Western Times News

Gujarati News

મોટી સંખ્યામાં મતદાન કરી શકે તે માટે 5 ડિસેમ્બરના રોજ રજા જાહેર કરવા ખેડા જિલ્લા ચૂંટણી અધિકારીનો આદેશ

election commission for voter id

વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ માટે ખેડા જિલ્લામાં સમાવિષ્ટ ૧૧૫–માતર, ૧૧૬–નડિયાદ, ૧૧૭-મહેમદાવાદ, ૧૧૮–મહુધા, ૧૧૯–ઠાસરા અને ૧૨૦–કપડવંજ વિધાનસભા મતવિભાગો માટે બીજા તબકકાનું તા.૦૫/૧૨/૨૦૨૨ સોમવારના રોજ સવારના ૮.૦૦ કલાકથી સાંજના ૫.૦૦ કલાક સુધી મતદાન યોજાશે.

મતદાન દિવસે એટલે કે તા.૦૫/૧૨/૨૦૨૨, સોમવારના રોજ જાહેર ૨જા કે રવિવારનો દિવસ ન હોય મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સને ૧૮૮૧ ના વટાઉખત અધિનિયમ હેઠળ સરકારી કચેરીઓ, ઔધોગિક એકમો, સંસ્થાઓ વિગેરે માટે રજા જાહેર કરવામાં આવી છે.

જયાં વટાઉખત અધિનિયમ–૧૮૮૧ની જોગવાઈઓ લાગુ પડતી ન હોય તેવી દુકાનો અને સંસ્થાઓ માટે ૧૯૪૮ના મુંબઈ દુકાનો અને સંસ્થા અધિનિયમ, તેમજ ૧૯૪૮ ના કારખાના અધિનિયમ હેઠળ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અને શહેરી વિકાસ

અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ધ્વારા લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ માં ૧૯૯૬ ના લોકપ્રતિનિધિત્વ (સુધારા)અધિનિયમથી દાખલ કરવામાં આવેલ કલમ-૧૩૫ (બી) ની જોગવાઈઓ અનુસાર તા.૦૫/૧૨/૨૦૨૨, સોમવા૨ના રોજ ઉકત જોગવાઈઓ અનુસાર રજા જાહેર કરવા અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી કે. એલ. બચાણી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રીની યાદી અનુસાર  

૧)       વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ માટે ખેડા જિલ્લામાં સમાવિષ્ટ ૧૧૫–માતર, ૧૧૬–નડીઆદ, – ૧૧૭–મહેમદાવાદ, ૧૧૮–મહુધા, ૧૧૯-ઠાસરા અને ૧૨૦-કપડવંજ વિધાનસભા મતદાર વિભાગો માટે તા.૦૫/૧૨/૨૦૨૨, સોમવારના રોજ મતદાન યોજાનાર છે. આ વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ તમામ વિસ્તારોમાં આ દિવસે ૧૯૪૮ ના મુંબઈ મકાનો અને સંસ્થા અધિનિયમ, તેમજ ૧૯૪૮ ના કારખાના અધિનિયમ હેઠળ રજા જાહેર કરવાની રહે છે.

૨)       વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ ની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યકિત કોઈપણ  વ્યાપાર ધંધા, ઔધોગિક એકમ અથવા અન્ય કોઈપણ સંસ્થામાં નોકરી કરતી હોય તેમને મતદાનના દિવસે રજા મંજુર કરવાની રહેશે.

૩)       પેટા કલમ-(૧) ની જોગવાઈ અન્વયે રજા મંજુર કરવામાં આવેલ હોય તેવી કોઈપણ વ્યકિતના વેતનમાંથી કોઈ કપાત કે સુધારો કરવાનો રહેશે નહિ, અને જો આવી વ્યકિત સામાન્ય રીતે રજાના દિવસે વેતન નહિ મેળવે તેવા આધારે નોકરી ઉપર રાખવામાં આવેલ હોય તેવી વ્યકિતને પણ રજા ન હોત અને તે દિવસે તેને જે વેતન મેળવવાપાત્ર હોય તેટલું વેતન મંજુર કરવાનું રહેશે.

૪)       જો કોઈ નોકરીદાતા પેટા કલમ-૧ અથવા પેટા કલમ–૨ ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરશે તો આવા નોકરીદાતા પાંચસો રૂપિયા સુધીનો દંડને પાત્ર રહેશે.

૫)       આ કલમ એવા કોઈપણ મતદારને લાગુ નહીં પડે કે તે જયાં નોકરી સાથે સંકળાયેલ છે ત્યાં તેની ગેરહાજરી ભય કે વ્યાપક નુકશાનમાં પરિણમે.

૬)       ચૂંટણીપંચના તા.૦૭/૧૧/૨૦૨૨ ના પત્રના પારા નં.૩ મુજબ નોંધાયેલ મતદાર જે મત વિભાગમાં વસવાટ કરતો હોય પરંતુ જયાં સામાન્ય કે પેટા ચૂંટણી હોય તેવા મતવિભાગની બહારના વિસ્તારમાં આવેલ ઔધોગિક એકમ કે સંસ્થામાં નોકરી કરતો હોય તો પણ તેવા મતદાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫ બી(૧) અન્વયે સવેતન રજાનો હકદાર ગણાશે.

૭)       ચૂંટણીપંચના સંદર્ભ હેઠળના તા.૦૭/૧૧/૨૦૨૨ ના પારા-૩ અનુસાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫(બી) ની જોગવાઈ અનુસાર રોજમદાર / કેજયુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હકદાર છે.

આમ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ની ચૂંટણી માટે અત્રેના જિલ્લામાં સમાવિષ્ટ ૧૧૫–માતર, ૧૧૬–નડીઆદ, ૧૧૭-મહેમદાવાદ, ૧૧૮–મહુધા, ૧૧૯-ઠાસરા અને ૧૨૦–કપડવંજ વિધાનસભા મતદાર વિભાગો માટે તા.૦૫/૧૨/૨૦૨૨ (સોમવાર) ના રોજ મતદાન યોજવાનું હોય, સદર વિધાનસભા મતવિભાગોમાં આવેલ વિસ્તારોમાં રજા જાહેર કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.