કુખ્યાત સાતનારી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો
જામનગર, જામનગર જિલ્લામાં સાતનારી ગેંગ તરીકે ઓળખાતી ટોળકીએ દોઢેક દાયકા પહેલા ભારે તરખાટ મચાવ્યો હતો. આ ટોળકીના મુખ્ય સુત્રધાર જામનગર તાલુકાના મુંગણી ગામના વલ્લભ ઉર્ફે દિનેશ મનજી ઉર્ફે દેવરાજ વાજેલીયા અને તેના સાગરીતોએ વર્ષ ર૦૦૮માં ખંભાળિયા તાલુકાના સામોર ગામમાં પણ ધાડ પાડી હતી.
આ ટોળકીએ સામોર ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા એક ખેડૂત દંપતીને ત્યાં લૂંટના ઈરાદે ત્રાટકી ખેડૂતની કરપીણ હત્યા નિપજાવી હતી તે બાબતની ફરિયાદ થયા પછી વલ્લભ ઉર્ફે દિનેશ દેવીપૂજકની અને તેના સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી.
ઉપરોકત કેસ ચાલી જતા અદાલતે આ શખસને આજીવન કેદની સજા ફટકારી હતી તેને રાજકોટની મધ્યસ્થ જેલમાં સજા કાપવા માટે મોકલી આપવામાં આવ્યો હતો.
જેલમાંથી આ શખસે થોડા સમય પહેલા વચગાળાના જામીન મેળવ્યા હતા તેના પર મુક્ત થયા પછી વલ્લભ મનજી નાસી ગયો હતો તેની શોધખોળ કરવામાં આવી રહી હતી જેમાં જામનગરની પેરોલ ફર્લો સ્કવોડને આ શખસ ગુલાબનગર પાસે ઓવરબ્રિજ નીચે ઉભો હોવાની બાતમી મળી હતી ઈન્ચાર્જ પીએસઆઈ કે.કે.ગોહિલને તેનાથી વાકેફ કરાયા પછી ઉપરોકત આરોપીની ત્યાંથી અટકાયત કરી લેવામાં આવી હતી.