Western Times News

Gujarati News

ડાંગમાં અનરાધાર વરસાદથી નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ

ડાંગ, રવિવારે ડાંગ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતા. ગિરિમથક સાપુતારા સહિત આહવા, વઘઈ, સુબીર પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે વરસાદને કારણે ગામમાં નદીઓ વહેતી થઈ છે. તે ઉપરાંત વઘઈના રેસ્ટોરન્ટમાં પણ પાણી ભરાયા હતા.

ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયેલા રહેલા ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ખેડૂતોએ લીલો દુષ્કાળ જાહેર કરી સહાય ચૂકવવા માગ કરી છે. ડાંગ જિલ્લામાં બપોર બાદ વરસેલા અનરાધાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે.

અંબિકા, ગીરા, પૂર્ણા અને ખાપરી નદી બે કાંઠે વહેતી થઈ. લો લેવવ કોઝવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહારને ભારે અસર પહોંચી. ધુલચોન્ડ, કુમારબંધ, આંબાપાડા, સુસરદા સહિત અનેક કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં. ઘોડાપુરની સ્થિતિ સર્જાતા નદી કિનારે ન જવા તંત્રએ લોકોને અપીલ કરી છે.

વઘઈ તાલુકામાં રવિવારે બપોરે ૪થી ૬ કલાકમાં એટલે, બે કલાકમાં ૨.૯૧ ઇંચ વરસાદ ખબક્યો હતો. સાંજે ૪થી ૬માં આહવામાં ૧૩ એમ એમ, વધઈમાં ૭૪ એમએમ, સુબીરમાં ૧૬ એમએમ, સુપાતારામાં ૨૭ એમએમ વરસાદ નોંધાયો છે. ગિરિમથક સાપુતારા ખાતે સતત ૨ કલાક એકધારો વરસાદ વરસતા ગાઢ ધૂમ્મસીયુ વાતાવરણમાં પ્રવાસીઓનો આનંદ બેવડાયો છે.

અવિરત વરસાદ વરસતા લોકોને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૧૮ કલાકમાં માત્ર ૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વલસાડના ઉમરગામમાં ૧.૩૨ ઇંચ, સુબીરમાં ૧.૨ ઇંચ વરસાદ નોંધાયો છે. ચોમાસાની વિદાય અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ચોમાસાની સિઝનનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે.

હવે ચોમાસું વિદાય ક્યારે લેશે તેના પર લોકોની નજર છે. ગુજરાતમાંથી સપ્ટેમ્બરના અંતમાં ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થઈ જશે. ૨૮ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર સુધીમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી ચોમાસુ વિદાયની શરૂઆત થઈ જશે. ૩ થી ૮ ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસાની વિદાય થશે તેવું અનુમાન છે. ચોમાસાની વિદાય અને તે દરમિયાન નવરાત્રી આવી રહી છે.

ત્યારે ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદ થવાનું અનુમાન છે. લોકલ સિસ્ટમ એટલે કે, થન્ડર સ્ટ્રોમના કારણે નવરાત્રી દરમિયાન વરસાદ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.