Western Times News

Gujarati News

અમદાવાદની કુલ 21 વિધાનસભા બેઠકો માટે મતગણતરી આ 3 જગ્યાએ થશે

અમદાવાદમાં કાઉન્ટિંગ સેન્ટર, સ્ટ્રોંગરૂમની મુલાકાત લેતા ઓબ્ઝર્વર

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022- અમદાવાદ જિલ્લો-વિવિધ વિભાગોના આયોજન-વ્યવસ્થાપનની સમીક્ષા કરી જરૂરી સૂચનો અપાયાં

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની કામગીરી સુઆયોજિત રીતે આગળ વધી રહી છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે. ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક થઈ ચૂકી છે અને ઓબ્ઝર્વર્સ દ્વારા ઝીણવટભરી દેખરેખ રાખવામાં આવી રહી છે. ચૂંટણી નિરીક્ષકો દ્વારા અમદાવાદ શહેરના વિવિધ કાઉન્ટિંગ સેન્ટરની મુલાકાત લેવામાં આવી.

તેઓએ મતગણતરી કેન્દ્રોમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યાં હતાં. તા.8 ડિસેમ્બરના રોજ 3 સ્થળોએ અમદાવાદની 21 બેઠકો માટે મતગણતરી કરવામાં આવનાર છે. જેમાં એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ, ગવર્મેન્ટ પોલિટેકનિક-આંબાવાડી અને ગુજરાત કોમર્સ કોલેજ-એલિસબ્રિજનો સમાવેશ થાય છે.

અહીં વિધાનસભા મતવિસ્તારો પ્રામાણે બનાવાયેલા કાઉન્ટિંગ હોલ, સ્ટ્રોંગરૂમ કે જ્યાં ઈવીએમ અને વીવીપેટ રાખવામાં આવનાર છે. તદુપરાંત મીડિયારૂમની સાથોસાથ ઉમેદવારો, પોલિંગ એજન્ટ અને સ્થાનિકો માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ વિશે ઓબ્ઝર્વર્સને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડૉ. ધવલ પટેલ, શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ તેમજ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓએ કરેલા આયોજનનું ઓબ્ઝર્વર્સશ્રીઓએ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓશ્રીઓને કાઉન્ટિંગ સેન્ટરના નકશાના માધ્યમથી મતગણતરી કાઉન્ટર, આવાગમન, સુરક્ષા બંદોબસ્ત, મોનિટરિંગ સહિતની તમામ વ્યવસ્થાઓ માટે થઈ રહેલા કાર્યની પ્રગતિનો અહેવાલ આપ્યો હતો.

8 ડિસેમ્બરે અમદાવાદની કુલ 21 વિધાનસભા બેઠકો માટે મતગણતરી માટે કુલ 3 પરિસર પસંદ કરવામાં આવ્યા છે. જેમાં,

·        ગવર્મેન્ટ પોલિટેકનિક- આંબાવાડી ખાતે 39-વિરમગામ, 40-સાણંદ, 46-નિકોલ, 57-દસક્રોઈ, 58-ધોળકા, 59-ધંધુકા એમ 6 વિધાનસભા મતવિસ્તાર

·        ગુજરાત કોમર્સ કોલેજ, એલિસબ્રીજ ખાતે 47-નરોડા, 48-ઠક્કરબાપાનગર, 49-બાપુનગર, 51-દરિયાપુર, 52-જમાલપુર ખાડિયા, 54-દાણીલીમડા, 56-અસારવા એમ 7 વિધાનસભા મતવિસ્તાર

·        એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ ખાતે 41-ઘાટલોડિયા, 42-વેજલપુર, 43-વટવા, 44-એલિસબ્રિજ, 45-નારણપુરા, 50-અમરાઈવાડી, 53-મણિનગર, 55-સાબરમતી એમ 8 વિધાનસભા મતવિસ્તારની મતગણતરી થશે.

મતગણના વખતે સમગ્ર પ્રક્રિયાનું સુચારુ સંચાલન થાય, વિવિધ રાજકીય પક્ષો, મીડિયા અને જનતાને પળેપળની અપડેટ્સ મળતી રહે તે પ્રકારની તમામ વ્યવસ્થાઓને સુનિશ્ચિત કરવા માટે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.