Western Times News

Gujarati News

‘આઝાદી ક્વેસ્ટ’ નામથી ભારતના સ્વતંત્રતાના સંગ્રામ પર આધારિત ઑનલાઇન શૈક્ષણિક રમતોની શ્રેણી

Azadi quest India independence

આ પહેલ રમકડાં અને રમતો દ્વારા લોકોને ‘એંગેજ, એન્ટરટેઇન અને એજ્યુકેટ’ કરવા માટે આદરણીય પ્રધાનમંત્રીએ કરેલા આહ્વાનથી પ્રેરિત છે

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી માટે પ્રકાશન વિભાગ અને ઝિંગા ઇન્ડિયાએ મોબાઇલ ગેમ્સની શ્રેણી દ્વારા એક વર્ષ સુધી ચાલનારી ભાગીદારીને અંકિત કરવા માટે MoU પર હસ્તાક્ષર કર્યા

આ ગેમ્સ ઑનલાઇન ગેમર્સના વિશાળ માર્કેટમાં પ્રવેશવાનો અને સાથે સાથે તેમને શિક્ષિત કરવાનો પ્રયાસ છે: શ્રી અનુરાગ ઠાકુર

સ્વતંત્રતાના સંગ્રામ પરની અધિકૃત માહિતીનો સરળતાથી સુલભ ખજાનો આ રમતોમાં સમાવ્યો છે: શ્રી ઠાકુર

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અને ભારતના સ્વતંત્રતાના સંગ્રામની વાર્તાને આગળ ધપાવવાના ઉદ્દેશ સાથે, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે ‘આઝાદી ક્વેસ્ટ’ નામની રમતની શરૂઆત કરી છે, જે ઝિંગા ઇન્ડિયાના સહયોગથી તૈયાર કરવામાં આવેલી ઑનલાઇન શૈક્ષણિક મોબાઇલ ગેમ્સની શ્રેણી છે. આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી અપૂર્વ ચંદ્રા અને ઝિંગા ઇન્ડિયાના કન્ટ્રી હેડ શ્રી કિશોર કિચલી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, આઝાદીની લડતમાં આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વિરસાયેલા નાયકોના યોગદાનને સ્વીકારવાના સરકારના પ્રયાસોની શ્રેણીના ભાગરૂપે આ વધુ એક પ્રયાસ છે.

મંત્રીશ્રીએ આ અંગે વિગતે જણાવ્યું હતું કે, “આ ગેમ્સ ઑનલાઇન ગેમર્સના વિશાળ માર્કેટમાં પ્રવેશવાનો અને સાથે સાથે તેમને રમતના માધ્યમથી શિક્ષિત કરવાનો પ્રયાસ છે. ભારત સરકારની વિવિધ પ્રશાખાઓ દ્વારા દેશના ખૂણે-ખૂણેથી વિસરાયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે માહિતી એકત્રિત કરવામાં આવી છે. આઝાદી ક્વેસ્ટ એ આ જ્ઞાનના અભ્યાસને આકર્ષક અને ઇન્ટરેક્ટિવ બનાવવાનો એક પ્રયાસ છે.” શ્રી ઠાકુરે એ બાબતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દરેક વય જૂથના લોકો આ રમતો તરફ આકર્ષિત થશે અને આ રમતો ઝડપથી દરેક ઘરની મનપસંદ રમતો બની જશે.

ભારતમાં ઝડપથી વિસ્તરણ પામી રહેલા AVGC ક્ષેત્ર અંગે વાત કરતા શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે, માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ભારતમાં AVGC ક્ષેત્રનું જતન કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ભારત ગેમિંગ ક્ષેત્રે ટોચના 5 દેશોમાંથી એક તરીકે ઉભરી આવ્યું છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, માત્ર 2021માં જ ગેમિંગ ક્ષેત્રમાં 28%નો વધારો જોવા મળ્યો છે. 2020 થી 2021 સુધીમાં ઑનલાઇન ગેમર્સની સંખ્યામાં 8 ટકાનો વધારો થયો છે અને 2023 સુધીમાં આવા ગેમર્સનો આંકડો 45 કરોડ સુધી પહોંચવાની અપેક્ષા છે.

તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, આ એપ્સ આપણા AVGC ક્ષેત્રની ક્ષમતાઓને વધુ વેગ આપશે અને સાથે સાથે આપણા ગૌરવશાળી ઇતિહાસને વિશ્વના ખૂણે ખૂણે લઇ જવાનું પણ કામ કરશે. તેમણે કહ્યું હતું કે, પ્રકાશન વિભાગ અને ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદ દ્વારા સાથે મળીને આ એપ્સમાંની માહિતીને તૈયાર કરવામાં આવી છે અને તેના કારણે આ એપ્સ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામને લગતી અધિકૃત માહિતીનો સરળતાથી સુલભ થઇ શકે તેવો ખજાનો બની જશે.

મંત્રીશ્રીએ ઝિંગા ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા અથાક પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમના આ પ્રયાસોના પરિણામરૂપે આ એપ્સ તૈયાર થઇ શકી છે. મંત્રીશ્રીએ તમામ વયજૂથના લોકોને આ એપ્સ ડાઉનલોડ કરવા માટે આહ્વાન કર્યું છે અને જણાવ્યું હતું કે આ એપ આપણી સ્વાતંત્રતાના સંગ્રામ વિશે જાણવા માટે એક મહત્વપૂર્ણ શૈક્ષણિક સાધન બનશે. એપ્લિકેશન વપરાશકર્તાઓને એક સાથે મનોરંજન આપશે, જોડાયેલા રાખશે અને શિક્ષિત કરશે એટલે કે ‘એન્ટરટેઇન, એંગેજ અને એજ્યુકેટ’ કરવાનું કામ કરશે.

આ પ્રસંગે બોલતા ઝિંગા ઇન્ડિયાના કન્ટ્રી હેડ શ્રી કિશોર કિચલીએ જણાવ્યું હતું કે “સ્વતંત્રતાનો માર્ગ ભારતના ઇતિહાસમાં પરિવર્તનકારી સીમાચિહ્નરૂપ છે અને ભારતના ભૂતકાળને સન્માનિત કરવાના આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રયાસનો હિસ્સો બનવાનો અવસર પ્રાપ્ત થયો તે બદલ અમને ખૂબ જ ગૌરવ છે. ઝિંગા ખાતે અમારું મિશન લોકોને રમતો દ્વારા જોડવાનું છે. આ પહેલ સ્વતંત્રતાના આ મહત્વપૂર્ણ યુગ વિશે શીખવવાના અનુભવ તરીકે ઇન્ટરેક્ટિવ મનોરંજનની શક્તિનો ઉપયોગ કરતી વખતે તમામ વયના પ્લેયર્સને જોડવા માટે તૈયાર કરવામાં આવેલી છે.”

પોતાની રીતે અનોખી એવી આ પહેલ રમકડાં અને રમતો દ્વારા લોકોને ‘એંગેજ, એન્ટરટેઇન અને એજ્યુકેટ’ કરવા એટલે કે તેમને જોડવા, મનોરંજન પૂરુ પાડવા અને શિક્ષિત કરવા માટે આદરણીય પ્રધાનમંત્રીએ કરેલા આહ્વાનથી પ્રેરિત છે જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની વાર્તાઓ અને સીમાચિહ્નો તેમજ મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓની બહાદુરી દર્શાવે છે. આ પ્રકારે લોકોનું મનોરંજન થઇ શકશે, જોડાશે અને ઇતિહાસથી શિક્ષિત થશે. ‘આઝાદી ક્વેસ્ટ’ શ્રેણીની પ્રથમ બે રમતોમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની વાર્તા કહેવામાં આવી છે, જેમાં મુખ્ય સીમાચિહ્નો અને નાયકો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ વાર્તાઓને મનોરંજક રમત સાથે સાંકળી દેવામાં આવી છે. રમતોની સામગ્રી સરળ છતાં વ્યાપક છે, જે પ્રકાશન વિભાગ દ્વારા ખાસ તૈયાર કરવામાં આવી છે અને ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદના નિષ્ણાતો દ્વારા ચકાસણી કરવામાં આવી છે.

આઝાદી ક્વેસ્ટ વિશે: હાલમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રેણીબદ્ધ રમતો તૈયાર કરવા માટે પ્રકાશન વિભાગ દ્વારા આજે ઝિંગા ઇન્ડિયા સાથે એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આઝાદી ક્વેસ્ટ નામથી શરૂ કરવામાં આવેલી રમતો ભારતના લોકો માટે અંગ્રેજી અને હિન્દીમાં એન્ડ્રોઇડ

તેમજ iOS ઉપકરણો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને સપ્ટેમ્બર 2022 થી સમગ્ર દુનિયામાં તેને ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઑનલાઇન ગેમિંગ કંપની ઝિંગા ઇન્ડિયાની સ્થાપના 2010 માં બેંગલુરુ ખાતે કરવામાં આવી હતી અને તેમણે સમગ્ર મોબાઇલ અને વેબ પર ફ્રેન્ચાઇઝીસ માટે કેટલીક સૌથી લોકપ્રિય રમતો તૈયાર કરી છે.

