Western Times News

Gujarati News

પતિ બીજી પત્નીને ડરાવતો, પહેલી પત્નીનો આત્મા દેરાણીમાં વસે છે

અમદાવાદ,શહેરમાં રહેતી એક મહિલાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાના પહેલા એક યુવક સાથે લગ્ન થયા હતા. પરંતુ બાદમાં મનમેળ ન રહેતા તેણે છૂટાછેડા લીધા હતા અને પહેલા પતિથી થયેલા સંતાનો સાથે તેને અન્ય એક યુવક સાથે લગ્ન કર્યા હતા. આમ પહેલા અને બીજા પતિના બાળકો સાથે આ મહિલાએ ઘર વસાવ્યું હતું. પરંતુ તેનો પતિ અવાર નવાર પૈસાની માંગણી કરી ત્રાસ આપતો હતો અને સાથે જ તેના જેઠ-જેઠાણી દિયર દેરાણી અને પતિ ગભરાવતા હતા. આ મહિલાના બીજા પતિની પહેલી પત્નીએ આત્મહત્યા કરી હોવાથી તેનો આત્મા તેની દેરાણીમાં વસે છે તેમ કહી તેને ડરાવીને રાખતા હતા.

સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૂળ મધ્યપ્રદેશની અને હાલ અમદાવાદના નારણપુરામાં રહેતી ૪૩ વર્ષીય મહિલા તેના સંતાનો સાથે રહે છે. આ મહિલાના પ્રથમ લગ્ન વર્ષ ૧૯૯૮માં દાહોદ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. જેના થકી સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. બાદમાં તેના પતિ સાથે મનમેળ ન રહેતા આ મહિલાએ વર્ષ ૨૦૧૨માં ઇન્દોર ખાતે તેના પતિ પાસેથી છુટાછેડા લીધા હતા અને બાદમાં તેના માતા-પિતા ભાઈ બહેન સાથે રહેતી હતી. વર્ષ ૨૦૧૪માં દાહોદ ખાતે રહેતા અન્ય એક યુવક સાથે ઇન્દોર ખાતે આ મહિલાએ કોર્ટ મેરેજ કર્યા હતા.

લગ્ન બાદ આ મહિલા તેના પતિ સાસુ જેઠ જેઠાણી તથા દિયર અને દેરાણી સાથે સંયુક્ત કુટુંબમાં રહેવા ગઇ હતી. એકાદ મહિના પછી મહિલાના બંને બાળકોને ત્યાં સાથે રાખવાની વાત કરતા તેના પતિ જેઠ જેઠાણી દીયર દેરાણીએ બાળકોનો સ્વીકાર કર્યો ન હતો અને બોલાચાલી કરવા લાગ્યા હતા. બાદમાં આ મહિલાના પતિએ તેને કહ્યું કે, મેં તારી સાથે લગ્ન કર્યા છે તારા બાળકો સાથે નહીં. જેથી અહીં લાવવા નહીં. બાદમાં આ મહિલા ઇન્દોર ખાતે તેના પતિ સાથે રહેવા ગઈ હતી. ત્યાં તેના હાલના પતિના અગાઉની પત્નીના ત્રણ બાળકો તથા આ મહિલાના પહેલા પતિના બંને બાળકોની સાથે રહેતા હતા.

તેનો પતિ લીમખેડાથી આવ-જા કરતો હતો. મહિલાના જેઠ જેઠાણી તથા દીયર દેરાણી તેને કહેતા કે તેના પતિની અગાઉની પત્નીએ આત્મહત્યા કરી હતી જેનો આત્મા દેરાણીમાં વસેલ છે તેમ કહી મહિલાને ડરાવતા હતા. વર્ષ ૨૦૧૭માં આ મહિલા તેના પતિ તથા બાળકો સાથે વસ્ત્રાપુર ખાતે રહેવા આવ્યા હતા. આ દરમિયાન તેના પતિએ ઘરખર્ચ આપવાનું બંધ કરી દીધું હતું અને પતિએ લીમખેડા ખાતે હોસ્પિટલ ખોલવી હોવાથી ૫૦ લાખ રૂપિયા લઈ આવવાનું આ મહિલાને જણાવ્યું હતું.

જાે પૈસા ન લાવે તો ઘરે આવવું નહીં અને જાે આવી તો તારી દેરાણી કે જેનામાં અગાઉની પત્નીનો આત્મા છે તે ભરખી જશે તેમ કહી ડરાવવાનું શરૂ કર્યું હતું. બાદમાં મહિલાના પતિએ તું મને ગમતી નથી મારી જિંદગી બરબાદ કરી નાખી છે. તારા માતા-પિતાએ કોઈ પૈસાની મદદ કરી નથી તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. જેથી કંટાળીને આ મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SS1KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.