Western Times News

Gujarati News

રર કરોડના ખર્ચે ગુજરાતના 8 જિલ્લાઓને મળશે નવા સુવિધાસભર ચેરિટી કચેરી મકાનો

ગીર સોમનાથના-વેરાવળ-બોટાદ-અરવલ્લીના મોડાસા-સુરેન્દ્રનગર-ભૂજ-લુણાવાડા- હિંમતનગર અને મોરબીમાં નિર્માણ થશે – 

વડાપ્રધાનશ્રીએ આપેલા ડિજિટલ ઇન્ડીયાના સંકલ્પને રાજ્યના ચેરિટી કમિશનરેટ તંત્રએ ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટસના ડિજિટલાઇઝેશનથી પાર પાડયો : મુખ્યમંત્રીશ્રીએ પાઠવ્યા અભિનંદન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૮ જિલ્લામાં નવા નિર્માણ થનારા ચેરિટી કચેરી ભવનોના ઇ-ખાતમૂર્હત કરતાં જણાવ્યું કે, રાજ્યના બધા જ જિલ્લાઓમાં અદ્યતન સુવિધાસભર ચેરિટી કચેરી ભવનો બનાવવાની દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીશ્રીએ કાયદા મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને રાજ્યમંત્રી શ્રી દેવાભાઇ માલમની ઉપસ્થિતીમાં ગાંધીનગરથી આ આઠ ભવનોની ખાતમૂર્હત વિધિ વિડીયો કોન્ફરન્સથી સંપન્ન કરી હતી.

ગીર સોમનાથના વેરાવળ, બોટાદ, અરવલ્લીના મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને મોરબી એમ ૮ સ્થળોએ કુલ રૂ. રર કરોડના ખર્ચે આ ચેરિટી કચેરી ભવનોનું નિર્માણ હાથ ધરાશે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ચેરિટી તંત્રને ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટસના ડિજિટલાઇઝેશનની ભગીરથ કામગીરી પૂર્ણ કરવા માટે આ અવસરે અભિનંદન પણ પાઠવ્યા હતા. આ રેકર્ડનું ડિજિટલાઇઝેશન થવાથી હવે લોકોને ઘરે બેઠા પોતાના ટ્રસ્ટની માહિતી મળી રહેશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ડિજિટલ ઇન્ડીયાના સંકલ્પને પાર પાડવામાં ચેરિટી તંત્રના આ યોગદાનની તેમણે સરાહના કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં નોંધાયેલા સાડા ત્રણ લાખ જેટલા ટ્રસ્ટની કામગીરીના નિયમન અને મદદ માટે ચેરિટી તંત્રએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં સંખ્યાબંધ સુધારાઓની પહેલ કરેલી છે.

હવે, આ નવી બનનારી ચેરિટી કચેરીઓના ભવનોના કારણે લિટીગન્સને સરળતાથી ન્યાય મળશે. ઉપરાંત, આધુનિક ભવનો થવાથી ચેરિટીને લગતી કામગીરી માટે લોકોને અગાઉ જે અલગ-અલગ સ્થળોએ જવું પડતું તેનું પણ નિવારણ આવશે.

કાયદામંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ પ્રસંગે જણાવ્યું કે, રાજયના તમામ ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટોનો વહીવટ સમાજના વિશાળ હિતને લાગુ પડતો હોવાથી આવા ટ્રસ્ટોની મિલકતો સમાજના હિતમાં ઉપયોગી થાય

અને વહીવટદારો તેનો સુયોગ્ય વહીવટ કરે તેવા ઉમદા હેતુથી રાજયના ચેરિટીતંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે આ વધુ આઠ જીલ્લાઓમાં ચેરિટી કચેરીઓના નવા ભવનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ઓનલાઇન ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજયમાં ચેરિટીતંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે આ નિર્ણય કરાયો છે.

ગાંધીનગરથી રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમ, કાયદા સચિવ શ્રી રાવલ, ચેરિટી કમિશનર શ્રી શુકલા અને વરિષ્ઠ અધિકારીઓ તેમજ જિલ્લા મથકોએ જિલ્લાતંત્રના અધિકારીઓ આ ચેરિટી કચેરીઓના વર્ચ્યુઅલ ખાતમૂર્હત અવસરે સહભાગી થયા હતા.
ચેરિટી કમિશનર શ્રી શુકલાએ સૌને સ્વાગત પ્રવચનથી આવકારી ચેરિટી કમિશનર કચેરીની જનહિત-સમાજહિતલક્ષી કામગીરીની ભૂમિકા આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.