આ અનોખી રમતોની શ્રેણી, ‘ગેમફિકેશન ઓફ એજ્યુકેશન’ની વિભાવના પર આધારિત છે જે દેશમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવશે. રમત-આધારિત અભ્યાસ વર્ગખંડ અને ઉંમરની મર્યાદાઓથી આગળ નીકળીને અભ્યાસ કરવાની પ્રક્રિયાને વિસ્તૃત કરે છે અને આ પ્રકારે સમાન અને આજીવન શિક્ષણ પૂરું પાડે છે.

આઝાદી ક્વેસ્ટ શ્રેણી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓની દંતકથાઓનું જ્ઞાન આપશે, જેની મદદથી પ્લેયર્સમાં ગૌરવની લાગણી જન્મશે અને ફરજની ભાવના પણ પ્રેરિત થશે તેમજ બ્રિટિશરાજ વખતની માનસિકતાની ભાવનાને દૂર કરવા માટે પણ તે નિમિત્ત બનશે તેમજ તેમાં 76મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનમાં ‘અમૃતકાળના પંચપ્રાણ’નો ઉલ્લેખ કર્યો હતો તેના પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

આ શ્રેણીની પ્રથમ રમત ‘આઝાદી ક્વેસ્ટ: મેચ 3 પઝલ’ છે, જે એક સરળ અને રમવામાં સહેલી પ્રાસંગિક રમત છે, જેમાં પ્લેયર્સ સમક્ષ 1857 થી 1947 સુધીના ભારતના સ્વતંત્રતાના સંગ્રામની રંગીન સફર રજૂ કરવામાં આવી છે. જેમ જેમ પ્લેયર્સ રમત રમીને આગળ વધે છે તેમ, 495 લેવલમાં તેને ફેલાવવામાં આવી છે

જેમાં, તેઓ 75 ટ્રીવિયા કાર્ડ્સ એકત્રિત કરી શકે છે, અને દરેક કાર્ડમાં ઇતિહાસની મુખ્ય ક્ષણો દર્શાવવામાં આવી છે, તેઓ લીડરબોર્ડ્સ પર સ્પર્ધા કરી શકે છે અને રમતોમાંથી પ્રાપ્ત થયેલા પુરસ્કારો અને પ્રગતિની સ્થિતિને સોશિયલ મીડિયા પર શેર કરી શકે છે.

બીજી તરફ, ‘આઝાદી ક્વેસ્ટ: હીરોઝ ઓફ ભારત’ને એક પ્રશ્નોત્તરીની રમત તરીકે તૈયાર કરવામાં આવી છે જેમાં 75 લેવલમાં ફેલાયેલા 750 પ્રશ્નો દ્વારા પ્લેયર્સનું ભારતની આઝાદીના નાયકો વિશેનું જ્ઞાન ચકાસવમાં આવે છે અને તેમને 75 ‘આઝાદી વીર’ કાર્ડ્સ દ્વારા ખૂબ જ ઓછા જાણીતા હોય તેવા આઝાદીના સંગ્રામના નાયકો વિશે માહિતી આપવામાં આવે છે. તેઓ આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ શેર કરી શકે છે.

પ્રકાશન વિભાગ અને ઝિંગા ઇન્ડિયા વચ્ચે એક વર્ષ  સુધી ચાલનારી ભાગીદારી મારફતે આવી વધુ રમતો પૂરી પાડવામાં આવશે અને હાલની રમતોને સામગ્રી અને સુવિધાઓના સંદર્ભમાં વધુ વિસ્તૃત કરવામાં આવશે જેમાં ભારતની સ્વતંત્રતાના સંઘર્ષના વિવિધ પરિબળો વિશે લોકોને શિક્ષિત કરવાની તેમજ લોકોમાં અને ખાસ કરીને યુવાનો તેમજ વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જગાવવાની દૂરંદેશી રાખવામાં આવશે. આઝાદી ક્વેસ્ટ પૂર્ણ કરનારાઓને પ્રમાણપત્ર પણ આપવા ઉપરાંત, આ ગેમ્સ દ્વારા દર મહિને પ્લેયર્સને ઉત્સાહજનક પુરસ્કારો પણ આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.