Western Times News

Gujarati News

વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસે ‘સર્વસંમતિ’થી ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચવા મંજુરી આપી

પ્રતિકાત્મક

♦ ગત વિધાનસભામાં રજુ થયેલ ખરડો કાનૂન બને તે પુર્વે જ રાજકીય બનેલા મુદામાં સરકારની પીછેહઠ

ગાંધીનગર,  ગુજરાતમાં માલધારી સમાજના વિરોધનું કારણ બનેલા ઢોર નિયંત્રણ કાનુન અંતે આજે વિધાનસભામાં શાસક અને વિપક્ષની સર્વસંમતિથી પાછો ખેંચી લેવાયો હતો. ગત વિધાનસભા સત્રમાં મંજુર કરાયેલા કાનૂનમાં માર્ગો પર રખડતા ઢોરો માટે માલધારીઓને જવાબદાર ઠેરવતો તથા પાલતુ ઢોરના ટેગીંગ અને તેમને સાચવવા સહિતની જવાબદારી માલધારી સમાજ પર નાંખવામાં આવી હતી.

પરંતુ આ કાનૂન પસાર થતા જ માલધારી સમાજનો જબરો વિરોધ રાજયભરમાં ફાટી નીકળ્યો હતો અને આજે પણ વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે માલધારી સમુદાયે રાજયભરમાં ‘દૂધ બંધી’ લાદી દીધી હતી અને સમગ્ર રાજયમાં દૂધનું વિતરણ બંધ કરી દીધું હતું.

બીજી તરફ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી હોવાથી માલધારી સમાજનો આ વિરોધ શાસક પક્ષ માટે મુશ્કેલી સર્જે તેવા સંકેત મળતા જ લાંબા સમયથી સરકારે આ કાનૂન પરત લેવાની માનસિકતા બનાવી હતી. આજે વિધાનસભામાં અધ્યક્ષ દ્વારા જાહેર કરાયું કે ઢોર નિયંત્રણ ખરડો પાછો ખેંચી લેવાયો છે અને તેનાથી હવે માલધારી સમાજના આંદોલનનો પણ અંત આવશે તેવા સંકેત છે.

ગુજરાતમાં રખડતા ઢોરોની સમસ્યા જે રીતે ખાસ કરીને મહાનગરોમાં વિકટ બની છે તે બાદ હાઈકોર્ટના વારંવાર આકરા ઠપકા પછી રાજય સરકારે ઢોર નિયંત્રણ કાનુન બનાવવા માટે વિધાનસભામાં ખરડો રજુ કરીને મંજુર કરાવ્યો હતો પરંતુ તે કદી કાનૂન બની શકયો નહી અને રાજયપાલે પણ બે દિવસ પહેલા આ ખરડો સહી કર્યા વગર વિધાનસભાને પરત મોકલ્યો હતો અને આ સાથે ઢોર નિયંત્રણ બીલનું બાળ મરણ થયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.