લેવી ઘટે.

બાળકોમાં સંસ્કાર સિચનને પ્રાધાન્ય આપવા માટે શિક્ષણમાં ભાગવત ગીતાનો સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિના દિશાદર્શનના રોડમેપ અને Student Startup and Innovation Policy 2.0નું લોન્ચિંગ થયું. રાજ્યની શાળાઓમાં માળાખાકીય સગવડો અને શિક્ષણમાં ગુણાત્મક સુધારા માટે મિશન સ્કુલ એક્સેલેન્સ યોજનાનો સુદ્રઢ અમલ કરવામાં આવ્યો.

જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતે અદભુત પ્રગતી સાધી છે. નલ સે જલ કાર્યક્રમમાં ૯૩ ટકા કામગીરી પૂર્ણ. સપ્ટેમ્બર – ૨૦૨૨ સુધીમાં રાજ્યમાં ૧૦૦ ટકા નલ સે જલ પુરૂ પાડવાનું લક્ષ્ય. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાનાં પાણીની વ્ય્વસ્થા સુદ્રઢ કરવા માટે નાવડા-બોટાદ-ગઢડા-ચાવંડ અને બુધેલ થી બોરડા સુધીની ૧૪૩ કિલોમીટર બલ્ક પાઇપલાઇનના કામ માટે બજેટમાં રૂપિયા ૩૧૦ કરોડની માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે.

કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના ૧ મિલિયન એકર ફીટ પાણી થી સિંચાઇ સુવિધાઓના આયોજન માટે રૂપિયા ૪૩૬૯ કરોડની યોજનાને મંજૂરી આપી છે. રાજ્યની જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમાં તબક્કાની શરૂઆત કરવામાં આવી છે.

ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતે તેની અગ્રસરતા સિધ્ધ કરી છે. મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રીશ્રીના જનહિતલક્ષી કાર્યક્રમોનો સ્થાપના દિને ઉલ્લેખ કરવાનુ એટલે જરૂરી છે કે આજે છેલ્લા છ મહિનામાં શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્ત્વ હેઠળની ટીમ ગુજરાત વિકાસના નવતર સિમાડા સર કરવાની દિશામાં મક્કમતાપૂર્વક કેવી રીતે આગળ વધે છે

તેનો સુપેરે ખ્યાલ આવી શકે. સુશાસન સપ્તાહ દરમિયાન રૂ. ૯૭૮.૫૮ કરોડના ૨૦,૧૯૦ જનહિતલક્ષી કામોના ખાત મુહુર્ત અને રૂ. ૬૬૩.૧૦ કરોડના ૨૨,૪૯૦ કામોના લોકાર્પણ કરવામાં આવ્યાં. ૨.૭૦ લાખથી વધુ લોકોને સરકારી લાભો એનાયત કરવામાં આવ્યા. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત સાત તબક્કામાં ૨.૪૬ કરોડ કરતા વધુ અરજીઓ પૈકી ૯૯.૮૭ ટકા અરજીઓનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.

‘આત્મનિર્ભર ગ્રામયાત્રા’ યોજીને માત્ર ત્રણ જ દિવસમાં રૂ. ૧૫૦૦ કરોડ ઉપરાંતના ખર્ચે ૪૩,૦૦૦ જેટલા ગ્રામ વિકાસના કાર્યો કરીને ગ્રામજનોના સર્વાંગી વિકાસ માટે સઘન કાર્ય કરવામાં આવ્યું. મહેસૂલ મેળાઓ યોજીને રાજ્યના નાગરિકોને મહેસુલી સેવાઓના લાભો ઘર આંગણે સત્વરે મળી રહે તેમજ પ્રશ્નોનો સ્થળ પર નિકાલ થાય તે માટે આયોજન કર્યું.

નામ કમી કરવુ, નવું ઉમેરવું, સર્વે, નવી એન્ટ્રી તેમજ રિ-સર્વે સહિતના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવાની શરૂઆત કરવામાં આવી છે. ગરીબ કલ્યાણ મેળા દ્વારા, ગરીબને તેનો હક સીધો તેના હાથમાં આપ્યો. ગરીબ કલ્યાણ મેળાની ૧૨મી શૃંખલામાં ૧૭,૩૦,૬૫૩ લાભાર્થીઓને રૂ.૭૬૧૦.૫૮ કરોડની કુલ સહાય સ્થળ પર જ ચૂકવવામાં આવી. આપણું ગામ, આપણું ગૌરવ – ગુજરાત પંચાયત મહા સંમેલનનું આયોજન થયું. જેમાં સમગ્ર રાજ્યના પંચાયતના પ્રતિનિધિઓને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૨૩ સુધીમાં ગામડાઓને સમૃદ્ધ અને સમર્થ બનાવવા ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

અત્રે એ પણ ઉલ્લેખનીય રહેશે કે, ભૂપેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ૨ લાખ ૪૪ હજાર કરોડનું આ બજેટ પ્રસ્તૂત થયુ. પ્રધાનમંત્રીશ્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં સૂર પુરાવતું ૧૭ હજાર કરોડના વધારા સાથે અને કોઇ જ નવા કરવેરા વિનાનું પૂરાંતવાળું આ બજેટ રજૂ થયું.

“નમો વડ વન’ અન્વયે રાજ્યના 33 જિલ્લાઓમાં 75 વડ વન સ્થપાશે અને પ્રત્યેક વનમાં 75 વડ વૃક્ષનું વાવેતર વન વિભાગ કરશે. રાજ્યના જાહેર સ્થળો ઉપરના લખાણને ફરજિયાત ગુજરાતી ભાષામાં લખવાનો મહત્વપૂર્ણ અને પારદર્શક નિર્ણય. રાજ્યના ૪ હજાર ગામોમાં મફત વાઇ ફાઇ સુવિધા પુરી પાડવામાં આવશે. આ માટે ૭૧ કરોડ રૂપિયાની બજેટ ફાળવણી કરી છે. લોકોના પ્રશ્નો સરકારના વિવિધ વિભાગો વચ્ચે અટવાય નહિ તે માટે સરકારના તમામ વિભાગ વચ્ચે સુચારુ સંકલન માટે ઇ-સરકાર પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.