AAP કદાચ ખાતુ પણ નહિ ખોલી શકેઃ શાહ
(એજન્સી)અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પડકારને ફગાવીને દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી કદાચ તેનુ ખાતુ પણ નહિ ખોલી શકે. તેમણે કહ્યુ કે ભારતીય જનતા પાર્ટીના રાજ્ય એકમ દ્વારા કટ્ટરપંથ વિરોધી એકમની સ્થાપના કરવાની જાહેરાત એ એક સારી પહેલ છે
જેને કેન્દ્ર અને અન્ય રાજ્યો વિચારી શકે છે. અમિત શાહે એક ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિશે વાત કરી.
ઈન્ટરવ્યુમાં અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા, રાજ્યના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતનો સર્વાંગી વિકાસ અને શૂન્ય તુષ્ટિકરણ નીતિને લાગુ કરવાના પગલાંને
છેલ્લા ૨૭ વર્ષોમાં લોકો દ્વારા વારંવાર ભાજપ પર વિશ્વાસનુ મુખ્ય કારણ ગણાવ્યુ. તેમણે કહ્યુ, ‘ભાજપ ગુજરાતમાં અભૂતપૂર્વ જીત નોંધાવશે. લોકોને અમારી પાર્ટી અને અમારા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પૂર્ણ વિશ્વાસ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપના પ્રવેશ અંગેના પ્રશ્ન પર શાહે કહ્યુ કે, ‘દરેક પક્ષને ચૂંટણી લડવાનો અધિકાર છે પરંતુ તે લોકો પર ર્નિભર કરે છે કે તેઓ પાર્ટીને સ્વીકારે છે કે નહિ.તેમણે કહ્યુ કે, ‘આપ ગુજરાતના લોકોના મનમાં ક્યાંય નથી. ચૂંટણી પરિણામોની રાહ જુઓ, કદાચ ‘આપ’ ઉમેદવારોના નામ સફળ ઉમેદવારોની યાદીમાં આવે જ નહિ.’
ગુજરાતમાં ભાજપની મુખ્ય હરીફ કોંગ્રેસ રહી છે, જ્યારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આપે મોદીના ગૃહ રાજ્યમાં આક્રમક પ્રચાર અભિયાન ચલાવ્યુ છે. કોંગ્રેસ દ્વારા સામનો કરવામાં આવી રહેલા પડકાર અંગે શાહે કહ્યુ, ‘કોંગ્રેસ હજુ પણ મુખ્ય વિરોધ પક્ષ છે પરંતુ તે રાષ્ટ્રીય સ્તરે સંકટમાંથી પસાર થઈ રહી છે અને તેની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે.’