Western Times News

Gujarati News

પાચનક્રિયા નબળી પડે ત્યારે….અજીર્ણ અપચો વાયુ દોષ

Anorexia, indigestion, indigestion and colic can be cured

આમ જઠરાગ્નિ મનુષ્યનાં આરોગ્ય, બળ, વર્ણ તથા જીવનના મુખ્ય આધારરૂપ છે. તેની હાજરીથી જ દેહની ઉષ્મા બરાબર જળવાય છે. અપચાનો રોગ. જીવનનો આધાર છે આહાર. માણસ જે આહાર લે છે તે દેહમાં પચ્યા પછી, તેમાંથી જ શરીરને સ્વસ્થ અને બળવાન બનાવવા માટે જરૂરી રસ, રક્તાદિ ધાતુઓ તથા ઓજસ્ બને છે.

શરીરમાં દાખલ થયેલા આહારને પચાવવાનું મહત્વનું કાર્ય હોજરી, ગ્રહણી તથા આંતરડાંમાં રહેલ જઠરાગ્નિ કરે છે. ખાધેલો ખોરાક હોજરીમાં પહોંચે તે પછીથી તે પચીને તેનો આહાર-રસ બને ત્યાં સુધીમાં તેની અવસ્થા અર્થાત્ ત્રણ જાતની પાચનક્રિયા થાય છે. તેમાં સૌપ્રથમ ભોજન લીધા પછી હોજરીમાં પ્રથમ મધુર અવસ્થા પાક થાય છે.

તેમાં ષડ્રસયુક્ત આહાર પ્રથમ મધુર બને છે. આ સ્થિતિમાં આહારનો ફીણ જેવો આથો થાય છે. આ સ્થિતિમાં રહેલ આહારના મધુર અંશો સારી રીતે પચી જાય છે અને તે બીજાં અંગો માટે જલદી પચી જાય તેવો બને છે.

ShriramVaidya-logo
Mo. 9825009241

જઠરાગ્નિ કે અગ્નિ બરાબર કામ કરે તો જ ખોરાક સારી રીતે હજમ થાય અને તો જ તેમાંથી બનતી બીજી ધાતુઓ પણ બરાબર થાય, તો જ શરીર સ્વસ્થ રહે. આ જઠરાગ્નિ મંદ પડે કે વિકાર પામે, તો ખોરાકનું પાચન બરાબર ન થતાં, શરીર બગડે, રોગો થાય.

દેહની ઉષ્મા જાળવનાર, ખોરાકનું પાચન કરનાર અને સાત ધાતુઓ બનાવનાર અગ્નિ ના આયુર્વેદે ૧૩  પ્રકારો બતાવ્યા છે. એક જઠરાગ્નિ, પાંચ ભૂતાગ્નિ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ મહાભૂતાત્મક અને સાત ધાત્વગ્નિ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર કે રજ આ સાત ધાતુઓમાં રહેલ અગ્નિ.

આ ૧૩ પ્રકારના અગ્નિ શરીરમાં બરાબર રીતે કાર્ય કરે તો જ આહારમાંથી ઉત્તમ રસધાતુ બને, તો જ રસમાંથી સાર તથા મળ ભાગ બને, તો જ રસ પછીની રક્ત, માંસ જેવી સાત ધાતુઓ સારી રીતે બને, તો જ ઝાડો પેશાબ તથા પરસેવા જેવા મળનાં ઉત્પત્તિ અને વિસર્જન બરાબર થાય. આમ બધી ક્રિયાઓ યોગ્ય શારીર અગ્નિને કારણે ચાલે, ત્યારે જ આખું શરીર સ્વસ્થ રહે.

આહારને પચાવવાનું કાર્ય મુખ્યત્વે અગ્નિ જ કરે છે. બીજાં છ તત્વો તેમાં સહાયભૂત બને છે. તે છે  ઉષ્મા, વાયુ, ક્લેદ-દ્રવ/જળ,  સ્નેહ-તેલીય અંશ,  કાળ -સમય,  સમયોગ. આમાં અગ્નિ અથવા ઉષ્મા આહારને બરાબર પચાવે છે. વાયુ ખોરાકને આકર્ષીને અગ્નિ પાચકરસો પાસે લાવે છે કે તેમાં ભેળવે છે.

