Western Times News

Gujarati News

મતગણતરી દરમ્યાન અમદાવાદના આ રસ્તાઓ પર પ્રતિબંધ મૂકાયો

મતગણતરી દરમ્યાન ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન નક્કી કરતું પોલીસ કમિશનર, અમદાવાદ શહેરનું જાહેરનામું 

હું, સંજય શ્રીવાસ્તવ, IPS, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) અને ગુજરાત મોટર વાહન નિયમો ૧૯૮૯ના નિયમ-૨૦૭ અંતર્ગત મળેલી સત્તા અન્વયે આગામી તા.૮/૧૨/૨૦૨૨ના રોજ (૧) કોમર્સ કોલેજ બિલ્ડીંગ, ગુજરાત કોલેજ કેમ્પસ, એલીસબ્રીજ,

(૨) એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજ, નવરંગપુરા, ગુજરાત યુનિવર્સીટી પાસે, (૩) ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજ, આંબાવાડી ખાતે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની મતગણતરી થનાર છે. આ મતગણતરી દરમિયાન આ જગ્યાઓ ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે.

આ મતગણતરી અનુસંધાને આમજનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ વાહન પાર્કિંગ કરવાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ફરમાવવા માટે નીચે મુજબનો હુકમ કરૂ છું.

અમદાવાદ શહેરમાં આગામી તા.૮/૧૨/૨૦૨૨ના રોજ (૧) કોમર્સ કોલેજ બિલ્ડીંગ, ગુજરાત કોલેજ કેમ્પસ, એલીસબ્રીજ, (૨) એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજ, નવરંગપુરા, ગુજરાત યુનિવર્સીટી પાસે, (૩) ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજ, આંબાવાડી ખાતે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની મતગણતરી થનાર છે. જે મતગણતરી દરમિયાન નીચે જણાવેલ માર્ગ/વિસ્તાર પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે.

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ/વિસ્તારની વિગત

૧. કોમર્સ કોલેજ બિલ્ડીંગ, ગુજરાત કોલેજ કેમ્પસ, એલીસબ્રીજ :

ઇન્દર રેસીડેન્સી ટી થી ગુજરાત કોલેજ થઇ કવિ નાનાલાલ ઓવરબ્રિજ નીચે સુધીનો માર્ગ  વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.

૨. એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજ, નવરંગપુરા, ગુજરાત યુનિવર્સીટી પાસે :

એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજ઼ મુખ્ય ગેટથી દાદા સાહેબના પગલા ચાર રસ્તા સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

૩. ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજ, આંબાવાડી :

પાંજરાપોળ ચાર રસ્તાથી એક્સાઇઝ પોલીસ ચોકી સર્કલ ટી. સુધીનો માર્ગ વાહનોની અવર- જવર માટે પ્રતિબંધિત રહેશે.

વૈકલ્પિક માર્ગની વિગત

૧. કોમર્સ કોલેજ બિલ્ડીંગ, ગુજરાત કોલેજ કેમ્પસ, એલીસબ્રીજ :

૧. ટાઉનહૉલ ચાર રસ્તા થઇ ઇન્દર રેસીડેન્સી ટી થઇ કલગી ચાર રસ્તા તરફના માર્ગનો વાહનોની અવર-જવર માટે ઉપયોગ કરી શકાશે.

૨. નગરી હોસ્પીટલ ચાર રસ્તા થઇ કવિ નાનાલાલ ઓવરબ્રિજ નીચે ટી થી જમણી બાજુ સી.એન.આઇ. ચર્ચ સર્કલ તરફના માર્ગનો વાહનોની અવર-જવર માટે ઉપયોગ કરી શકાશે.

૨. એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજ, નવરંગપુરા, ગુજરાત યુનિવર્સીટી પાસે :

દાદા સાહેબના પગલા ચાર રસ્તાથી એ.જી.ચોકી થઇ એસ.વી.દેસાઇ માર્ગ થઈ સેન્ટ ઝેવીયર્સ કોલેજ ટી થઇ સુરજમલ ઝવેરી માર્ગ થઇ પાસપોર્ટ ઓફીસ ટી થી પાંજરાપોળ તરફ અવર જવર કરી શકાશે.

૩. ગવર્મેન્ટ પોલીટેકનીક કોલેજ, આંબાવાડી :

પાંજરાપોળ ચાર રસ્તાથી નહેરુનગર સર્કલથી ડાબી બાજુ વળી એસ.બી.આઇ. બેન્ક કટ થઇ એક્સાઇઝ પોલીસ ચોકી સર્કલ ટી તરફના માર્ગનો વાહનોની અવર-જવર માટે ઉપયોગ કરી શકાશે.

આ કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગું પડશે નહી.

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઇ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૮/૧૨/૨૦૨૨ના કલાક ૦૦.૦૦થી ૨૪.૦૦ સુધી કરવાનો હેઠળ રહેશે.

આ જાહેરનામાના આદેશોનું ઉલ્લધંન કરનાર ઇસમ ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ઇ.પી.કો. કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ- ૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.