Western Times News

Gujarati News

નર્મદા છલકાવાની તૈયારીમાં, ગમે ત્યારે દરવાજા ખુલી શકે છે

ભરુચ, ગુજરાતમાં બે દિવસથી વરસાદી માહોલ છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૮૬ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગીરસોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. તો ૧૦ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.

ચોમેર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આવામાં ગુજરાતના તમામ ડેમ ઓવરફ્લો થયા છે. માત્ર ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાતનો એક પણ ડેમ ભરાયો નથી. તો બીજી તરફ, આ સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમ ખૂલવાનો છે. નર્મદા બંધના પાંચ દરવાજા આ સીઝનમાં પ્રથમ વખત ખોલવામાં આવશે. ઉપરવાસમાં વરસાદથી નર્મદા ડેમની જળ સપાટી સતત વધી રહી છે.

આજે નર્મદા બંધની જળ સપાટી ૧૩૩.૫૧ મીટર પર પહોંચી છે. તો સાથે જ પાણીની આવક ૨૩૨૨૦૮ ક્યુસેક અને જાવક ૪૯૪૮૭ ક્યુસેક છે. તો ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે.

ડેમ મહત્તમ સપાટીથી માત્ર ૫.૧૭ મીટર દૂર છે. આ કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા આજે બપોરે ૧૨ કલાકે નર્મદા બંધના ૫ રેડિયલ ગેટ ૧ મીટર જેટલા ખોલી દેવામાં આવશે. નર્મદા નદીમાં તબક્કાવાર ૧૦ હજાર ક્યુસેકથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડાશે.

નર્મદા નદીના કાંઠા વિસ્તારના વડોદરાના ત્રણ તાલુકા અને ભરૂચના કાંઠા વિસ્તારને સાવધ કરાયા છે. એક તરફ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમા વરસાદ જ વરસાદ છે, ત્યાં ઉત્તર ગુજરાત હજી પણ કોરું છે. અહી હજી પણ મન મૂકીને વરસાદ વરસ્યો નથી.

આ કારણે ઉત્તર ગુજરાતનો એકપણ ડેમ ભરાયો નથી. તો બીજી તરફ, રાજ્યના ૨૦૭માંથી ૪૧ ડેમ પાણીથી છલોછલ ભરાયા છે. ૬૮ જળાશયો ૯૦ ટકા વધુ પાણીથી ભરાયા છે. તો ૧૪ જળાશયો ૮૦થી ૯૦ ટકા પાણી, ૧૧ જળાશયો ૭૦થી ૮૦ ટકા પાણી અને ૧૧૩ જળાશયોમાં ૭૦ ટકાથી ઓછું પાણી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ હજી પણ વરસાદી માહોલ યથાવત રહેશે.

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય રહેતા વરસાદની આગાહી છે. વરસાદની આગાહીને પગલે સૌરાષ્ટ્રના બંદરો પર ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.