સ્નેહતત્ત્વ ખોરાકને કૂણો, ઢીલો બનાવે છે. ક્લેદ ખોરાકને બરાબર સંમિશ્ર કરી એકરસ કરે છે. કાળ સમય ખોરાકને બરાબર પચાવવામાં પરિપૂર્ણતા લાવે છે. સમયોગ અર્થાત્ આ બધાં કહેલાં તત્ત્વો બરાબર યોગ્ય રીતે જળવાય તો તેથી સમયોગ સધાય છે, બધી ધાતુઓ સારી રીતે પેદા થાય છે.

પક્વાશયમાં આહારનો મળભાગ પહોંચ્યા પછી આહારની છેલ્લી અવસ્થા કટુ અવસ્થા પાક થાય છે. અહીં મળ બંધાય છે અને વાયુ ઉત્પન્ન થાય છે. આહાર પર થતી બીજી ક્રિયાને અમ્લ અવસ્થા પાક કહે છે. આ અવસ્થામાં હોજરીમાંથી આહાર ગ્રહણી-duodenum માં આવે છે. અહીં તેમાં પાચક પિત્ત નામના ખાટા-તીખા પાચક રસો ભળે છે. તેથી આહાર ખાટો-અમ્લ થાય છે. આ અવસ્થામાં હોજરીમાં ન પચેલાં આહાર-તત્વો ઘણાંખરાં પચી જાય છે.

ગ્રહણીમાંથી પછી ખોરાક નાના આંતરડામાં જાય છે. ત્યાં આંતરડાની ગતિ-વિધિથી ખોરાકમાંથી સારરૂપે સફેદ દૂધ જેવો રસ બને છે. આંતરડામાં બનેલો રસ વિવિધ સ્રોતોમાં શોષાઈને યકૃત-પ્લીહામાં રક્ત બનવા જાય છે. અને આહારનો મળભાગ ઝાડો બને છે, જે મોટા આંતરડા પક્વાશય માં જાય છે.

અહીંથી રસ ધાતુ આગળ જાય છે. તેની પર પાંચ ભૂતાગ્નિ અને સાતે ધાતુઓમાં પોતામાં રહેલા અગ્નિઓની પ્રક્રિયા થાય છે. તેને પરિણામે શરીરની રસરક્તાદિ 7 ધાતુઓ, તેની ઉપધાતુઓ તથા મળની ઉત્પત્તિ થાય છે. જઠરાગ્નિની ત્રણ વિકૃતિઓ : ખોરાક પચાવનાર જઠરાગ્નિની ત્રણ પ્રકારની વિકૃતિ થાય છે.

જ્યારે તે સમતોલ કે સ્વસ્થ હોય ત્યારે ખોરાક બરાબર પચે છે. પણ તેમાં વધ-ઘટ રૂપી વિકાર થતાં તેના ત્રણ પ્રકારો વાયુ-પિત્ત-કફ દોષની પ્રધાનતા મુજબ બને છે. વાયુ દોષથી વિષમાગ્નિ થાય છે. તેથી ખોરાક ક્યારેક હજમ થાય છે, ક્યારેક હજમ નથી થતો. તેનાથી વાયુનાં દર્દો થાય છે. પિત્ત દોષથી તીક્ષ્ણાગ્નિ થાય છે.

તેથી માપમાં કે વધુ માત્રામાં લીધેલો ખોરાક સામાન્ય સમય પહેલાં વહેલો પચી જાય છે અને ભૂખ વારંવાર લાગે છે. તે સમયે જો તેને સમયસર યોગ્ય માત્રામાં ખોરાક ન મળે તો અંતે શરીરની ધાતુઓ બળે છે-ઘટે છે. છેવટે ભસ્મક નામે રોગ અને પિત્ત ગરમી નાં બીજાં દર્દો થાય છે. જઠરાગ્નિની ત્રીજી વિકૃતિ છે મંદાગ્નિ, જે કફ દોષ વધવાથી થાય છે.

