Western Times News

Gujarati News

લાઠીના દુધાળા ખાતે પ્રાકૃતિક ખેતી માટે ૭૫ ગાયનું ખેડૂતોને દાન

૧૦૦ સરોવર પ્રોજેક્ટ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરણાત્મક ઉપસ્થિતિ

સમગ્ર ભારતમાં ‘પ્રાકૃતિક ખેતી’ અભિયાનને લઈ જાગૃત્તિ વધી રહી છે, ગુજરાતમાં ૨.૫૦ લાખ ખેડૂતો આ અભિયાનમાં જોડાયા જે સૌથી મોટી સિદ્ધિ – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા કાર્યક્રમ યોજાયો

અમરેલી જિલ્લાની ઉન્નતિ માટે કુદરતને નુકશાન કર્યા વિના કાર્યો કરવા માટેનો સંકલ્પ વ્યક્ત કરતા ધોળકીયા ફાઉન્ડેશનના સંસ્થાપકશ્રી સવજીભાઇ ધોળકીયા

અમરેલી, ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના દુધાળા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે ૭૫ ગામના ૭૫ ખેડુતોને ૭૫ ગાય અર્પણ કરતા જણાવ્યુ હતુ કે, વેદમાં ગાવો વિશ્વસ્ય માતરઃ કહેવાયું છે, અર્થાત ગાય વિશ્વમાં માતા સ્વરુપ છે. નવરાત્રિના પ્રથમ દિવસે ગાય માતાની સેવા પૂજા કરવા રાજયપાલશ્રીએ સૌ ખેડુતોને સંકલ્પબધ્ધ કર્યા હતા.

સુરતના હરિકૃષ્ણ ગૃપ અને ધોળકીયા ફાઉન્ડેશનના સંસ્થાપક અને લાઠી તાલુકાના દુધાળાના મૂળ વતની એવા શ્રી સવજીભાઇ ધોળકીયા અને પરિવાર દ્વારા આઝાદીના અમૃત્ત મહોત્સવ પ્રસંગે અમરેલી જિલ્લાના ૭૫ ગામના ૭૫ ખેડુતોને પ્રાકૃતિક કૃષિ માટે ૭૫ ગાય રાજયપાલશ્રીના હસ્તે દાન આપવામાં આવી હતી.

આ પ્રસંગે રાજયપાલશ્રીએ જણાવ્યુ કે, હિમાચલ પ્રદેશમાં ખેડુતોએ પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કર્યા આજે ત્યાં બે લાખ ખેડુતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. ગુજરાતમાં અઢી લાખ ખેડુતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે. તેમણે જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ ભારત ભૂમિને ઝેરમુક્ત બનાવી ખેડુતો અને ખેતીને સમૃધ્ધ કરવાનો છે, આ માટે પ્રાકૃતિક કૃષિ એ સૌથી મજબૂત વિકલ્પ છે. પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશના ખેડુતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યુ છે. સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનું અભિયાન તેજ ગતિથી ચાલી રહ્યુ છે.

પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટતું નથી તેમ સ્પષ્ટ જણાવતા રાજયપાલશ્રીએ ઉમેર્યુ હતુ કે, ઓર્ગેનિક ફાર્મિંગ અર્થાત જૈવિક કૃષિ પધ્ધતિમાં શરુઆતમાં ઉત્પાદન ઘટે છે, જેમાં મોટી માત્રામાં છાણિયું ખાતર જરુરી છે. વિદેશી અળસિયા ભારતીય વાતાવરણમાં કાર્ય કરવા પૂરતા સક્ષમ નથી. આ પધ્ધતિમાં નિંદામણની સમસ્યાનો હલ થતો નથી. તેમણે જણાવ્યુ કે, પ્રાકૃતિક કૃષિ પધ્ધતિમાં ઉત્પાદન ઘટતું નથી પરંતુ પૂરી વિધિ અનુસરીને તે ખેતી કરવામાં આવે તો ઉત્પાદનમાં વધારો થાય છે.

રાજયપાલશ્રીએ જણાવ્યુ હતુ કે, દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ સુક્ષ્મજીવો હોય છે, ગૌમૂત્ર એ ખનીજોનો ભંડાર છે. રાજ્યપાલશ્રીએ, ગાયને સૌની માતા ઉપરાંત શુભ ફળ દેનારી દેવી તરીકે ઓળખાવી હતી. પ્રાકૃતિક કૃષિમાં છાણ, ગૌમૂત્ર, બેસન, ગોળ અને માટીના પાણીમાં બનાવેલા મિશ્રણથી જીવામૃત્ત, ઘન જીવામૃત્ત બનાવવામાં આવે છે,

જે કલ્ચર તરીકે કાર્ય કરે છે, પ્રાકૃતિક ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. રાજયપાલશ્રીએ આચ્છાદન અર્થાત જમીનને ઢાંકવાની આવશ્યકતા પણ સમજાવી હતી. આચ્છાદનથી જમીનને ઉંચા તાપમાને રક્ષણ મળે છે, જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ રહે છે. અળસિયાં જેવા મિત્ર જીવોને દિવસ દરમિયાન પણ કાર્ય કરવાનું વાતાવરણ મળે છે, અળસિયાં જમીનને ફળદ્રુપ બનાવે છે.

રાજયપાલશ્રીએ વધુમાં કહ્યુ કે, જંગલમાં કોઇ રાસાયણિક ખાતર, જંતુનાશકનો ઉપયોગ થતો નથી છતાં જંગલમાં વૃક્ષ વનસ્પતિનો વિકાસ થાય છે, એ જ પ્રાકૃતિક પધ્ધતિથી ખેતી કરવામાં આવે એ જ પ્રાકૃતિક કૃષિ છે. રાજયપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિના બીજામૃત્ત, જીવામૃત્ત, ઘન જીવામૃત્ત, આચ્છાદન અને મિશ્રપાક જેવા સિધ્ધાંતોની પણ સમજૂતી આપી હતી.

