Western Times News

Gujarati News

ઝઘડિયાના ધારાસભ્યની રજુઆતથી નેત્રંગના અંતરિયાળ ગામોને બસ સુવિધા મળી

ભરૂચ, ભરૂચ જીલ્લાના નેત્રંગ તેમજ ઝઘડિયા તાલુકાના ઘણા ગામોને સાંકળતા બસ રૂટ લાંબા સમયથી બંધ હતા.ત્યારે સ્થાનિક આગેવાનોની રજુઆતને લઈને ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા એસટી વિભાગને આ બાબતે રજુઆત કરવામાં આવી હતી. નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામો મુગજ,મચામડી,વાંકોલ,વણખૂટા, સજણવાવ અને ખાખરીયા જેવા ગામોની જનતા માટે રાજપારડી ઝઘડિયા તરફ જવા આવવા બસ સુવિધાનો અભાવ જણાતો હતો.

સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોની રજુઆતને લઈને ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા ઘણા વર્ષોથી બંધ પડેલ બસ સેવા ફરીથી ચાલુ કરાવાતા આ પંથકના ગામોની જનતા અને વિદ્યાર્થીઓને હવે બસ સુવિધાનો લાભ મળશે.આજરોજ જેસપોર ચોકડી પર બસનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

નેત્રંગ તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ મનસુખભાઈ વસાવા, ઝઘડીયા તાલુકા પંચાયત ન્યાય સમિતિના અઘ્યક્ષ જયેન્દ્રભાઈ વસાવા,ક્વોરી એસોસિયેશનના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવા, મોટા સોરવાના સરપંચ નિલેશભાઈ વસાવા, કાંટોલના સરપંચ સુભાષભાઈ વસાવા, સામાજિક આગેવાન મહેશભાઈ વસાવા, સ્થાનિક આગેવાનો, વિદ્યાર્થીઓ, સજણવાવ ગામના સરપંચ જાગૃતિબેન વસાવા,અગ્રણી રઘુભાઈ વસાવા,જેસપોરના અગ્રણીઓ તેમજ ગ્રામજનો સહિતની ઉપસ્થિતિમાં જેસપોર ગામની ચોકડી ખાતે ભારત માતાકી જયના નારા સાથે કુમકુમ તિલકથી ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ફૂલહાર દ્વારા શરુ થયેલ એસટી બસ તથા બસના કર્મચારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.