આને કારણે થોડોક તથા હળવો લીધેલો ખોરાક પણ સામાન્ય સમય મર્યાદામાં પચતો નથી અને તે પચતાં ખૂબ વાર લાગે છે. પેટ ભારે રહે છે. ફરી સમયસર ભૂખ લાગતી નથી તેમજ અન્ય કફદોષનાં દર્દો થાય છે. આ ત્રણેય જઠરાગ્નિની ત્રણ અવસ્થાઓ છે. દોષભેદથી થતાં અજીર્ણ : ખોરાક બરાબર હજમ ન થાય તો તેને અપચો કે અજીર્ણ કહે છે. આયુર્વેદે વાયુપિત્તકફ દોષની પ્રધાનતા મુજબ થતા અજીર્ણના ત્રણ પ્રકાર અને એક ચોથો રસધાતુથી થતો – એમ ચાર જાતનાં અજીર્ણ બતાવ્યાં છે.

અપચો–અજીર્ણ થવાનાં કારણો : ખૂબ પાણી પીવું, સમયે–કસમયે થોડું કે વધુ પડતું વિષમ ખાવું, ઝાડો, પેશાબ, વાછૂટ જેવા કુદરતી વેગોને પરાણે રોકવાની ટેવ, સૂવાના સમયે રાતે સૂવું નહિ અને દિવસે જાગવું, અનિયમિત રીતે સૂવું, ખોટા ઉજાગરા કરવા,

ખૂબ ઠંડો કે ભારે ખોરાક વધુ પ્રમાણમાં લેવો, માનસિક ઉદ્વેગો વિચાર શોક વગેરે કારણોથી અજીર્ણ રોગ થાય છે. અજીર્ણમાંથી થતા અન્ય રોગો : અજીર્ણ રોગની સમયસર યોગ્ય સારવાર ન થાય, તો તેમાંથી ઊલટી થવી, ચક્કર આવવા, અંગ તૂટવાં, લવરી-પ્રલાપ થવી, મૂર્ચ્છા થવી અને ક્યારેક મૃત્યુ પણ થાય છે.વિષ્ટબ્ધાજીર્ણ : વિષ્ટબ્ધ એટલે સ્તબ્ધતા. ખોરાક પેટમાં હાલ્યાચાલ્યા વિનાનો આળસુ થઈ પડ્યો રહે તે વાયુની યોગ્ય ગતિના અભાવે થતું અજીર્ણ છે;

જેમાં પેટમાં શૂળ, આફરો, ઝાડો, પેશાબ અને અપાનવાયુથી છૂટ ન થવી, શરીર જકડાઈ જવું, મોહ થવો અને અંગોમાં પીડા થવી આવાં લક્ષણો દેખાય છે. વિદગ્ધાજીર્ણ : પિત્ત દોષ ખૂબ બળી જતાં-વધુ તીવ્ર થઈ જતાં આ પ્રકારનું અજીર્ણ થાય છે. જેમાં ચક્કર આવવાં, આંખે અંધારાં આવવાં,

ખૂબ તરસ લાગવી, મૂર્ચ્છા થવી, દાહપીડા થવી, ધુમાડા જેવા ઓડકાર આવવા, ખાટા ઓડકાર થવા તથા પેટમાં–છાતીમાં બળતરા થવી વગેરે લક્ષણો થાય છે. તેમાં ખોરાક કદીક બરાબર પચે છે, તો કદીક કાચો રહે છે. આમાજીર્ણ : કફ દોષની વૃદ્ધિ કે પ્રકોપથી આ પ્રકારનું અજીર્ણ થાય છે. તેમાં પેટ ભારે લાગવું, મોળ ચડવી કે મોંમાં ખૂબ પાણી આવવું,

આંખ નીચે તથા ચહેરા પર સોજો લાગવો, જે ખાધું હોય તેના જ ઓડકાર આવવા, પેટ દબદબા જેવું ખોરાક હજમ ન થયો હોય તેવું જણાવું, આવાં લક્ષણો જણાય છે. રસશેષાજીર્ણ : ખાધેલા ખોરાકમાંથી રસ બને છે. તે પચે નહિ તો તેનું અજીર્ણ થાય છે. તેમાં ભોજનની અનિચ્છા થવી, હૃદયછાતી ભારે લાગવાં, શરીર ભારે જણાવું, ઓડકાર શુદ્ધ આવે છતાં ખાવાની ઇચ્છા ન થવી-જેવાં લક્ષણો દેખાય છે.