પ્રાકૃતિક કૃષિમાં એક દેશી ગાયની મદદથી ૩૦ એકર જમીનમાં ખેતી થઇ શકે છે. પ્રાકૃતિક કૃષિથી જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે, દેશી ગાયનું જતન-સંવર્ધન થાય છે, કૃષિ ખર્ચ નહિવત આવે છે અને ઉત્પાદન પૂરતું મળે છે જેથી સરવાળે ખેડુતોને આર્થિક ફાયદો થાય છે

એટલું જ નહિ સ્વાસ્થ્યપ્રદ આહાર મળવાને કારણે લોકોના સ્વાસ્થ્યની રક્ષા પણ થાય છે. જયારે રાસાયણિક કૃષિમાં કૃષિ ખર્ચ સતત વધી રહ્યો છે, ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. જમીન બંજર બની રહી છે, રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઉપયોગથી દૂષિત આહાર આરોગવાથી લોકો કેન્સર, ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગના ભોગ બની રહ્યા છે.

નિષ્ણાંતો માની રહ્યા છે કે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો પણ ફાળો છે. રાજયપાલશ્રીએ જણાવ્યુ હતુ કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવા પ્રાકૃતિક કૃષિ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમણે પ્રાકૃતિક કૃષિને ખેડુતો માટે આર્શિવાદરુપ ગણાવી વધુને વધુ ખેડુતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવા માટે લોકોને સંકલ્પબધ્ધ કર્યા હતા.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતને અમરેલી સ્થિત એરપોર્ટ ખાતે આવકારવામાં આવ્યા હતા. તેમને દુધાળા સ્થિત હેતની હવેલી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ હરિકૃષ્ણ સરોવર, નમ્રમુનિ સરોવર અને પંચગંગા તીર્થ સરોવર સહિતના સરોવરની મુલાકાત લીધી હતી. ધોળકીયા પરિવાર દ્વારા શાલ, છોડ અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી તેમનું સ્વાગત-સત્કાર કરવામાં આવ્યુ હતુ.

ગાય આધારિત ખેતી કરનાર દંપતિઓને, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતાં. ગાય સંવર્ધનનો સંકલ્પ પણ આ પ્રસંગે ખેડૂતો દ્વારા લેવામાં આવ્યો હતો.

નવરાત્રિના પ્રથમ દિવસે ગાય માતાના દાન માટે રાજયપાલશ્રી દેવવ્રતજીના આગમનને આવકારતા ધોળકિયા ફાઉન્ડેશનના શ્રી સવજીભાઇ ધોળકીયાએ કહ્યુ કે, જે જમીનમાં પાક નહોતો થતો ત્યાં જળ સંરક્ષણના કાર્ય થતાં વાવણી માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ગાય આધારિત ખેતી માટે ગાયની જાળવણી અને માતા-પિતાની સેવા માફક સેવા કરી શકે તેવા ખેડુત દંપતિઓને ગાય અર્પણ કરવામાં આવી છે. નહિ નફા નહિ નુકશાનના ધોરણે મગફળી વાવેતર અને મગફળીના તેલના વેચાણ માટેનો પ્રસ્તાવ મૂકી તે રકમ કિસાન પે મારફતે ખેડુતોના ખાતામાં જમા કરવામાં આવશે તેમ ઉમેર્યુ હતુ. આગામી સમયમાં અમરેલી જિલ્લાની ઉન્નતિ માટે કુદરતને નુકશાન કર્યા વિના કાર્યો કરવા માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

અગ્રણીશ્રી રાકેશભાઈ દુધાતે કહ્યુ કે, કિસાનો, ગાય માતા અને ધરતી માતાને સમર્પિત આ ક્રાંતિ ભૂમિ છે. ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા નાગરિકોના કલ્યાણ માટે નિષ્કામ ભાવના સાથે કાર્ય કરવામાં આવી રહ્યું છે. જળ સંવર્ધનનું કાર્ય કરવા માટે ૧૧૦ તળાવ બનાવવામાં આવ્યા છે. કૃષિ અને ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા તેમણે અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઉદ્યોગપતિશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા લાઠીમાં ૧૦૦ સરોવરના નિર્માણનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેના થકી ભવિષ્યમાં પાણીને લઈ સૌથી મોટું સંરક્ષણ અને જળ સંગ્રહ થશે. આ કામગીરી થકી આસપાસની તમામ જમીન સહિતનો વિસ્તાર હરિયાળું વન બની રહેશે. આ ઉપરાંત ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા હવે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા આઝાદીના ૭૫ વર્ષના ઉપલક્ષ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન પુરું પાડવા અને જાગૃત્તિ વધારવા માટે ખેડૂતોને ૭૫ ગાયનું દાન ઉપરાંત ૧૦૦ સરોવર નિર્માણ પ્રોજેક્ટને કેન્દ્રમાં રાખી લાઠી તાલુકાના દુધાળા ખાતે કાર્યક્રમ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, લાઠી પ્રાંત અધિકારીશ્રી ટાંક, ધોળકીયા પરિવારના સભ્યશ્રીઓ, હરિકૃષ્ણ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સદસ્યશ્રીઓ, સામાજિક અગ્રણીશ્રીઓ, ઉદ્યોગપતિશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, મહાનુભાવો, ખેડુતો અને પશુપાલકો સહિતના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.