Western Times News

Gujarati News

ગુજરાત વિધાનસભાની અનુસુચિત જનજાતિ કલ્યાણ સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરતા સમિતિના અધ્યક્ષશ્રી મોહનભાઇ ઢોડીયા

રાજપીપલા, શુક્રવાર:- ગુજરાત વિધાનસભાની અનુસુચિત જનજાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષશ્રી મોહનભાઇ ઢોડીયાના વડપણ હેઠળની સમિતિમાં સમાવિષ્ટ ધારાસભ્યોશ્રી ડૉ. અનિલ જોશીયારા, શ્રી અભેસિંહ તડવી અને શ્રી અરવિંદભાઇ પટેલ સહિતના સભ્યોની સમિતિએ ગઇકાલે બપોર બાદ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, ભુગર્ભ જળવિદ્યુત મથક વગેરેની મુલાકાત લીધી હતી.

ગુજરાત વિધાનસભાની અનુસુચિત જનજાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષશ્રી મોહનભાઇ ઢોડીયાના વડપણ હેઠળની આ સમિતિ સાથે ઉદ્યોગ, ખાણ ખનીજ વિભાગના નાયબ સચિવશ્રી ડી.જી. ચૌધરી, ખાણ ખનીજના અધિક નિયામકશ્રી ડી.એમ. સોલંકી, સીનીયર ભુસ્તરશાસ્ત્રી શ્રી જે.એમ. પટેલ, ગુજરાત વિધાનસભાના ઉપસચિવશ્રી વિનોદભાઇ રાઠોડ અને સેક્સન અધિકારી સહિતના અધિકારીશ્રીઓ અને અન્ય સ્ટાફગણ પણ સાથે જોડાયા હતાં. આ પ્રસંગે સરદાર સરોવર નર્મદા નિગમના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી દલવાણી સહિતના અન્ય ઇજનેરશ્રીઓ પણ સાથે રહીને નર્મદા ડેમ અને ભુગર્ભ જળવિદ્યુત મથક અંગેની જરૂરી તકનીકી જાણકારી આ સમિતિને આપી હતી.

ઉક્ત સમિતિના સભ્યશ્રીઓએ કેવડીયા ખાતે આગમન થયા બાદ સૌ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી.

ત્યારબાદ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી નર્મદા ડેમ તેમજ વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન થકી અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી અને સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ રસપૂર્વક નિહાળી હતી.

ત્યારબાદ આ સમિતિએ સરદાર સરોવર નર્મદા ડેમની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે નિગમના નાયબ ઇજનેરશ્રી દલવાણીએ નર્મદા ડેમને લગતી તમામ પ્રકારની તકનીકી વિગતોથી સમિતિને વાકેફ કરી હતી અને ત્યારબાદ ભુગર્ભ જળવિદ્યુત મથકની પણ મુલાકાત લઇ આ યુનીટો દ્વારા ઉત્પાદન થતા વીજ વિતરણની કાર્યપધ્ધતિની પણ ઇજનેરો પાસેથી જાણકારી મેળવી હતી.

આ મુલાકાત દરમિયાન સમિતિના લાયઝન અધિકારીશ્રી તરીકે જિલ્લા આશ્રમ શાળા અધિકારીશ્રી ગરાસીયા અને સહ લાયઝન અધિકારી તરીકે રાજપીપલાના જીઓલોજીસ્ટ શ્રી કેયુર રાજપુરા પણ સમિતિની સાથે રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.