આમાજીર્ણ, વિદગ્ધાજીર્ણ અને વિષ્ટબ્ધાજીર્ણની યોગ્ય સારવાર ન થાય તો તેમાંથી વિષૂચિકા cholera, અલસક તથા વિલંબિકા જેવા પાચનતંત્રના રોગો થાય છે. વિષૂચિકા : અજીર્ણથી આખા શરીરમાં સોય વિષૂચિ ભોંકાવા જેવી તીવ્ર પીડા થાય અને સાથે ઝાડા-ઊલટી થાય તે રોગને વિષૂચિકા કહે છે. આ રોગમાં વાયુદોષની પ્રબળતા હોય છે.

તેનાં નીચે મુજબનાં લક્ષણો દેખાય છે : ઝાડા અને ઊલટી એકસાથે થવાં, તે સાથે ચક્કર આવવાં, ખૂબ જ તરસ લાગવી, પેટમાં શૂળ થવી, અંગોમાં મરડાટ થવો, બગાસાં આવવાં, શરીરમાં દાહ થવો, શરીરનો રંગ બદલાવો, શરીર કંપવું, હૃદયમાં પીડા થવી અને માથું સખત દુ:ખવું, નિદ્રાનાશ, અણગમો, પેશાબ બંધ થવો અને ભાન ન રહેવું વગેરે આ દર્દ કૉલેરા નામે ઓળખાય છે જેમાં દર્દીને સફેદ રંગનાં, ખૂબ ગંધાતાં ઝાડા-ઊલટી વધુ પ્રમાણમાં થાય છે, જેની ઝડપી સારવાર ન થાય, તો દર્દી થોડા કલાકોમાં મૃત્યુ પામે છે. અલસક : આ પણ અજીર્ણનો જ એક રોગ છે.

જેમાં ખોરાક નીચે ઝાડા દ્વારા કે ઉપર ઊલટી દ્વારા એકે માર્ગે નીકળતો નથી અને આળસુની જેમ થઈને જ્યાં હોય ત્યાં પડ્યો જ રહે છે. આ દર્દમાં બંને પડખાં ખૂબ જ ફૂલે છે, તેમાં શૂળ થાય છે, પેટમાં અવાજ થાય છે, વાયુની ગતિ અવરોધાય છે, વાયુ નીચે સરકવાને બદલે અવળો–ઉપર ગતિ કરે છે, વાછૂટ તથા ઝાડાની અટકાયત થાય છે,

દર્દીને અંધારાં આવે છે, ખૂબ તરસ લાગે છે અને વારંવાર ઓડકાર થયા કરે છે. ખોરાકની રુચિ તથા ભૂખ મરી જાય છે. દર્દીને કંઈ ગમતું નથી અને તે આકળવિકળ થાય છે. વિલંબિકા : ખાધેલો ખોરાક ખૂબ જ વિલંબ ઘણી વાર પછી પચે, તેવા રોગને વિલંબિકા કહે છે. આ રોગ વાયુ તથા કફ દોષના કોપથી થાય છે, જેની સારવાર કપરી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ક્રમશ:

પાચનક્રિયા નબળી પડે ત્યારે….અજીર્ણ અપચો વાયુ દોષ….2

ડો.શ્રીરામ વૈદ્ય  Mob:9825009241 email: [email protected]

 

 

 

ઉપરના ત્રણે રોગમાં આમ દોષ આહારનો કાચો રસ જે જે અંગમાં જઈ અટકે છે, ત્યાં ત્યાં તે કોઈ ઉપદ્રવ-પીડા કરે છે.         ઉપરનાં ત્રણે પ્રકારનાં દર્દોમાં જ્યારે દર્દીના દાંત, નખ અને હોઠ કાળા પડી જાય, સંજ્ઞા ભાન ઓછી થાય, ઊલટી થાય, આંખો ખૂબ ઊંડી ઊતરી જાય, અવાજ ક્ષીણ થઈ જાય, શરીરના સાંધા સાવ ઢીલા પડી જાય ત્યારે રોગ અસાધ્ય બને છે, જે અરિષ્ટ અશુભ લક્ષણો ગણાય છે. ખોરાક પચવાનાં લક્ષણો : ખાધેલો ખોરાક બરાબર હજમ થાય એટલે તે સૂચવતાં કેટલાંક ખાસ લક્ષણો પ્રતીત થાય છે. જેમ કે ચોખ્ખો ઓડકાર આવવો, શરીરમાં ઉત્સાહ થવો, સમયસર ઝાડા-પેશાબના વેગ થવા, શરીર હળવું સ્ફૂર્તિવાન થવું, યોગ્ય સમયે ભૂખ અને તરસ લાગવાં, શરીરમાં કશી તકલીફ ન જણાવી વગેરે લક્ષણો ખોરાક બરાબર પચી ગયાનાં ગણાય છે.

અજીર્ણની સારવાર : ઊલટી કરાવવી,  ઉપવાસ કરાવવો,  દર્દીને બાફ આપી, પરસેવો કઢાવવો તથા  દર્દીને ઊંઘવા દેવો  એ આયુર્વેદની પદ્ધતિ છે. અજીર્ણ અથવા અપચો દુર કરવાના ઘણા ઉપાયો છે-એ થવાનાં કારણો અનુસાર. આજે એના ચાર પ્રકારો વીષે જોઈશું. અજીર્ણ-અપચો ભુખ લાગે ત્યારે જ જમવું. ઘઉં, ચોખા, મગ, કુણા મુળા,, સુરણ, પરવળ, પાકાં કેળાં, દાડમ, દ્રાક્ષ, દુધ, ઘી, દહીં, છાસ વગેરેનું સેવન કરવું. માત્ર ગરમ પાણી પીને બે કે ત્રણ નકોરડા ઉપવાસ કરવા માત્રથી પણ અજીર્ણ મટે છે. અજીર્ણના ચાર પ્રકાર છે.  કફથી થતું આમાજીર્ણ – એનાં લક્ષણોમાં આહારના ઓડકાર આવવા, મોળ છુટવી, પેટ ભારે લાગવું, આળસ, થાક, સુસ્તી, શરીર જડ જેવું લાગે, ભુખ ન લાગવી વગેરે છે. એમાં ઉપવાસ કરવા જોઈએ.

પીત્તથી થતું અજીર્ણ  – એમાં છાતી, ગળું, હોજરીમાં બળતરા થાય છે. કડવા, તીખા ઘચરકા કે ઉલટી થાય, ચક્કર આવવાં વગેરે લક્ષણો હોય છે. એક-બે ઉપવાસ કરવા. ઉપવાસ દરમીયાન સાકરવાળું દુધ, દુધનું શરબત, આઈસક્રીમ વગેરે લઈ શકાય. ઉપવાસ પછી દુધ-રોટલી, દુધ-ભાત, ખીર, દુધ-પૌંઆ જ લેવા. જમ્યા પછી અવીપત્તીકર ચુર્ણ અડધીથી એક ચમચી સવારે, બપોરે અને રાત્રે લેવું. અમ્લપીતાતંક વટી એક-એક અને સુતશેખર રસ એક એક ગોળી. ત્યાર પછી આહારમાં દુધી, ગલકાં, તુરીયાં, પરવળ વગેરે શાક લેવાય. અથાણાં, પાપડ, તળેલું, ડુંગળી વગેરે બંધ.

વાયુથી થતું અજીર્ણ – એનાં લક્ષણોમાં કબજીયાત, પેટ તંગ-ભારે થવું, આફરો, અધોવાયુની ગતી અટકી જવી, વાયુના પ્રકોપથી જમ્યા પછી ઉછાળા આવવા વગેરે છે. એમાં પ્રથમ એક દીવસ ફક્ત મગના પાણી પર રહેવું. પછી એક દીવસ ફળોના રસ પર રહી હળવો સુપાચ્ય આહાર લેવો. એક-બે કીલોમીટર ચાલવું. બહુ પાણી પીવાથી, કસમયે ભોજન કરવાથી, મળ-મુત્રાદીના વેગને રોકવાથી, સમયસર નીદ્રા ન લેવાથી, ઓછું કે વધારે ખાવાથી અજીર્ણ થાય છે.  આથી કારણને જાણીને તેનું નીવારણ કરવું. ઔષધોમાં  શીવાક્ષાર પાચન ચુર્ણ અડધીથી એક ચમચી દીવસમાં ત્રણ વખત લેવું.  અગ્નીતુંડીવટી એક એક ગોળી ત્રણ વખત લેવી.  હીંગ્વાષ્ટક ચુર્ણ જમ્યા પછી એક ચમચી લેવું.  દીનદયાળ ચુર્ણ અડધી ચમચી રાત્રે લેવું.

અજીર્ણમાં પેટમાં ભરાવો, ભાવતા ભોજન પર પણ અરુચી, ઉબકા થવા, ખોટી ભુખ લાગવી- ભુખ લાગે છતાં ખાવું ભાવે નહીં અને કબજીયાત થવી વગેરે થાય છે. એના ઉપચારમાં ઉકાળેલું જ પાણી પીવું અને એક ઉપવાસ કરવો. બીજા દીવસે મગનું પાણી, ફળોનો રસ અથવા લીલાં શાકભાજીનો રસ પીવો. ત્રીજા દીવસે પચવામાં હલકાં દ્રવ્યો લેવાં. દુધી, ગલકાં, તુરીયાં, ભાજી જેવાં શાક, મગનું સુપ, ગરમ રોટલી વગેરે ખાવું. ઔષધોમાં તાજું લવણભાસ્કર ચુર્ણ અથવા પંચકોલ ચુર્ણ અડધીથી એક ચમચી જેટલું દીવસમાં ત્રણ વાર તાજી મોળી છાસ સાથે લેવું. પાણીમાં મધ નાખી પીવું.      ચીત્રકાદીવટીની એક એક ગોળી ત્રણ વાર લેવી. દશમુલાસવ જમ્યા પછી ત્રણ ચમચી પીવો. અપચો કે વાયુની પેટ પીડા વખતે ગરમ પાણી કે અજમો નાખી ગરમ કરેલું પાણી પીવાથી લાભ થાય છે. અજીર્ણ- આદુ અને લીંબુના ૧૦-૧૦ ગ્રામ રસમાં ૧.૫(1½) ગ્રામ સીંધવ મેળવી સવારે પીવાથી અજીર્ણ મટે છે. કાચાં ટામેટાંને શાકની જેમ સમારીને કલાઈવાળી તપેલીમાં થોડી વાર શેકીને મરી તથા સીંધવનું ચુર્ણ મેળવી અથવા એકાદ ગ્રામ સોડા-બાઈકાર્બ ભેળવીને ખાવાથી અજીર્ણ મટે છે. ડુંગળીનો રસ અને કારેલાંનો રસ ભેગો પીવાથી અજીર્ણ મટે છે. તજ લેવાથી અજીર્ણ મટે છે. લીંબુ કાપી સીંધવ ભભરાવી ભોજન અગાઉ ચુસવાથી અજીર્ણ મટે છે. સુંઠ, મરી, પીપર અને સીંધવ સમાન ભાગે લઈ, ચુર્ણ કરી છાસમાં નાખીને પીવાથી અજીર્ણ મટે છે.

છાસમાં સીંધવ અને મરીનું ચુર્ણ નાખીને પીવાથી અજીર્ણ મટે છે.  આદુ સાથે સીંધવ ખાવાથી મંદાગ્ની મટે છે. લવીંગ અને લીંડીપીપરના ચુર્ણને ૧થી ૩ ગ્રામ મધ સાથે સવાર સાંજ લેવાથી મંદાગ્ની મટે છે. આ પ્રયોગ બે અઠવાડીયાથી વધુ ન કરવો. ભોજન પહેલાં લીંબુ અને આદુના રસમાં સીંધવ મેળવી પીવાથી મંદાગ્ની, અજીર્ણ અને અરુચીમાં લાભ થાય છે. હરડે અને સુંઠનું ચુર્ણ સવારે ખાલી પેટે લેવાથી મંદાગ્નીમાં લાભ થાય છે. હીંગની ચણા જેવડી ગોળી ઘી સાથે ગળવાથી અજીર્ણ તથા વાયુનો ગોળો મટે છે.  અર્ધી ચમચી કાચા પપૈયાનું દુધ ખાંડ સાથે લેવાથી અજીર્ણ મટે છે. કોકમનો ઉકાળો કરી ઘી નાખી પીવાથી અજીર્ણ મટે છે. પાકા અનનાસના નાના કકડા કરી, મરી અને સીંધવની ભુકી ભભરાવી ખાવાથી અજીર્ણ મટે છે.  લસણ, ખાંડ અને સીંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી અજીર્ણ મટે છે.  સમાન ભાગે સુંઠ અને ગોખરુનો ઉકાળો રોજ સવારે પીવાથી અજીર્ણ મટે છે. સારાં પાકાં લીંબુના ૪૦૦ ગ્રામ રસમાં ૧ કીલો ખાંડ નાખી, ઉકાળી, ચાસણી કરી શરબત બનાવવું. શરબત ગરમ હોય ત્યારે જ કપડાથી ગાળી ઠંડુ થાય એટલે શીશીઓમાં ભરી લેવું. ૧૫થી ૨૫ ગ્રામ જેટલું આ શરબત જરુરી પાણી મેળવી પીવાથી અપચો મટે છે.

અજમો, સીંધવ અને હરડે દરેક ૧૦-૧૦ ગ્રામ અને હીંગ ૫ ગ્રામનું બારીક ચુર્ણ કરવું. એને પાચન ચુર્ણ કહે છે. આ ચુર્ણ અડધીથી એક ચમચી જેટલું જમ્યા પછી ઉકાળીને ઠંડા કરેલા પાણી સાથે બપોરે અને રાત્રે નીયમીત લેવાથી ભુખ ન લાગવી, અપચો, પેટનું ભારેપણું, મોળ, ગૅસ, અજીર્ણ અને ઓડકાર મટે છે. હરડે, લીંડીપીપર, સુંઠ અને કાળાં મરી સરખા વજને મીશ્ર કરી, એ મીશ્રણથી બમણા વજનનો ગોળ મેળવી ચણી બોર જેવડી ગોળી બનાવવી. બબ્બે ગોળી સવાર, બપોર અને સાંજે ચુસવાથી અજીર્ણ, અરુચી અને ઉધરસ મટે છે. સરખા ભાગે સુકા ધાણા અને સાકરનો ઉકાળો દરરોજ સવાર-સાંજ પીવાથી અપચો મટે છે. ધાણા, સાકર અને પાણીનું પ્રમાણ પોતાની જરુરીયાત મુજબ રાખવું. લસણની કળી તેલમાં કકડાવીને ખાવાથી અથવા લસણની ચટણી બનાવીને ખાવાથી અરુચી અને મંદાગ્ની મટે છે.  ભુખ ન લાગતી હોય કે ભુખ મરી ગઈ હોય તો દીવસમાં બે વાર અર્ધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભુખ ઉઘડશે. ફુદીનો, તુલસી, મરી અને આદુનો ઉકાળો પીવાથી વાયુ દુર થઈ ભુખ લાગે છે. ચણાના છોડ પર રાતે કપડું ઢાંકી રાખી, સવારે નીચોવી, એ પાણીને ગરમ કરી ઉડાડી દેતાં વાસણમાં જે ક્ષાર રહે તેનું છાસ સાથે સેવન કરવાથી ગમે તેવું અજીર્ણ મટે છે. ચીત્રક, અજમો, સીંધવ અને મરીના સમભાગે બનાવેલા ચુર્ણનું સેવન કરવાથી અજીર્ણ મટે છે. વરીયાળીનો અર્ક અથવા કાચી કે શેકેલી વરીયાળી નીયમીત ખાવાથી અજીર્ણ મટે છે.

જઠરાગ્નિ બરાબર સતેજ કરવા માટે દર્દીને હરડે, સૂંઠ અને ગોળની ગોળી કરી આપવામાં આવે છે. અથવા હરડે અને સિંધાલૂણનું ચૂર્ણ રોજ અપાય છે. દર્દીને જમ્યા પછી પેટમાં દાહ થતો હોય તો તેને કાળી દ્રાક્ષ, હરડે અને સાકરનું ચૂર્ણ મધ સાથે ચટાડે છે. અજીર્ણના દર્દીને હિંગ્વષ્ટક ચૂર્ણ, લવણભાસ્કર ચૂર્ણ, દાડિમાષ્ટક ચૂર્ણ, અગ્નિમુખ ચૂર્ણ, સમશર્કરા ચૂર્ણ વગેરે ચૂર્ણો જમ્યા પહેલાં તથા પછી આપવામાં આવે છે. અજીર્ણના દર્દીને ચિત્રકાદિવટી, શંખવટી, અગ્નિતુંડીવટી, અગ્નિકુમાર રસ, લસુનાદિવટી વગેરે ગોળીઓ પણ અપાય છે. અજીર્ણના દર્દીને પીવા માટે ઉકાળેલું સાદું પાણી, લવિંગ કે સૂંઠ નાખી ઉકાળેલું પાણી, છાશ કે નાળિયેરનું પાણી અજીર્ણના પ્રકાર મુજબ અપાય છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.